નાયરા, સેલ બાદ અદાણીનો પણ ઝટકો
CNGના ભાવમાં રૂ.૧.૫૦નો વધારો ઝીંકાયો
મહિનામાં બીજી વખત વધારો ઝીંકતા રિક્ષાચાલકો, કેબ સહિતના સામાન્ય વાહન ચાલકો પર બોઝ વધ્યો
રાજકોટ સહિતના શહેરોમાં રૂ.૮3.૭૭એ પહોંચ્યો ભાવ : ચાર મહિનામાં સતત ત્રીજી વખત ઉછાળો આવતા રૂ.૨.૬૦ જેટલો મોંઘો થયો
ટ્રાન્સપોર્ટ અને લોકલ પરિવહનનાં ખર્ચમાં વધારો થવાની સંભાવના : રાજયભરમાં અસંતોષ ફેલાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
મિડલ ઇસ્ટમાં ચાલતા યુધ્ધની ભયંકર અસર ગુજરાતમાં પડી રહી છે. ઇંધણની સમસ્યા ઘેરી બનતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. ખાનગી કંપનીઓ દ્વારા ભાવમાં વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. નાયરા અને સેલ કંપની વારા પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારો કર્યા બાદ અદાણીએ પણ ગેસમાં મહિનામાં બીજો વધારો ઝીંકી દેવાયો છે. અદાણી દ્વારા આજે CNGમાં દોઢ રૂપિયાનો વધારો કરી દીધો છે.
અદાણી CNGના ભાવમાં આજે (3 એપ્રિલ) પ્રતિ કિલોએ 1.50 (દોઢ રૂપિયા)નો તોતિંગ વધારો ઝીંકાયો છે. સીએનજીના ભાવમાં રૂ.1.21ના ઘટાડા બાદ 3 વખતના વધારાથી CNG રૂ. 2.60 જેટલો મોંઘો થયો છે, જેથી અમદાવાદમાં નવો ભાવ 83.77 રૂપિયા થયો છે. આ પહેલાં ફેબ્રુઆરી, 2026માં 50 પૈસા વધાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, અદાણીના CNG પંપ અમદાવાદ, વડોદરા અને ખેડામાં સૌથી વધુ છે.
આ વધારાને પગલે હવે આજથી અદાણી CNG 83.77 રૂપિયામાં વેચાશે. અદાણી ગ્રૂપ દ્વારા CNGના ભાવમાં 2026ની શરૂઆતમાં જ 1.21નો ભાવ ઘટાડો કર્યો હતો, પરંતુ તે બાદ ચાર માસમાં સતત ત્રીજી વખત વધારો સીએનજીમાં ભાવ વધારો ઝીંક્યો હતો.
ઇરાનમાં આવેલી સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ બંધ હોવાને કારણે ગેસનો પુરવઠો પહોંચી નથી રહ્યો. તો બીજી તરફ લોકો પીએનજી તરફ વળી રહ્યા છે. કોમર્શિયલ ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે. આવામાં હવે અદાણી સીએનજીનો ભાવવધારો કમરતોડ સાબિત થઈ શકે છે. આ સ્થિતિ વચ્ચે હવે લોકોને 1 એપ્રિલથી અનેક વસ્તુઓના ભાવમાં વધારો ઝીંકાયો છે.
નવા ભાવ લાગુ થતાં હવે પ્રતિ કિલો CNG માટે ગ્રાહકોને વધુ ચૂકવણી કરવી પડશે. આ વધારો નાનો લાગતો હોવા છતાં, દૈનિક ઉપયોગ કરતા લોકો માટે મહિનાના ખર્ચમાં નોંધપાત્ર વધારો લાવી શકે છે. વિશેષ કરીને ઓટો-રિક્ષા, ટેક્સી અને ડિલિવરી સર્વિસ સાથે જોડાયેલા લોકો માટે આ વધારો સીધી અસર કરે છે, કારણ કે તેમની આવક અને ખર્ચ વચ્ચેનું સંતુલન બગડી શકે છે.
જે રોજિંદા જીવનમાં CNGનો ઉપયોગ કરે છે. વાહનચાલકો માટે સીધો ખર્ચ વધારો થશે. સાથે જ શહેરના ટ્રાન્સપોર્ટ ખર્ચમાં પણ વધારો જોવા મળશે. એટલું જ નહીં સામાન્ય નાગરિકના બજેટ પર પણ આની મોટી અસર થશે. આથી, CNGના ભાવમાં થયેલો વધારો માત્ર એક આંકડો નથી, પરંતુ તે દરેક ઘરના ખર્ચ પર અસર કરતી મહત્વપૂર્ણ બાબત છે.
2025માં ચારવાર ભાવ વધારો
આ ભાવવધારાથી રિક્ષાચાલકો પર મોટી મુસીબત આવશે, કારણ કે 2025 બાદ હવે 2026નું વર્ષ પણ મોંઘવારીનું બની રહ્યું છે. 2025માં અદાણી CNGમાં ચાર વખત ભાવ વધારો કરાયો હતો. હવે 2026માં પણ ચાલુ જ છે. 2025માં ચાર વખતનો ભાવ વધારો 3.40 રૂપિયા હતો. તો 2026ની શરૂઆતમાં પહેલા એકવાર ઘટાડો અને બે વારના વધારા બાદ હવે અદાણી CNGનો ભાવ 83.77 રૂપિયા પર પહોંચી ગયો છે.
ભાવ વધારાનો વિરોધ કરીએ છીએ : એસો.
અમદાવાદ રિક્ષાચાલક એસોસિએશન પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી CNGમાં ધીમે-ધીમે ઘણો બધો ભાવ વધારો થયો છે, જેની સીધી અસર રિક્ષાચાલકો પર પડી રહી છે. રિક્ષાચાલકોની મુખ્ય આજીવિકા CNG પર નિર્ભર છે અને એક રૂપિયાનો પણ વધારો થાય તો કેટલી મુસીબત ઊભી થાય તે અમેજ જાણીએ છીએ. આ ભાવ વધારાનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. રિક્ષાચાલક કિશનભાઈએ જણાવ્યું કે, એક તરફ ધંધો મળતો નથી અને બીજી તરફ ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેથી અમને ખૂબ મુશ્કેલી પડી રહી છે. CNGનો ભાવ વધારો કરવામાં આવ્યો છે તે ઓછો કરવામાં આવે તેવી જ અમારી માગ છે.
પંપ પરથી છુટા પૈસા પણ મળતા નથી : રિક્ષાચાલક
રિક્ષાચાલક ચંદ્રવદન પંચાલે જણાવ્યું કે, મને એકલાને નહીં, પરંતુ તમામ રિક્ષાચાલકોને તકલીફ થવાની છે. અદાણી કંપની છેલ્લા દસ મહિનાથી સતત ભાવ વધારો કરી રહી છે. ગઈકાલે દોઢ રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. છેલ્લા 6 મહિનામાં પાંચથી સો રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. તેમજ ગેસ પંપ પર છુટા રૂપિયા પણ પરત આપવામાં આવતા નથી. અમે મેસેન્જર પાસે વધારે ભાડું માગીએ તો અમારે ટકરાર થતી હોય છે.
ભાવ વધવાના કારણો
CNGના ભાવમાં વધારાના પાછળ ઘણા કારણો જવાબદાર માનવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય ગેસના ભાવમાં ફેરફાર
સપ્લાય અને ડિમાન્ડ વચ્ચેનું સંતુલન
સરકારની નીતિઓ અને ટેક્સ સ્ટ્રક્ચર
આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને ગેસ કંપનીઓ સમયાંતરે ભાવમાં ફેરફાર કરતી હોય છે.
વાહન ચાલકોમાં રોષ
CNGના ભાવમાં વધારાને લઈને શહેરના ઓટો-રિક્ષા અને કેબ ડ્રાઈવરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ઘણા ડ્રાઈવરોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી સતત ભાવવધારો થતો રહ્યો છે, પરંતુ ભાડામાં તે પ્રમાણે વધારો થઈ શકતો નથી. આથી તેમની આવક પર સીધી અસર પડી રહી છે. કેટલાક ડ્રાઈવરો ભાડામાં વધારો કરવાની માંગ પણ કરી રહ્યા છે, જેથી તેઓ પોતાના ખર્ચને સંતુલિત કરી શકે.
સામાન્ય લોકો પર પડનાર અસર
CNG ભાવવધારોનો અસર માત્ર વાહનચાલકો સુધી મર્યાદિત નથી.
જાહેર પરિવહન ખર્ચ વધી શકે છે
ઘરખર્ચમાં વધારો થઈ શકે છે
ડિલિવરી અને લોજિસ્ટિક્સ સેવાઓ મોંઘી બની શકે છે
આથી, આ ભાવવધારોનો પ્રભાવ આખા શહેરના અર્થતંત્ર પર પડી શકે છે.
આગામી સ્થિતિ પર નજર
વિશ્વ બજારમાં ગેસના ભાવમાં સતત ફેરફારને કારણે, આગામી સમયમાં પણ CNGના ભાવમાં વધઘટ થવાની શક્યતા છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ સ્થિર રહેશે, તો સ્થાનિક સ્તરે પણ રાહત મળી શકે છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં, ગ્રાહકોને વધેલા દરો સાથે જ વ્યવહાર કરવો પડશે.


