વલ્લભીપુરમાં પશુ ચોર ગેંગનો તરખાટ : ૧૫ દિવસમાં ૫૦થી વધુની ચોરી
‘ચોર આવે ત્યારે ફોન કરજો’ કહી PI ભલગરીયાએ માલધારીઓને કાઢી મૂક્યા હોવાનો આક્ષેપ, ઉગ્ર આંદોલનની ચીમકી
ન્યાયની આશાએ ગયેલા ૭૦થી વધુ લોકોને બેસાડી રાખ્યા, PIના નિવેદનથી લોકરોષ ભભૂક્યો
અગ્ર ગુજરાત, વલ્લભીપુર
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી સક્રિય બનેલી પશુ ચોર ગેંગે ભારે આતંક મચાવ્યો છે. તાલુકાના ભાલ પંથકના ગ્રામ્ય વિસ્તારોને નિશાન બનાવીને તસ્કર ગેંગ માત્ર ૧૫ દિવસની અંદર જ ૫૦થી વધુ કિંમતી પશુઓ હંકારી ગઈ છે. લાખો રૂપિયાની કિંમતના પશુઓની ચોરી થતાં સ્થાનિક પશુપાલકો અને માલધારી સમાજમાં ભારે રોષ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. વારંવાર થતી ચોરીઓથી કંટાળીને આજે મોટી સંખ્યામાં ગ્રામજનો અને માલધારીઓ ન્યાયની વનવાસી થઈ વલ્લભીપુર મામલતદાર તેમજ પોલીસ સ્ટેશને લેખિત આવેદનપત્ર પાઠવવા દોડી ગયા હતા.
પોલીસ સ્ટેશને ન્યાયની આશા સાથે પહોંચેલા ૭૦થી વધુ માલધારીઓ અને આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, વલ્લભીપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. ભલગરીયાએ તેમની વાત સાંભળવાના બદલે લાંબો સમય સુધી બહાર બેસાડી રાખ્યા હતા. ત્યારબાદ જ્યારે માલધારીઓ રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે પી.આઈએ અત્યંત બેજવાબદાર અને ઉદ્ધત વલણ દાખવ્યું હતું. માલધારીઓના જણાવ્યા અનુસાર, પી.આઈ. ભલગરીયાએ ઉકળતા સ્તરે રોષે ભરાઈને કહ્યું કે, “પોલીસ તેની કાર્યવાહી કરશે, પણ જ્યારે ચોર ચોરી કરવા આવે ત્યારે અમને જાણ કરજો!” કાયદો અને વ્યવસ્થાના રક્ષકો દ્વારા આવા બિનજવાબદાર નિવેદનો અપાતા હાજર રહેલા પશુપાલકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.
પોલીસ સ્ટેશનના આ પ્રકારના નકારાત્મક વલણ બાદ રોષે ભરાયેલા માલધારીઓએ મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, “સ્થાનિક પોલીસને માત્ર દારૂ અને જુગારના કેસો પકડવામાં જ રસ છે. ગરીબ માલધારીઓના રોજગાર સમાન પશુઓને ચોરી જતી ગેંગને પકડવામાં પોલીસને કોઈ જ રસ નથી.” પશુપાલકોએ વહીવટી તંત્રને ખુલ્લી ચીમકી આપતા જણાવ્યું છે કે, જો આગામી ટૂંક સમયમાં પશુ ચોરી કરનારી આ શાતિર ગેંગને જેલના સળિયા પાછળ ધકેલવામાં નહીં આવે, તો સમગ્ર ભાલ પંથકના ગામ લોકો અને માલધારીઓ એકઠા થઈને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડશે, જેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસની રહેશે.


