સાવરકુંડલાના મિતિયાળા ગામમાં મધરાત્રે ૨.૮નો ભૂકંપનો આંચકો
એક મહિનાથી સતત ધ્રુજતી ધરતીથી લોકોમાં ફફડાટનો માહોલ
અગ્ર ગુજરાત, અમરેલી
સાવરકુંડલા તાલુકાનું મિતિયાળા ગામ અને આસપાસનો વિસ્તાર છેલ્લા એક મહિનાથી સતત ભૂકંપના આંચકાઓથી ધ્રુજી રહ્યો છે. ગઈકાલે મધરાતે ૩ઃ૩૬ કલાકે ૨.૮ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા નિદ્રાધીન લોકો ભયના માર્યા જાગી ગયા હતા. આ આંચકાનું કેન્દ્રબિંદુ અમરેલીથી દક્ષિણે આશરે ૪૪ કિલોમીટર દૂર જમીનમાં ૧૦ કિમીની ઊંડાઈએ નોંધાયું હતું. મિતિયાળા ઉપરાંત ખાંભા, ભાડ, વાંકીયા, ઇંગોરાળા અને સાકરપરા સહિતના ગામોમાં પણ ભૂકંપની અસર જોવા મળી હતી.
અભયારણ્યને અડીને આવેલા આ ડુંગરાળ વિસ્તારમાં છેલ્લા એક માસથી અવારનવાર આવી રહેલી ભૂગર્ભીય હલચલને કારણે સ્થાનિકો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. જોકે, ભૂસ્તર વિજ્ઞાનીઓના મતે ઓછી ઊંડાઈના આ આંચકાઓને કારણે મોટું નુકસાન થવાની સંભાવના ઓછી છે, પરંતુ સતત આવતા ધ્રુજારીના અવાજોથી જનતામાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.


