ધરાર માર્કેટ તોડી પાડતા 300 પરિવારના ગુજરાન પર સવાલ
વૈકલ્પીક વ્યવસ્થાની ખાતરી આપ્યા બાદ પણ કોઈ સુવિધા નહીં કરી આપતા ધંધાર્થીઓ મનપા કચેરીમાં દોડી ગયા
મોંઘવારીના કપરા સમયમાં ધંધો છીનવાઈ જતાં પરિવારનું ગુજરાન મુશ્કેલ બન્યું: તાકિદે વ્યવસ્થા કરી આપવા માંગણી
અગ્ર ગુજરાત, રાજકોટ
સંતકબીર રોડ પર વર્ષોથી ધમધમતી અને 300 પરિવારનું ગુજરાન ચલાવતી ધરાર માર્કેટ પાડી નાંખતા વિવાદ સર્જાયો છે. ધંધા વિહોણા બનેલા ધંધાર્થીઓએ આજે મહાનગરપાલિકા કચેરીમાં હલ્લાબોલ કરી ન્યાયીક કાર્યવાહી કરવા અધિકારીને આવેદન પાઠવ્યું હતું અને વૈકલ્પીક વ્યવસ્થાની પણ માંગણી કરી હતી. લાખાજીરાજ માર્કેટ બાદ વધુ એક જૂની માર્કેટ ચર્ચામાં આવી છે.
આવેદનપત્રમાં વેપારીઓએ તેમની વર્ષો જૂની રોજગારી અને વર્તમાન પરિસ્થિતિ અંગે રજૂઆત કરી છે. અને જણાવ્યું છે કે, સંતકબીર રોડ પર આવેલા સંજયનગર હોકર્સ ઝોનમાં દુધેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આશરે 20 વર્ષ કરતાં વધુ સમયથી આ તમામ નાના વેપારીઓ સરકારના નિયત ધારાધોરણો મુજબ પોતાની રોજીરોટી કમાય છે અને નિયમિતપણે વહીવટી પ્રક્રિયાઓનું પાલન કરે છે. મહાપાલિકા દ્વારા અગાઉ વેપારીઓને એવું આશ્વાસન અને ખાતરી આપવામાં આવી હતી કે માર્કેટના રિનોવેશન અને આધુનીકરણના હેતુસર આ જગ્યા હાલ પૂરતી ખાલી કરાવવાની જરૂર છે.
તંત્ર દ્વારા વચન આપવામાં આવ્યું હતું કે આ જગ્યાએ નવું માર્કેટ ઊભું કરવામાં આવશે અને તમામ હોકર્સને નવા થડા તથા સુવિધાઓ બનાવી આપવામાં આવશે. તંત્રના આ વચન અને વિશ્વાસ પર ભરોસો રાખીને તમામ 4 હોકર્સ ઝોનના વેપારીએ સ્વૈચ્છિક રીતે અને કોઈપણ પ્રકારના વિરોધ વિના શાંતિપૂર્વક જગ્યા ખાલી કરી આપી હતી. પરંતુ જગ્યા ખાલી થઈ ગયા બાદ તંત્ર દ્વારા આ ગરીબ ધંધાર્થીઓને વૈકલ્પિક વેપાર માટે કોઈપણ હંગામી જગ્યા કે પ્લેટફોર્મ ફાળવવામાં આવ્યું નથી, જેના કારણે વેપારીઓ રઝડી પડ્યા છે. આવેદનપત્રમાં વેપારીઓએ પોતાની આર્થિક કટોકટી અને લાચારી વ્યક્ત કરતા લખ્યું છે કે, આ હોકર્સ ઝોનમાં અંદાજે 300 થી વધુ નાના વેપારીઓ આખો દિવસ મજૂરી કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે.
આ તમામ શ્રમજીવીઓ માત્ર અને માત્ર પોતાના આ એક જ પરંપરાગત વ્યવસાય પર નિર્ભર છે. તેમની પાસે આવકનો અન્ય કોઈ સ્રોત નથી કે તેઓ અન્ય કોઈ નવો ધંધો કે વ્યાપાર શરૂ કરી શકે તેમ નથી. ડિમોલિશનના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ધંધો સંપૂર્ણપણે બંધ થતાં તમામ રોજમદારો અને નાના વેપારીઓ અત્યારે આર્થિક સંકટના ઘેરા કૂવામાં ધકેલાઈ ગયા છે. રોજનું લાવીને રોજ ખાતા આ પરિવારો સામે હવે ભૂખે મરવાનો નોબત આવી ગઈ છે. વેપારીઓએ તંત્રને સણસણતો સવાલ કર્યો છે કે જો સરકારે માર્કેટ બનાવવાનું વચન આપ્યું હતું, તો અત્યારે અચાનક આ જગ્યા કોઈ ખાનગી માલિકીની હોવાનું કહીને હાથ અધ્ધર કેમ કરી લેવામાં આવી રહ્યા છે? વેપારીઓએ માંગ કરી છે કે મનપા આ બાબતે સકારાત્મક અને માનવીય અભિગમ અપનાવીને તાત્કાલિક યોગ્ય નિર્ણય લે અને વેપારીઓને રોજગારી માટે વૈકલ્પિક પ્લેટફોર્મ પૂરું પાડવા માંગ કરાઈ છે.
અમને ત્યાં જ હોકર્સ ઝોન ફાળવી આપો: ધંધાર્થી
શાકમાર્કેટના ડિમોલિશન બાદ મનપા કચેરીએ ન્યાય માંગવા પહોંચેલા મહિલા વેપારી સરોજબેને જણાવ્યું હતું કે, અમે સરકારને એક જ નમ્ર અપીલ કરવા આવ્યા છીએ કે અમને જ્યાં અમે બેસતા હતા ત્યાં જ હોકર્સ ઝોન અથવા માર્કેટ બનાવી આપવામાં આવે. અમે સરકાર સાથે કોઈ લડાઈ કરવા નથી માંગતા, અમે સરકારને સહકાર આપવા તૈયાર છીએ. અમે અગાઉ પણ સરકારને ટેક્સ અને પાસની પહોંચના પૈસા ચૂકવતા હતા અને ભવિષ્યમાં પણ જે કંઈ ચાર્જ નક્કી થશે તે નિયમિત ભરવા તૈયાર છીએ. આ અમારી આજીવિકાનો સવાલ છે.
રોજગારી છીનવાતા પરિવારનું ભરણપોષણ કપરૂ બન્યું: વેપારી
સ્થાનિક વેપારી ભોલાભાઈએ જણાવ્યું કે, આ મોંઘવારીના કપરા સમયમાં મોટાભાગના ધંધાર્થીઓએ લોન લઈને પોતાના વેપાર ઉભા કર્યા છે. છેલ્લા 1.5 થી 2 મહિનાથી રોજગારી છીનવાઈ જતાં પરિવારનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ બન્યું છે. મજબૂરીવશ જ્યારે વેપારીઓ રોડની આજુબાજુ કે અન્ય ખુલ્લી જગ્યાએ ઉભા રહીને ધંધો કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે મનપાની દબાણ હટાવવાની ગાડીઓ આવીને તેમને ત્યાંથી પણ ભગાડી મૂકે છે. ચાલુ માર્કેટ બંધ કરાવીને તંત્રએ વેપારીઓને બેહાલ કરી દીધા હોવાથી, આજે તમામ ધંધાર્થીઓએ એકઠા થઈને સત્તાધીશો સમક્ષ આજીવિકા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા ઉગ્ર રજૂઆત કરી છે.


