ભવનાથમાં સરકારની દખલગીરીથી સનાતન પરંપરાઓ જોખમમાં : મહંત શિવગીરીનો આક્ષેપ
મહાઆરતી, પૂજા સહિતની શિવ પરંપરા તૂટી છે, ૧૦ મહિનામાં કારણ આપ્યા વગર બે સાધુઓની હકાલપટ્ટી કરી : મહંતના આક્ષેપથી ચકચાર
અગ્ર ગુજરાત, જૂનાગઢ
લાખો ભક્તો અને નાગા સાધુઓની આસ્થાનું પરમ કેન્દ્ર એવું જૂનાગઢનું ઐતિહાસિક ભવનાથ મહાદેવ મંદિર ફરી એકવાર મોટા વિવાદના કેન્દ્રમાં આવ્યું છે. મંદિરમાં સાધુતાનો અભાવ, સરકારી તંત્રની કથિત નિષ્ક્રિયતા, પવિત્ર શિવ પરંપરાઓનો ભંગ તેમજ સંસારી (ઓફિશિયલ) સ્ટાફના હાથમાં વહીવટ સોંપાતા ભગવાનના ભોગ-થાળ અને પૂજા પદ્ધતિમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવતી હોવાના સણસણતા આક્ષેપો સામે આવ્યા છે. ભવનાથ મહાદેવના ઉપાસક સાધુ શિવગીરી બાપુએ પ્રશાસન સામે મોટો સ્ફોટ કર્યો છે. બીજી તરફ, હાલ મંદિરનું સંચાલન સંભાળતા વિસાવદરના પ્રાંત અધિકારી ચિરાગ હીરવાણીયાએ આ તમામ આક્ષેપોને સખત શબ્દોમાં નકારી કાઢીને વહીવટ સંપૂર્ણ પારદર્શક અને શાસ્ત્રોક્ત વિધિથી ચાલતો હોવાનો દાવો કર્યો છે.
છેલ્લા દોઢ વર્ષથી ભવનાથ મંદિરે નિયમિત સેવા-પૂજા અને તપ કરતા સાધુ શિવગીરી બાપુએ પ્રશાસનની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, “પાંચેક દિવસ પહેલા મને એસ.ડી.એમ. (SDM) એ રૂબરૂ મુલાકાત માટે બોલાવીને સીધું જ કહી દીધું કે—બાપુ, તમે કાલથી અહીંયા સવારે ન બેસતા, માત્ર સાંજે આરતીના સમયે આવી, આરતી કરી અને જતા રહેજો, અહીંયા વધારે સમય બેસવાનું નથી. જ્યારે મેં આ નિર્ણય પાછળનું કાયદેસરનું કારણ પૂછ્યું, ત્યારે અધિકારીએ એવો લુખ્ખો જવાબ આપ્યો કે તમે બેસો છો તેનાથી વિવાદ થાય છે. જો સાધુઓ જ પોતાના આરાધ્યના મંદિરમાં તપ-જપ નહીં કરે તો ક્યાં જશે?”
બાપુએ વધુમાં આક્ષેપ કર્યો કે, જ્યારથી સરકારે આ મંદિરનો વહીવટ સંભાળ્યો છે ત્યારથી સનાતન પરંપરાઓ જોખમાઈ છે. છેલ્લા ૧૦ મહિનામાં કોઈ પણ કારણ આપ્યા વિના અન્ય બે સાધુઓની પણ આ જ રીતે હકાલપટ્ટી કરવામાં આવી છે. તંત્ર માત્ર પુજારીઓ અને મેનેજરો દ્વારા જ આખું પ્રશાસન ચલાવવા માંગે છે અને સાધુઓની કોઈ કિંમત રહેવા દીધી નથી. અગાઉના સાધુ વહેલા 3 વાગ્યે ઊઠીને મંગળા આરતી કરતા હતા, જે શિવ પરંપરા હવે તૂટી રહી છે.
તંત્રની કામગીરી પર શિવગીરી બાપુએ ઉઠાવેલા સવાલો
નિયમોનો ભંગ: ગર્ભગૃહમાં જળાભિષેક અને પૂજા જેવી પવિત્ર વિધિઓ માત્ર 2થી 5 મિનિટમાં ઉતાવળે પૂરી કરાવી દેવાય છે. પુરુષો પેન્ટની ઉપર જ સીધેસીધી ધોતી લપેટીને પૂજામાં બેસી જાય છે.
પૂજાના નામે ઉઘાડી લૂંટ: મંદિરમાં સોળસો પૂજા કરાવવા માટે ભવનાથ મંદિર ટ્રસ્ટ ભાવિકો પાસેથી ₹500નો ચાર્જ વસૂલે છે. અગાઉ પરંપરાગત મહંતના સમયે પૂજા સામગ્રી મંદિર તરફથી અપાતી હતી, જ્યારે અત્યારે મેનેજર ભક્તોને જ બધો પૂજા સામાન સાથે લાવવા કહે છે. જો બધી સામગ્રી ભક્તોએ લાવવાની હોય, તો તંત્ર આ ₹500 શેના માટે વસૂલે છે?
ભગવાનના ભોગનું અપમાન: નીતિનિયમ પ્રમાણે સવાર-બપોરનો થાળ સમયસર ધરાવવાનો હોય છે, પરંતુ પ્રશાસનને ભોગનો ચોક્કસ સમય જ ખબર નથી. ક્યારેક પાંચ તો ક્યારેક સાત થાળ મરજી મુજબ ધરાવાય છે. કેટલીકવાર તો એક વાટકીમાં માત્ર બે થેપલાના કટકા નાખીને જ ભગવાનને ભોગ ધરી દેવામાં આવે છે, જે મહાદેવનું ઘોર અપમાન છે. પ્રશાસન જાણે-અજાણે ‘શિવ દોષ’ના મહાપાપનું ભાગીદાર બની રહ્યું છે. તંત્ર પાટોત્સવ ઉજવવાનું પણ વિસરી ગયું છે.
આક્ષેપો પાયાવિહોણા છે : પ્રાંત ચિરાગ હીરવાણીયા
સાધુ દ્વારા લગાવવામાં આવેલા તમામ આક્ષેપો સામે ભવનાથ મંદિરના વહીવટદાર અને વિસાવદરના પ્રાંત અધિકારી ચિરાગ હીરવાણીયાએ મક્કમતાપૂર્વક ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, “ભવનાથ મંદિરની અંદર અત્યારે પ્રશાસન દ્વારા એક મેનેજર અને બે સત્તાવાર પૂજારીઓ રાખવામાં આવેલા છે, જેઓ સરકારના પે-રોલ પર છે અને નિયમિત પૂજા-અર્ચના ખૂબ જ સારી રીતે કરે છે. કલેક્ટરે વહીવટદાર તરીકે નિમેલી ટીમ દ્વારા દરરોજ સવાર-સાંજની પૂજા વિધિ, આરતી અને થાળ સંપૂર્ણ ધાર્મિક પ્રથાઓ અનુસાર જ થાય છે.” શિવગીરી બાપુ અંગે સ્પષ્ટતા કરતા તેમણે ઉમેર્યું કે, “શિવગીરી બાપુ એ મંદિરમાં કોઈ મહંત તરીકે નિમણૂક પામેલા અધિકૃત વ્યક્તિ નથી. તેઓ માત્ર મંદિરમાં આવીને લાંબો સમય બેસી રહેતા હતા. પૂજા કે આરતી સમયે હાજર રહેવાની તેમને છૂટ છે, પરંતુ લાંબો સમય મંદિરમાં એક જ જગ્યાએ બેસી રહેવું યોગ્ય નથી, કારણ કે તેનાથી વ્યવસ્થાપનના અન્ય પ્રશ્નો અને સુરક્ષા વિવાદો ઊભા થઈ શકે છે.” કાયમી મહંતની નિમણૂક અંગે તેમણે જણાવ્યું કે આ નિર્ણય આગામી સમયમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાનેથી જ લેવામાં આવશે. હાલમાં મંદિરનો વહીવટ એકદમ પવિત્ર અને પારદર્શી રીતે ચાલી રહ્યો છે.


