જેતપુર-જૂનાગઢ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે જીઆરડી જવાનનું મોત
એકને ગંભીર ઇજા થતા જૂનાગઢ સારવારમાં ખસેડાયો
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુર-જૂનાગઢ નેશનલ હાઈવે પર જેતલસર ગામ નજીક સર્વિસ રોડ પર ગઈકાલે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક અજાણ્યા વાહનચાલકે બાઈક સવાર બે જીઆરડી (GRD) જવાનોને ટક્કર મારતા એક જવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પીપળવા ગામના રહેવાસી જીઆરડી જવાન જગજીવનભાઈ પટોડીયા પોતાની ફરજ પૂર્ણ કરી બાઈક પર પરત ફરી રહ્યા હતા. તેમની સાથે પોપટભાઈ ચાવડા પણ બાઈક પર સવાર હતા. જેતપુરથી પીપળવા તરફ જતા હતા ત્યારે જેતલસર ગામ નજીકના સર્વિસ રોડ પર સામેથી આવી રહેલા એક અજાણ્યા વાહનચાલકે તેમની બાઈકને ધડાકાભેર ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈક ફંગોળાઈ ગઈ હતી.
આ અકસ્માતમાં જગજીવનભાઈ પટોડીયાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે રહેલા પોપટભાઈ ચાવડા ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે જેતપુરની હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ તેમની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ જેતપુર તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહનચાલકને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


