દાદાના લોહીથી રંગાયો લોભનો ખેલ
રામાપીર ચોકડી નજીક મિલ્કત માટે પૌત્રે જ કરી વૃદ્ધ દાદાની હત્યા
પહેલા ગેસના બાટલાની ઝપાઝપીની ખોટી કહાની ઘડી હતી, પોલીસની કડક પૂછપરછમાં ભાંડો ફૂટ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. કિંમતી પ્લોટ પોતાના નામે કરાવવાની લાલચમાં એક પૌત્રે પોતાના જ સગા દાદાને મોતને ઘાટ ઉતારી દીધાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે. શરૂઆતમાં આ સમગ્ર બનાવને અકસ્માત અથવા ગેસના બાટલાને લઈને થયેલી ઝપાઝપીનો રંગ આપવા પ્રયાસ કરાયો હતો, પરંતુ પોલીસની તીવ્ર પૂછપરછમાં આરોપી આખરે ભાંગી પડ્યો અને આખો ગુનો ખુલ્લો પડી ગયો હતો.
ગઈકાલે રાજકોટના રામાપીર ચોકડી વિસ્તારમાં 73 વર્ષીય અરજણભાઈ દેવદાનભાઈ મીયાત્રાનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયેલું હતું. શરૂઆતમાં પરિવારજનોને કહેવામાં આવ્યું હતું કે તેઓ પડી જતા માથામાં ઇજા પહોંચી હતી. પરંતુ ઘટનાસ્થળની પરિસ્થિતિ અને આરોપીના વર્તનથી પરિવારજનોને શંકા જતા મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો. આ બનાવ અંગે રેલનગર વિસ્તારમાં રહેતા હરીભાઈ મેરામભાઈ મકવાણાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે મોહિત રમેશ મીયાત્રા સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
ફરિયાદી હરીભાઈએ પોલીસને જણાવ્યું હતું કે તેમના લગ્ન વર્ષ 2000માં અરજણભાઈની દીકરી નીતાબેન સાથે થયા હતા. તેઓ બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમના સસરા અરજણભાઈ છેલ્લા ઘણા સમયથી શાસ્ત્રીનગર મેઇન રોડ પાસે આવેલા પોતાના ઘરે એકલા રહેતા હતા. પત્નીનું બે વર્ષ પહેલાં અવસાન થયા બાદ તેઓ એકલવાયું જીવન જીવી રહ્યા હતા. ગઈકાલે વહેલી સવારે આશરે પોણા સાત વાગ્યાના અરસામાં હરીભાઈને તેમના ભાણેજ મોહિતનો ફોન આવ્યો હતો. ફોનમાં મોહિતે જણાવ્યું હતું કે દાદા ઘરમાં પડી ગયા છે અને તેમના માથામાં ગંભીર ઇજા થઈ છે. આ માહિતી મળતા જ હરીભાઈ તાત્કાલિક સસરાના ઘરે દોડી ગયા હતા.
ઘરે પહોંચતા જ દ્રશ્ય જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા. અરજણભાઈ ઓસરી અને રૂમના દરવાજા વચ્ચે લોહીલુહાણ હાલતમાં પડેલા હતા. માથામાંથી ભારે પ્રમાણમાં લોહી વહેતું હતું અને આસપાસ પણ લોહીના ડાઘ જોવા મળ્યા હતા. મોહિત અને તેનો ભાઈ સાગર ત્યાં હાજર હતા. પરંતુ ઘટનાના સમયે મોહિતનું વર્તન પરિવારજનોને શંકાસ્પદ લાગ્યું હતું. કારણ કે તેણે દાદાને હોસ્પિટલ લઈ જવાની પણ ના પાડી હતી અને પોસ્ટમોર્ટમ કરાવવાની જરૂર નથી તેવી વાતો કરી હતી. આ વાતથી પરિવારજનોને શંકા વધુ ગાઢ બની હતી. ત્યારબાદ અન્ય સગાઓએ 108 એમ્બ્યુલન્સ બોલાવી અરજણભાઈને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
હોસ્પિટલમાં ડોક્ટરે મૃતકના માથાના પાછળના ભાગે બોથડ પદાર્થના ઘા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મોહિતને ફરી પૂછપરછ કરવામાં આવતા તેણે કહાની બનાવી હતી કે તે સવારે ગેસનો બાટલો લેવા આવ્યો હતો અને તે સમયે દાદા નીચે પડી ગયેલા હતા. તેણે દાદાને ફળીયામાંથી ખેંચીને ઓસરીમાં લાવ્યાનો દાવો કર્યો હતો. પરંતુ પોલીસને આ વાતમાં અનેક ગૂંચવણો જણાઈ હતી. ઘટનાસ્થળના લોહીના નિશાન, મૃતકના શરીર પરની ઇજાઓ અને આરોપીના નિવેદનમાં વિસંગતતા દેખાતા પોલીસે આગવી ઢબે પૂછપરછ શરૂ કરી હતી. અંતે મોહિત ભાંગી પડ્યો અને દાદાની હત્યા કર્યાની કબૂલાત આપી દીધી હતી.
તપાસ દરમિયાન પરિવારજનો દ્વારા પણ મહત્વની વિગતો પોલીસ સમક્ષ મૂકવામાં આવી હતી. જાણવા મળ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી અરજણભાઈ અને મોહિત વચ્ચે મિલ્કતને લઈને સતત વિવાદ ચાલતો હતો. અરજણભાઈ પાસે શાસ્ત્રીનગર મેઇન રોડ પર કિંમતી પ્લોટ આવેલો હતો અને તેઓ આ મિલ્કત પોતાની દીકરીઓના નામે કરવા ઇચ્છતા હતા.
અંદાજે છ મહિના પહેલાં અરજણભાઈએ પોતાના જમાઈઓ અને અન્ય નજીકના સગાઓને બોલાવી મિલ્કત દીકરીઓને આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે પરિવારજનોએ તે સમયે કોઈ દબાણ ન કરવાનું જણાવ્યું હતું. પરિવારજનોના જણાવ્યા અનુસાર મોહિત અગાઉ પણ દાદાની ખેતીની જમીનના આધાર પર ધીરાણ ઉપાડી ચૂક્યો હતો. આ મુદ્દે દાદા અને પૌત્ર વચ્ચે વારંવાર બોલાચાલી અને ઝઘડા થતા રહેતા હતા. એટલું જ નહીં, થોડા દિવસ પહેલાં અરજણભાઈએ પોતાના મોટા ભાઈને ઘરે રોકાવા માટે બોલાવ્યા હતા. તેમણે નજીકના લોકોને કહ્યું હતું કે મોહિત અને તેનો પરિવાર તેમની સાથે ઝઘડો કરે છે અને પોતાને જીવનું જોખમ હોવાની ભીતિ છે.
આ તમામ પરિસ્થિતિઓને આધારે પોલીસે તારણ કાઢ્યું હતું કે મિલ્કત હડપ કરવાની લાલચમાં મોહિતે પૂર્વયોજિત રીતે પોતાના દાદાની હત્યા કરી હતી. પોલીસે આરોપી સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. સમગ્ર ઘટનાએ રાજકોટ શહેરમાં ભારે ચકચાર મચાવી છે. એક તરફ વૃદ્ધ દાદા પરિવારના સહારે જીવન વિતાવી રહ્યા હતા, તો બીજી તરફ જેઓ પર વિશ્વાસ રાખ્યો એ જ પૌત્રે મિલ્કતની લાલચમાં તેમનો જીવ લઈ લીધો હોવાનો આક્ષેપ થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સી. એન. દવે અને તેમની ટીમ દ્વારા સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હત્યામાં કયા પ્રકારના હથિયારનો ઉપયોગ થયો હતો અને બનાવ પૂર્વયોજિત હતો કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.


