સાવરકુંડલાના જુના સાવર ગામમાં સપ્તાહથી ગુમ ખેડૂતના હાડકા તેના ખેતરમાંથી મળ્યા
લોહીલુહાણ કપડા, ખેડૂતનો મોબાઇલ, ટ્રેકટર, બૂટ મળ્યા : વન્યપ્રાણીએ ફાડી ખાધાની પ્રબળ આશંકા : લોકોમાં ભારે ફફડાટ
અગ્ર ગુજરાત, સાવરકુંડલા
અમરેલી જિલ્લામાં ફરી એકવાર માનવ અને વન્યજીવ સંઘર્ષની અત્યંત ચોંકાવનારી અને શંકાસ્પદ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભય અને ચકચારનો માહોલ વ્યાપી ગયો છે. સાવરકુંડલા તાલુકાના જુનાસાવર ગામની સીમમાં છેલ્લા 8 દિવસથી રહસ્યમય રીતે ગુમ થયેલા એક સ્થાનિક ખેડૂતના જ ખેતરમાંથી લોહીલુહાણ કપડાં, માનવ હાડકાના ટુકડા અને ખેડૂતનો મોબાઈલ મળી આવતા અરેરાટી ફેલાઈ ગઈ છે. ઘટના સ્થળેથી મૃતદેહને ઢસડ્યો હોવાના ઘસડાવાના નિશાનો પણ મળી આવ્યા છે, જેના કારણે પ્રાથમિક દ્રષ્ટિએ સિંહ અથવા દીપડા જેવા કોઈ હિંસક વન્યપ્રાણીએ ખેડૂત પર હુમલો કરીને તેમને ફાડી ખાધા હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. આ ઘટનાની ગંભીરતાને જોતા સાવરકુંડલા રૂરલ પોલીસ અને વનવિભાગની સંયુક્ત ટીમોએ કાફલો તૈનાત કરી અલગ-અલગ દિશાઓમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
મળતી વિગતો મુજબ, જુનાસાવર ગામના વતની દિલીપભાઈ વાઘજીભાઈ દેસાઈ નામના ખેડૂત ગત આઠ દિવસથી પોતાના ઘરેથી વાડીએ જવાનું કહીને નીકળ્યા હતા, ત્યારબાદ તેઓ ગુમ થયા હતા. પરિવારજનો અને સ્નેહીઓ દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી, પરંતુ આજે તેમના જ ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં વસ્તુઓ મળી આવતા મામલો બિચક્યો હતો. સીમમાં દિલીપભાઈનું ટ્રેક્ટર બિનવારસી હાલતમાં ઊભું હતું અને તેની આસપાસથી લોહીથી ખરડાયેલા કપડાં, બૂટ-ચપ્પલ, કોદાળી તેમજ શરીરના કેટલાક હાડકાના અવશેષો મળી આવ્યા હતા. આ ભયાનક દ્રશ્ય જોતા જ ગ્રામજનોએ તુરંત પોલીસ અને વનવિભાગને જાણ કરી હતી.
આ ચકચારી ઘટના અંગે જુનાસાવર ગામના સરપંચ કલ્પેશભાઈ કાનાણીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, “અમારી વાડી વિસ્તારમાંથી દિલીપભાઈ વાઘજીભાઈ દેસાઈ લાપતા બન્યા હતા, જે અંગે અગાઉ કોઈને જાણ નહોતી. આજે તેમની વાડીમાંથી તેમનું ટ્રેક્ટર, બૂટ-ચપ્પલ, કોદાળી અને લોહીવાળા કપડાં મળી આવ્યા છે. આ સિવાય અન્ય કોઈ આખો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી. આ તમામ પરિસ્થિતિ જોતા વન્યપ્રાણીએ જ તેમના પર હુમલો કર્યો હોય તેવી પૂરેપૂરી આશંકા છે. અમે તાત્કાલિક પોલીસ અને વનવિભાગને જાણ કરતા બંને વિભાગની ટીમો હાલ ઘટનાસ્થળે તપાસ ચલાવી રહી છે.”
વનવિભાગ દ્વારા કામગીરી શરૂ
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ધારી ગીર પૂર્વ ડિવિઝનના DCF વિકાસ યાદવના સીધા માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા રેન્જના આર.એફ.ઓ. (RFO) અને ફોરેસ્ટરોની વિવિધ ટીમો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વનવિભાગ દ્વારા આસપાસના સીમ વિસ્તારમાં કોઈ હિંસક વન્યપ્રાણીના લોકેશન છે કે કેમ, તેમજ તેના પગના નિશાનો (સગડ) મેળવવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. ખેડૂતનો મૃતદેહ શોધવા માટે આસપાસના કોતરો અને ઝાડી-ઝાંખરા વાળા વિસ્તારોમાં હાઈટેક સ્કેનિંગ અને ટ્રેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે, હજી સુધી કોઈ સંપૂર્ણ મૃતદેહ હાથ લાગ્યો નથી, પરંતુ મળી આવેલા હાડકાના આધારે વનવિભાગ પણ વન્યપ્રાણીના હુમલાની શક્યતાને નકારી રહ્યું નથી.


