રાજુલાના ખેરામાં પ્રેમસંબંધમાં યુવકના પિતાનું અપહરણ, છોડાવવા ગયેલ પોલીસ પર હૂમલો
PSI સહિત ત્રણ પોલીસ કર્મચારીને ગંભીર ઇજા : યુવકના પિતાને ઝાડ સાથે બાંધી માર માર્યો : ૪૦થી વધારેના ટોળા સામે ગુનો દાખલ
અગ્ર ગુજરાત, અમરેલી
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખેરા ગામમાં પ્રેમસંબંધની આશંકાએ એક યુવકના પિતાનું અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો. તેમને છોડાવવા ગયેલી પીપાવાવ મરીન પોલીસ ટીમ પર અપહરણકર્તાઓએ હુમલો કર્યો હતો, જેમાં PSI સહિત ત્રણ પોલીસકર્મીઓને ઈજા થઈ હતી. આ મામલે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ઘટના ખેરા ગામના દેવશીભાઈ ગુજરીયા સાથે બની હતી. તેમના પુત્રને એક યુવતી સાથે પ્રેમસંબંધ હોવાની આશંકા હતી, જેના કારણે યુવતીના પરિવારજનોને શંકા હતી કે દેવશીભાઈનો પુત્ર યુવતીને ભગાડી ગયો છે. આ બાબતને લઈને કેટલાક ઈસમોએ દેવશીભાઈનું હિંડોરણાથી અપહરણ કર્યું હતું.
અપહરણ બાદ દેવશીભાઈને ખેરા ગામની સીમમાં એક જાંબુડાના ઝાડ સાથે બાંધીને કેટલાક પુરુષો અને સ્ત્રીઓ સહિતના લોકો માર મારી રહ્યા હતા. આ દરમિયાન પીપાવાવ મરીન પોલીસને જાણ થતા PI વી.કે. રાઠોડ, PSI કે.ડી. હડિયા, પોલીસ કર્મચારી ચંપુભાઈ પોપટ, અક્ષયભાઈ મોરી અને મગનભાઈ ધાપા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક દેવશીભાઈ ગુજરીયાને અપહરણકર્તાઓની ચુંગાલમાંથી છોડાવ્યા હતા.
પોલીસ ટીમ દ્વારા અપહરણકર્તાઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ટોળાએ PSI કે.ડી. હડિયા, ચંપુભાઈ પોપટ, અક્ષયભાઈ મોરી અને મગનભાઈ ધાપા સહિતના પોલીસકર્મીઓ પર પથ્થરમારો અને લાકડા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પોલીસકર્મીઓને ગંભીર ઈજાઓ થઈ હતી, જે બાદ તેમને રાજુલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે સમગ્ર મામલે માહિતી મેળવી તાત્કાલિક ગુનો નોંધી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. મોડી રાત્રે DYSP નયના ગોરડીયા અને અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચના PI સી.પી. વાઘેલાની ટીમ પણ હોસ્પિટલ પહોંચી હતી.
પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં પોલીસ પોતે ફરિયાદી બનીને ફરજમાં રૂકાવટ, હુમલો અને અપહરણ સહિતની વિવિધ કલમો હેઠળ 40થી વધુના ટોળા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા મોટા કાફલા સાથે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવશે.


