260 જિંદગીઓ ગળી ગયેલી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ખુલાસો ટૂંક સમયમાં
બ્લેક બોક્સથી AI વિશ્લેષણ સુધીની તપાસ પૂર્ણ થવાને આરે, કેન્દ્રિય મંત્રી નાયડુએ આપી માહિતી
અગ્ર ગુજરાત, અમદાવાદ
અમદાવાદમાં ગત વર્ષે સર્જાયેલી દેશની સૌથી કરૂણ વિમાન દુર્ઘટનાઓમાંથી એક ગણાતી એર ઈન્ડિયાની AI171 ફ્લાઈટ ક્રેશ મામલે હવે મહત્વપૂર્ણ પ્રગતિ સામે આવી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન કિંજરપુ રામમોહન નાયડુ એ જાહેરાત કરી છે કે આ દુર્ઘટનાનો સત્તાવાર તપાસ રિપોર્ટ આગામી એક મહિનાની અંદર જાહેર કરવામાં આવશે.
ગાંધીનગરમાં યોજાયેલી એવિએશન સમિટ દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર તપાસ પ્રક્રિયા અત્યંત પારદર્શક રીતે આગળ વધી રહી છે અને તેમાં આધુનિક AI ટેકનોલોજીની પણ મદદ લેવામાં આવી રહી છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ માત્ર દુર્ઘટનાના કારણો બહાર લાવવાનો જ નહીં, પરંતુ ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે મજબૂત સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવાનો છે.
ઉલ્લેખનીય છે કે ગત 12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડન ગેટવિક જતી એર ઇન્ડિયા ફ્લાઈટ AI171 crash દુર્ઘટનાગ્રસ્ત બની હતી. બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ટેકઓફ કર્યા બાદ થોડા જ સેકન્ડોમાં ક્રેશ થયું હતું. આ ભયાનક દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફરો અને ક્રૂ સભ્યો સહિત કુલ 260 લોકોનાં મોત નિપજ્યા હતા. ઘટનામાં માત્ર એક જ મુસાફર જીવતો બચ્યો હતો, જ્યારે અનેક પરિવારો માટે આ દુર્ઘટના જીવનભરનું દુઃખ બની ગઈ હતી. આ બનાવ બાદ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી. છેલ્લા એક વર્ષથી મૃતકોના પરિવારજનો, એરલાઈન ક્ષેત્ર સાથે જોડાયેલા નિષ્ણાતો તેમજ સામાન્ય નાગરિકો તપાસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા હતા. હવે મંત્રીના નિવેદન બાદ આગામી 30 દિવસમાં આ મામલે સત્ય સામે આવવાની શક્યતા મજબૂત બની છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે દુર્ઘટનાના તમામ પાસાઓની ખૂબ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ટેકનિકલ ખામી, મશીનરીની નિષ્ફળતા, માનવીય ભૂલ અથવા અન્ય કોઈ કારણ જવાબદાર હતું કે નહીં તે જાણવા માટે વિવિધ એજન્સીઓ એકસાથે કામ કરી રહી છે. બ્લેક બોક્સમાંથી મળેલા ડેટા, ફ્લાઈટ રેકોર્ડિંગ્સ, ટેકનિકલ સિસ્ટમ્સ તેમજ પાઈલટના કમ્યુનિકેશન સહિતની માહિતીનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે આ તપાસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સહયોગ લેવામાં આવી રહ્યો છે. વિમાન ઉત્પાદન કંપનીઓ, ટેકનિકલ નિષ્ણાતો અને વૈશ્વિક એવિએશન એજન્સીઓ પાસેથી જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. AI આધારિત વિશ્લેષણથી મોટી માત્રામાં ડેટાને ઝડપથી અને વધુ ચોકસાઈથી ચકાસવામાં મદદ મળી રહી છે.
દુર્ઘટના બાદ પીડિત પરિવારો દ્વારા અનેક વખત એવિએશન કંપનીઓ સામે અસહકાર અને બેદરકારીના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. ઘણા પરિવારોનું કહેવું હતું કે વળતર પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે અને યોગ્ય સહાય મળી રહી નથી. આ મુદ્દે પ્રતિક્રિયા આપતા મંત્રીએ સ્પષ્ટ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. કોઈ પણ કંપની પોતાની જવાબદારીમાંથી બચી શકશે નહીં.
સરકાર પીડિત પરિવારોને યોગ્ય વળતર અને કાનૂની સહાય મળે તે માટે સક્રિય રીતે મધ્યસ્થી કરી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જો કોઈ કંપની દ્વારા બેદરકારી અથવા અસહકાર દાખવવામાં આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે. એવિએશન ક્ષેત્ર સાથે જોડાયેલા નિષ્ણાતોના મત મુજબ, આ રિપોર્ટ માત્ર AI171 દુર્ઘટનાના કારણો જ નહીં પરંતુ દેશની ઉડ્ડયન સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓ પણ ઉજાગર કરી શકે છે. ખાસ કરીને આધુનિક વિમાનોમાં સુરક્ષા પ્રોટોકોલ, મેન્ટેનન્સ સિસ્ટમ અને ઈમરજન્સી રિસ્પોન્સ અંગે મહત્વપૂર્ણ સૂચનો સામે આવી શકે છે.
અમદાવાદની આ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. અનેક પરિવારો આજે પણ પોતાના સ્વજનોને ગુમાવ્યાનો આઘાત ભૂલી શક્યા નથી. હવે તમામની નજર આગામી એક મહિનામાં જાહેર થનારા સત્તાવાર તપાસ રિપોર્ટ પર ટકેલી છે. લોકો આશા રાખી રહ્યા છે કે આ રિપોર્ટ દ્વારા દુર્ઘટનાનું સાચું કારણ બહાર આવશે અને ભવિષ્યમાં આવી કરૂણ ઘટનાઓ અટકાવવા માટે અસરકારક પગલાં લેવામાં આવશે.


