તાલાલા યાર્ડમાં ગીરના અમૃત ફળ કેસર કેરીની વિધિવત આવક શરૂ
પ્રથમ દિવસે ૧૦,૪૦૦ બોકસ ઠલવાયા : ગૌમાતાના લાભાર્થે પ્રથમ બોકસનો રૂ.૧૭૦૦૦માં સોદો થયો
અગ્ર ગુજરાત, તાલાલા
ગીરની પ્રખ્યાત કેસર કેરીના રસિકો માટે આનંદના સમાચાર છે. એશિયાના સૌથી મોટા ગણાતા તાલાલા માર્કેટિંગ યાર્ડમાં વર્ષ 2026ની કેસર કેરીની સિઝનનો આજથી વિધિવત પ્રારંભ થયો છે. “ગીરના અમૃત ફળ” તરીકે ઓળખાતી કેસર કેરીની આવક થતા જ યાર્ડમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
તાલાલા યાર્ડના ચેરમેન સંજયભાઈ શિંગાળા અને તાલાલા પાલિકાના પૂર્વ પ્રમુખ અમિતભાઈ ઉનડકટ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં હરાજીના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. સિઝનના પ્રથમ દિવસે જ ગીર પંથકના અનેક ખેડૂતો પોતાની મહામૂલી કેસર કેરીના બોક્સ લઈને માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા.
આ વર્ષની સિઝનની શરૂઆત પરોપકારના કાર્ય સાથે થઈ હતી. ભોલેબાબા મેંગો સપ્લાયર્સ પેઢીના સંચાલક કાળુભાઇએ પ્રથમ બોક્સની હરાજી ગૌ માતાના ચારા માટે અનામત રાખી હતી. 10 કિલોનું આ ખાસ બોક્સ પાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ઉનડકટે ₹17,000માં ખરીદીને ગૌસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ ઉપરાંત કિસાન મેંગો, રામદૂત મેંગો, ભાગ્યોદય મેંગો, ભાગ્યલક્ષ્મી મેંગો અને અર્જુન મેંગો જેવી અન્ય પેઢીઓએ પણ પ્રથમ બોક્સના વેચાણની રકમ ગૌશાળા માટે અર્પણ કરી હતી. આમ, સિઝનના પ્રથમ દિવસે જ કુલ ₹57,000થી વધુની રકમ ગૌસેવા માટે એકત્ર થઈ હતી.
ચાલુ વર્ષે સિઝન ગત વર્ષ 26 એપ્રિલ 2025 કરતા સાત દિવસ વહેલી શરૂ થઈ છે. જોકે, કમોસમી વરસાદ અને માવઠાની અસરને કારણે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષે પ્રથમ દિવસે 14,500 બોક્સની આવક સામે આ વર્ષે 4,100 બોક્સનો ઘટાડો નોંધાયો છે.
ખેડૂતો અન્ય શહેરો જેવા કે જૂનાગઢ કે રાજકોટ જવાને બદલે તાલાલા યાર્ડને વધુ પસંદ કરે છે, કારણ કે અન્ય યાર્ડમાં 10% સામે અહીં માત્ર 8% કમિશન લાગે છે. વાહન ભાડાનો ખર્ચ ઓછો આવે છે અને ઘરઆંગણે જ માર્કેટ મળે છે.
આ સિઝન આગામી 50 થી 60 દિવસ સુધી ચાલશે. જેમ જેમ આવક વધશે તેમ આઈસ્ક્રીમ, પલ્પ અને સોફ્ટડ્રિંક બનાવતી મોટી કંપનીઓ પણ ખરીદી માટે મેદાનમાં ઉતરશે. આવક ઓછી હોવાથી આ વર્ષે કેરીના રસિયાઓને સ્વાદ થોડો મોંઘો પડે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.


