સોમનાથ કોરિડોરમાં ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના શૂરવીરોનો ગૌરવપૂર્ણ ઉલ્લેખ કરવા મુખ્યમંત્રીને રજૂઆત
ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના યુવાનોએ ગાંધીનગર મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત કરી રજુઆત કરી
અગ્ર ગુજરાત, વીરપુર
શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત શોર્યગાથા ટ્રસ્ટ (સૌરાષ્ટ્ર પ્રાંત) દ્વારા પ્રભાસ પાટણ ખાતે નિર્માણ પામી રહેલા ભવ્ય “સોમનાથ કોરિડોર”માં ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના ઐતિહાસિક યોગદાન, શૂરવીર પૂર્વજો તથા ધર્મરક્ષક બલિદાનોને સત્તાવાર અને ગૌરવપૂર્ણ સ્થાન આપવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ સમાજના યુવાનો ગાંધીનગર ખાતે સચિવાલયમાં પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી સાથે રૂબરૂ મુલાકાત કરીને સમાજના ઇતિહાસ, પરંપરા અને બલિદાન અંગે વિગતવાર રજૂઆત કરી હતી.
રજૂઆતમાં જણાવાયું હતું કે ભગવાન સોમનાથ મહાદેવના મંદીરની રક્ષા કાજે વિધર્મી આક્રમણો સામે અનેક રાજપુત શૂરવીરોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. સોમનાથની સખાતે ચડનાર આ શૂરવીર રાજપુતોના વંશપરંપરાગત અસ્તિત્વમાંથી “ખાંટ રાજપૂત” તરીકે ઓળખ મેળવનાર એક અલગ ઐતિહાસિક સમાજ અસ્તિત્વમાં આવ્યો, જેને આજે ક્ષત્રિય ખાંટ રાજપૂત દરબાર સમાજ તરીકે ઓળખવામાં આવે છે.
ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ સોમનાથની સખાત, બારોટી ચોપડા, વંશાવળી આધારિત ઇતિહાસ, સાહિત્યિક પુરાવાઓ તથા સમાજના શૂરવીરોના બલિદાનોને લગતા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. સમાજના પૂર્વજોએ સોમનાથ મહાદેવની રક્ષા માટે આપેલા બલિદાનો અને ઐતિહાસિક યોગદાનને આવનારી પેઢી સુધી પહોંચાડવા સોમનાથ કોરિડોરમાં યોગ્ય સ્થાન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના યુવાનોની રજૂઆત અત્યંત શાંતિપૂર્ણ અને ગંભીરતાથી સાંભળી હતી. તેમણે સમાજ દ્વારા કરવામાં આવેલા પુરાવાઓનું નિરીક્ષણ કર્યું હતું અને આપણી સાંસ્કૃતિક ધરોહર તેમજ સુવર્ણ ઇતિહાસને ઉજાગર કરવાના આ પ્રયાસની વિશેષ પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની હકારાત્મક ખાતરી પણ આપી હતી.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2026 દરમિયાન સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે “સોમનાથ અમૃત પર્વ” સહિત અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ક્ષત્રિય ખાંટ રાજપૂત શોર્યગાથા ટ્રસ્ટ દ્વારા જણાવાયું હતું કે સમાજના ગૌરવશાળી ઇતિહાસ, શૂરવીરતા અને બલિદાનને સત્તાવાર રીતે સ્થાન મળે તે માટે આવનારા સમયમાં પણ સકારાત્મક અને દસ્તાવેજી પ્રયાસો સતત ચાલુ રાખવામાં આવશે,આ રજૂઆતથી સમગ્ર સમાજમાં ગૌરવની લાગણી વ્યાપી છે.


