પ્લાસ્ટિક સ્ક્રેપના ધંધાર્થી સાથે લાખોની છેતરપીંડી : માલ મંગાવી ઠગ વેપારી અદ્રશ્ય
શાપરની પેઢીના સંચાલક સામે ફરિયાદ, રૂ.3.57 લાખનો સ્ક્રેપ લઈ ચૂકવણી કર્યા વગર ગાયબ થયો હોવાનો આક્ષેપ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં પ્લાસ્ટિક સ્ક્રેપના વેપારમાં વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી લાખોની છેતરપીંડી થયાનો બનાવ સામે આવ્યો છે. લાતી પ્લોટ વિસ્તારમાં આવેલી એક પેઢી પાસેથી શાપર ખાતેના વેપારીએ હપ્તાવાર રીતે 6274 કિલો પ્લાસ્ટિક સ્ક્રેપ મંગાવી લીધા બાદ રૂપિયા ચૂકવ્યા વગર ફોન બંધ કરી ગાયબ થઈ જતા આખરે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. સમગ્ર ઘટનામાં રૂ.3.57 લાખની છેતરપીંડી થયાનો આક્ષેપ સાથે બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
આ બનાવ અંગે રૈયા રોડ પર આવેલા સવન સિગ્નેટ એપાર્ટમેન્ટમાં રહેતા હિતેશભાઈ મનહરભાઈ રૂપારેલીયા (ઉંમર 52) એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપી તરીકે શાપર ખાતે અક્ષર પોલીમર્સ નામની પેઢી ચલાવતા મેહુલ મનુ વિરજાનું નામ આપવામાં આવ્યું છે. પોલીસે ફરિયાદના આધારે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ફરિયાદી હિતેશભાઈએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેમના નાના ભાઈ જયેશભાઈ રૂપારેલીયાની માલિકીની પ્રકાશ પોલીમર્શ કંપની એમ.એમ. રૂપારેલીયા નામની પેઢી લાતી પ્લોટ વિસ્તારમાં જામનગર ટ્રાન્સપોર્ટ પાસે કુવાડવા રોડ પર આવેલી છે. પેઢીમાં પ્લાસ્ટિક સ્ક્રેપ અને પ્લાસ્ટિક દાણા રિસાયકલ કરવાનો વ્યવસાય કરવામાં આવે છે. હિતેશભાઈ પેઢીનું હિસાબ-કિતાબ સંભાળે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા બે-ત્રણ વર્ષથી મેહુલ વિરજા સાથે વેપારી સંબંધો હતા. મેહુલ શાપર ખાતે અક્ષર પોલીમર્સ નામે પેઢી ચલાવતો હતો અને તેની જરૂરિયાત મુજબ પ્લાસ્ટિક સ્ક્રેપનો માલ સમયાંતરે મોકલવામાં આવતો હતો. અગાઉના વ્યવહારોમાં મેહુલ સમયસર ચેક અથવા આરટીજીએસ મારફતે પેમેન્ટ કરી દેતો હોવાથી બંને વચ્ચે વિશ્વાસનો સંબંધ બંધાયો હતો.
આ વિશ્વાસનો લાભ લઈને મેહુલે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં મોટા પ્રમાણમાં માલ મંગાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ તા. 7 ઓગસ્ટ 2025ના રોજ મેહુલ વિરજાએ ફોન કરી તાત્કાલિક પ્લાસ્ટિક સ્ક્રેપની જરૂર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેણે પોતાની બોલેરો ગાડી મોકલી હતી, જેમાં રૂ.93,936ની કિંમતનો 1648 કિલો પ્લાસ્ટિક સ્ક્રેપ ભરાવી મોકલવામાં આવ્યો હતો.
તે સમયે માલનું જીએસટી બિલ બનાવવા માટે મેહુલ પાસે જીએસટી નંબર માંગવામાં આવ્યો હતો. જોકે તેણે પછી મોકલી આપીશ, કહી સમય કાઢ્યો હતો. જેથી માત્ર માલનું ચલણ બનાવી સામાન મોકલી આપવામાં આવ્યો હતો. આ ઘટનાના માત્ર બે દિવસ બાદ એટલે કે તા. 9 ઓગસ્ટ 2025ના રોજ મેહુલ વિરજાએ ફરી સંપર્ક કરી વધુ માલની માંગણી કરી હતી. આ વખતે તેની તરફથી આઇસર ગાડી મોકલવામાં આવી હતી. જેમાં રૂ.2.63 લાખની કિંમતનો 4626 કિલો પ્લાસ્ટિક સ્ક્રેપનો જથ્થો મોકલવામાં આવ્યો હતો. તે વખતે પણ જીએસટી નંબર આપવાનું ટાળવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
માલ પહોંચ્યા બાદ વેપારી પાસેથી બિલ બનાવવા અને પેમેન્ટ મેળવવા માટે વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ મેહુલ વિરજાનો મોબાઇલ ફોન બંધ આવતો હતો. આ દરમિયાન લાંબા સમય સુધી કોઈ જવાબ ન મળતા વેપારીઓને શંકા ગઈ હતી કે તેમની સાથે છેતરપીંડી થઈ રહી છે.
ફરિયાદ મુજબ લગભગ એક મહિના બાદ મેહુલ વિરજાનો ફરી ફોન આવ્યો હતો. તેણે કુલ 6274 કિલો પ્લાસ્ટિક સ્ક્રેપનો હિસાબ સ્વીકારી રૂપિયા 3,57,618ની બાકી રકમ ચૂકવવાની વાત કરી હતી તેમજ જીએસટી નંબર પણ આપી દેવાની ખાતરી આપી હતી. જોકે ત્યારબાદ ફરી સંપર્ક તૂટી ગયો હતો અને આજદિન સુધી ન તો પેમેન્ટ કરવામાં આવ્યું છે કે ન તો જીએસટી સંબંધિત વિગતો આપવામાં આવી છે. વેપારીને વારંવાર ટાળટૂળ અને ખોટી ખાતરી આપ્યા બાદ આખરે છેતરપીંડી થયાનું સ્પષ્ટ બનતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે હાલ આરોપી સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. વેપારી વર્તુળોમાં આ ઘટનાએ ચકચાર મચાવી છે, કારણ કે લાંબા સમયથી ચાલતા વિશ્વાસના સંબંધોનો ગેરલાભ લઈ છેતરપીંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસ હવે આ મામલે માલ ક્યાં વપરાયો, આરોપીએ અન્ય વેપારીઓ સાથે પણ આવી રીતના વ્યવહાર કર્યા છે કે નહીં અને આર્થિક છેતરપીંડી પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે કેમ તે દિશામાં તપાસ આગળ વધારી રહી છે.


