બારડોલીના ઉવા ગામ નજીક બે સરકારી બસો વચ્ચે અકસ્માત, એકમાં આગ, ૭ યાત્રિકો ભડથું
૧૭થી વધારે મુસાફરો ઘાયલ થતા સારવારમાં ખસેડાયા : પલટી મારી ગયેલા ટ્રેકટરવાળાને બચાવવા જતાં સર્જાયેલી કરૂણાંતિકા : પરિવારમાં શોકનો માહોલ
અગ્ર ગુજરાત, સુરત
સુરત જિલ્લાના બારડોલી તાલુકામાંથી એક અત્યંત ગોઝારો અકસ્માત સર્જાયો છે. બારડોલીના ઉવા ગામ નજીક મહારાષ્ટ્ર પાસિંગની બે સરકારી એસ.ટી. બસો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 7 મુસાફરોના કરુણ મોત થયા હોવાની પ્રાથમિક માહિતી આવી છે. 17 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં 9 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી હોવાથી સુરત રિફર કરવામાં આવ્યા છે.
રસ્તા પર પલટી મારી ગયેલા એક પાણીના ટ્રેક્ટરવાળા ટેન્કરને બચાવવા જતાં આ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બસમાં ટક્કર બાદ તુરંત જ ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ ફાટી નીકળી એ પહેલાં બસમાં ઈજા પામેલા કંડક્ટરે બસમાં સવાર મુસાફરોને બહાર કાઢીને બચાવ્યા હતા. જોકે, બસમાં આગ લાગી એ પહેલાં જ તે બેભાન થઈ ગયો હતો.
સુરત કલેક્ટર તેજસ પટેલે જણાવ્યું હતું કે, અમારી પાસે હાલ આંકડો છે, તે મુજબ 7ની ડેથ થઈ છે. તમામ ડેડબોડીની લિગલ પ્રોસેસ કરવામાં આવશે. અત્યારે અમારી પ્રાથમિકતા ઈજાગ્રસ્તોને સારવાર મળે, જેથી મૃત્યુ આંક વધુ ન થાય. પરિવારજનોને જાણ થાય તેમને સોંપવાની કામગીરી કરીશું. ધૂળેના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાથે આ અંગે વાતચીત થઈ છે. બંને બસોના નંબર આપી દેવાયા છે.પ્રશાસન, પોલીસ અને મેડિકલ ટીમે કોઓર્ડિનેશનમાં રહીને કામગીરી કરી છે.
સુરત કલેક્ટર તેજસ પટેલે દુર્ઘટના અંગે જણાવ્યું હતું કે, બપોર બાદ સાડા ચાર વાગ્યે અકસ્માત થયો હતો. એક ટેન્કર સાથે બસ અથડાઈ હતી અને તે જ બસ સાથે બીજી અથડાઈ હતી. અકસ્માતની બારડોલીના ફાયર વિભાગને જાણ કરાતા ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જ્યાં ફાયર ટીમે સળગેલી બસની આગ કાબૂમાં લેવા કામગીરી કરી હતી. ત્યાંથી ડેડબોડીને હોસ્પિટલ લાવવામાં આવી છે. જ્યારે ઈજાગ્રસ્તોને 3 જુદીજુદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે જઈને કાર્યવાહી કરી હતી. મામલતદાર, એસડીએમ અને એસપી દોડી ગયા હતા. પોતે હજીરા ખાતેથી મિટિંગમાં મેસેજ મળતાં દોડી આવ્યા હતા.
ઢળી પડયો ત્યાં સુધી કંડકટર ઝઝૂમ્યો
જામનેરથી સુરત જતી મહારાષ્ટ્ર એસટી બસના સફન્ડે નામદેવ ચિત્રા નામના ઈજાગ્રસ્ત કંડક્ટરે જણાવ્યું હતું કે, આગળની ગાડીવાળીએ ટક્કર મારી હતી. જેથી બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. બસમાં 35 જેટલા મુસાફર હતા. ડીઝલ બસમાં આગ લાગી ગઈ હતી. બસમાં સવાર મુસાફરોને બચાવ્યા હતા અને બાદમાં પોતે બેહોશ થઈ ગયો હતો. મારાથી જેટલો પ્રયાસ થઈ શક્યો એટલા લોકોને કાઢ્યા હતા, મહિલા, બાળકો સહિતને બહાર નીકળ્યા હતા. પરંતુ આગ લાગી ગઈ, મને માથામાં વાગ્યું હતું, બેભાન થયા પછી શું થયું એ ખબર નથી. ડ્રાઈવરને કાઢીને રોડ પર લઈ ગયો હતો. પરંતુ મને વાગ્યું એટલે પછી કંઈ ખબર નથી.


