ચૂંટણી પરિણામના એક મહિના બાદ અંતે તારીખ જાહેર કરાઇ
રાજકોટ મનપાને તા.૨૮મીએ મળશે નવા સુકાની
મેયર-સ્ટે.ચેરમેન સહિતના પદાધિકારીઓના નામની જાહેરાત કરાશે : જનરલ બોર્ડ યોજવાની સૂચના : શિસ્તબધ્ધ રીતે પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પ્રભારીઓને વિશેષ જવાબદારી સોપાઇ
પ્રથમ તબક્કામાં તા.૨૬મીએ જામનગર, મહેસાણા, મોરબી, ગાંધીધામ, અમદાવાદ, નવસારી, પોરબંદર અને નડિયાદ તેમજ બીજા તબક્કામાં તા.૨૮મીએ રાજકોટ, સુરત, ભાવનગર, વડોદરા, વાપી, આણંદ અને સુરેન્દ્રનગરનો સમાવેશ
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીનું પરિણામ તા.૨૮ એપ્રિલે જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામના ૨૨ દિવસ બાદ સત્તાધીશોની પસંદગી ભાજપ કરી શકયું નથી ત્યારે હવે આગામી અઠવાડીયામાં નામ જાહેર કરે તેવા સંકેત મળી રહ્યાં છે. રાજકોટમાં તા.૨૮મીએ મેયર સહિતના પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.
ગુજરાતની મહાનગરપાલિકાઓ અને મહત્વની નગરપાલિકાઓમાં કમાન સંભાળવા માટે મેયર અને પ્રમુખ પદની પસંદગીની ઘડીઓ ગણાઈ રહી છે. લાંબા સમયની રાહ જોયા બાદ આખરે સરકારે તમામ 15 કોર્પોરેશન અને નગરપાલિકાઓને જનરલ બોર્ડની બેઠક બોલાવવા માટે સત્તાવાર એજન્ડા બહાર પાડવાની કડક સૂચના આપી દીધી છે. આગામી તારીખ 26 અને 28ના રોજ બે તબક્કામાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે, જેનાથી માત્ર બે જ દિવસની અંદર તમામ 15 શહેરોને નવા મેયર મળી જશે.
રાજકીય ગરમાવા વચ્ચે આગામી તારીખ 26 ના રોજ પ્રથમ તબક્કામાં મેગા સિટી અમદાવાદ સહિત જામનગર, મહેસાણા, પોરબંદર, મોરબી, ગાંધીધામ,, નવસારી અને નડિયાદ ખાતે જનરલ બોર્ડની બેઠક મળશે. આ બેઠકો દરમિયાન સત્તાવાર રીતે નવા મેયર અને હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવશે.
જ્યારે બીજા તબક્કામાં એટલે કે તારીખ 28ના રોજ રાજ્યના અન્ય મહત્વના મહાનગરો જેવા કે સુરત, રાજકોટ, ભાવનગર અને વડોદરા ઉપરાંત વાપી, આણંદ અને સુરેન્દ્રનગરમાં ખાસ જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી છે. આ દિવસે આ શહેરોના નવા પ્રથમ નાગરિક એટલે કે મેયરના નામ પર આખરી મહોર મારવામાં આવશે.
પક્ષીય હાઈકમાન્ડના આદેશ અનુસાર, જે-તે મહાનગરપાલિકાના પ્રભારીઓ જનરલ બોર્ડની બેઠક પૂર્વે પક્ષના મેન્ડેટ સાથેના નામની જાહેરાત કરશે. ભાજપ શાસિત આ મનપાઓમાં આંતરિક કલહ ન થાય અને શિસ્તબદ્ધ રીતે પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પ્રભારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. સરકારની સૂચના મળતા જ તમામ કોર્પોરેશનો દ્વારા જનરલ બોર્ડનો એજન્ડા જાહેર કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
રાજકોટ મનપા માટે ચર્ચાતા નામો
રાજકોટ મહાનગર પાલિકામાં આ વખતે મેયર પદ માટે સામાન્ય અનામત હોવાથી ભારતીય જનતા પાર્ટી પાટીદાર અથવા બ્રાહ્મણ સમાજને સ્થાન આપે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે. તેમાં પણ આવનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી મેયર પદ પર પ્રથમ પાટીદારને જ મહત્વ આપવામાં આવ તેવી શક્યતા સેવાઈ રહી છે. જો કે સરકાર અને સંગઠન દ્વારા અન્ય તમામ જગ્યા પર જ્ઞાતિ આધારિત સમીકરણો નક્કી કરી આ માટે ફાઇનલ નિર્ણય લેવામાં આવશે.
રાજકોટમાં મેયર પદ માટે પાટીદાર સમાજમાંથી મેયર તરીકે જાહેરાત કરવામાં આવે તો કેતન પટેલ, દિલીપ લુણાગરિયા અથવા પરેશ પીપળીયાને સ્થાન આપવામાં આવી શકે છે અને બ્રાહ્મણ સમાજમાંથી બનાવવામાં આવે તો નેહલ શુકલા, પરેશ ઠાકર અને મનીષ ભટ્ટનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે. જયારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ પર ઓબીસી સમાજને સ્થાન આપવામાં આવ તેવી શક્યતા સેવાઈ રહી છે અને તેમાં ઘનશ્યામ હેરભા અથવા પૂર્વ મેયર ડો. પ્રદિપ ડવને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. ડેપ્યુટી મેયર પદ માટે કોઈ મહિલાને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.


