મોરબી-હળવદ હાઈ-વે પર ચરાડવા નજીક બનેલી ઘટના
પુત્રને સારવાર માટે લઈ જતા પરિવારનો અકસ્માત, પાંચના મોત
કારખાનામાંથી બહાર નિકળી રોડ ક્રોસ કરતા ડમ્પર સાથે કાર અથડાઈ: અકસ્માતમાં રણછોડગઢ તાલુકા પંચાયતના આપના સદસ્યનું પણ મોત: બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા મોરબી-રાજકોટની હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા: પરિવારમાં શોક
અગ્ર ગુજરાત, મોરબી
મોરબી-હળવદ હાઇવે પર ચરાડવા ગામ નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં પૂરઝડપે આવતી કાર રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાતા પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની આ ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. ઉલ્લેખનીય છે કે, રણછોડગઢ તા.પંના સદસ્ય પ્રેમજી દઢેયાનું પણ આ અકસ્માતમાં મોત થયું છે.
રણછોડગઢ ગામના યુવક પરેશનું હળવદના માનસર ગામ પાસે બાઈક સ્લીપ થયું હતું. જેથી તેને ઈજા પહોંચી હતી. જેને પગલે પરેશના પિતા સહિત તેના ગામના લોકો કિયા કારમાં સવાર થઈને પરેશને સારવાર માટે હોસ્પિટલે લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન ચરાડવા ગામ નજીક પેટ્રોલ પંપની સામેના ભાગમાં કારખાનામાંથી બહાર નીકળી રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે તેમની કાર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, પૂરઝડપે આવી રહેલી કાર ડમ્પરમાં ઘૂસી ગઈ હતી.
આ અકસ્માતમાં કારમાં સવાર કુલ સાત વ્યક્તિઓ પૈકી ત્રણના ઘટનાસ્થળે જ્યારે બે વ્યક્તિના સારવાર દરમિયાન મોત થતાં અકસ્માતમાં કુલ પાંચ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં બાઈકમાં ઈજાગ્રસ્ત થયેલા પરેશનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત આમ આદમી પાર્ટીના રણછોડગઢ તાલુકા પંચાયતના સદસ્ય પ્રેમજી દઢેયાનું પણ મોત થયું છે. જ્યારે પરેશના પિતા સહિત બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત છે જેઓ હાલ મોરબી તથા રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ બનાવમાં કારમાં બેઠેલા વ્યક્તિઓ કારમાં ફસાઈ ગયા હતા. જેથી જેસીબીની મદદથી કારના પતરા ખેંચીને તે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યાં હતા. આ બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી ગયું છે.
મૃતકોના પરિવારજનોના જણાવ્યા અનુસાર, તેઓ હળવદ તાલુકાના માનસર ગામ પાસે બાઈક સ્લીપ થવાથી ઇજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિને હોસ્પિટલે લઈ જઈ રહ્યા હતા. અકસ્માતની જાણ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોના નામ
- સુરેશ વિશાભાઈ સિહોરા (ઉ.વ 47)
- વિરમ ભીમાભાઇ દઢેયા (ઉ.વ 28)
- પરેશ દિલીપભાઈ દઢેયા (ઉ.વ 24)
- પ્રેમજી દઢેયા (ઉ.વ 59)
- ભરત પ્રભુભાઈ દઢેયા (ઉ.વ 39)
ઈજાગ્રસ્તના નામ
- પ્રકાશ ભરતભાઈ દઢેયા (ઉ.વ 25)
- દિલીપ ભગવાનજીભાઈ દઢેયા (ઉ.વ 59)


