અમરેલી જિલ્લામાં વધેલા વન્યપ્રાણીઓના હિંસક હૂમલો
રાજુલાના કોવાયામાં સિંહનો આતંક! યુવકને ફાડી ખાધો
સિંહે શિકાર કરતા પાંસળીના ટુકડા, માથુ ધડથી અલગ, અડધુ ખાધુ : હચમચાવી નાખતા દ્રશ્યોથી સ્થાનિકોમાં ગભરાટ : વતન જવા નીકળ્યો અને સાવજનો કોળીયો બન્યો
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામેથી એક અત્યંત અરેરાટીભરી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. રાજુલાના કોવાયા ગામ નજીક આવેલા થર્મલ પાવર પ્લાન્ટ વિસ્તારમાં સિંહે એક પરપ્રાંતિય યુવક પર મોડીરાતે જીવલેણ હુમલો કરી તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. સિંહના આ ઘાતક હુમલામાં યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક યુવકની ઓળખ પ્રકાશ ચંદ્ર (રહે. ઉત્તરાખંડ) તરીકે થઈ છે. વન્ય પ્રાણી સિંહે યુવક પર એટલો ક્રૂર હુમલો કર્યો હતો કે તેનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું અને શરીરનો મોટાભાગનો હિસ્સો ખાઇ ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ રાજુલા વન વિભાગની ટીમ અને મરિન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને ધટના સ્થળેથી વન વિભાગને યુવકની પાંસળીના ટુકડા અને અડધું ખાધેલું માથું જ મળી આવ્યું હતું. આ ભયાનક દ્રશ્યો જોઈને સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો અને લોકોના ટોળેટોળા એકઠા થયા હતાં. પોલીસે મૃતક યુવકના બાકી બચેલા માનવ અંગોને એકઠા કરીને પીએમ અર્થે રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતાં. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ છે. હાલ વન વિભાગ દ્વારા નરભક્ષી બનેલા સિંહને પાંજરે પૂરવા માટે ચક્રો ગતિમાન કરી સઘન કવાયત હાથ ધરવામાં આવી છે.
આ બાબતે કોવાયા ગામના સરપંચ જીણાભાઇ લાખણોત્રાએ જણાવ્યું કે, કોવાયા ગામમાં અવારનવાર વન્ય પ્રાણીઓના આંટાફેરા જોવા મળી રહ્યા છે. જેથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. વનવિભાગ દ્વારા અહી ટ્રેકરોની ધટ હોવાથી તે પુરતા ટ્રેકરોની જગ્યા પૂર્ણ કરો અને પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરી છે.
મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ પ્રકાશ ચંદ્ર તરીકે થઈ છે, જે મૂળ ઉત્તરાખંડનો વતની હતો અને સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. મોડી રાત્રે પ્રકાશ ચંદ્ર પોતાના વતન જવા માટે હોટલેથી નીકળ્યો હતો, તે દરમિયાન કોવાયા ગામ નજીક અંધારામાં ટાંપ લગાવીને બેઠેલી સિંહે તેના પર ઓચિંતો અને જીવલેણ હુમલો કર્યો હતો. સિંહ યુવકને ઢસડીને ઝાડીઓમાં લઈ ગયો હતો, જ્યાં તેણે યુવકનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું અને આખું શરીર ફાડી ખાધું હતું. સવારે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યાં માત્ર ખોપરી અને હાડકાના અવશેષો જોઈને લોકોના કાળજા કંપાવા લાગ્યા હતા.
આ ભયાનક ઘટનાની જાણ થતાં જ રાજુલા રેન્જ વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના ACF વિરલ સિંહ ચાવડા અને RFO સહિતનો વન વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે તહેનાત કરી દેવામાં આવ્યો છે.
સ્થાનિક લોકોમાં ફેલાયેલા રોષ અને ભયને શાંત કરવા તેમજ નરભક્ષી બનેલા સિંહને ઝડપી લેવા માટે વનતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આયોજન કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં સિંહોની અવરજવર સામાન્ય હોવા છતાં, આ પ્રકારનો ઘાતકી હુમલો થતાં વન વિભાગની ચિંતામાં પણ મોટો વધારો થયો છે.
કુતરાની જેમ સિંહ રખડે છે
ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં વનવિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાનગી કંપનીના કર્મચારી અમરુભાઈ વાઘે પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, અહીં આસપાસ પાંચ-સાત કંપની આવેલી છે, જ્યાં લોકો દિવસ-રાત શિફ્ટમાં નોકરી કરે છે. અહીં અવારનવાર સિંહો કુતરાની જેમ આંટા મારતા હોય છે, જેના કારણે અવરજવર કરવામાં ભારે તકલીફ પડે છે. જો કોઈની પાસે ફોર-વ્હીલર ગાડી હોય તો જ તે સુરક્ષિત છે, બાકી ટુ-વ્હીલર પર કે પગપાળા જતાં લોકો માટે કોઈ સેફ્ટી નથી. વનવિભાગ આ બાબતે તાત્કાલિક એક્શન લે અને લોકોની સુરક્ષા માટે વનકર્મીઓ તહેનાત કરે તે જરૂરી છે. વિસ્તારમાં વન્યજીવોની અવરજવર અંગે પૂછતાં તેમણે ઉમેર્યું કે, અહીં સિંહોની અવરજવર સતત ચાલુ જ રહે છે. દિવસે કે રાતે ગમે ત્યારે સિંહો જોવા મળે છે. અત્યારની જ વાત કરીએ તો, કંપનીના ગેટની બિલકુલ આગળ જ આઠ સિંહ બેઠા છે.
પીડિત પરિવારને વળતર આપે, નહીંતર ગામલોકો આંદોલન કરશે’ : સરપંચ
આ કાળજું કંપાવી દેનારી ઘટના અંગે કોવાયા ગામના સરપંચ ઝીણાભાઈ લાખણોત્રાએ રોષે ભરાઈને જણાવ્યું હતું કે, ભોગ બનનાર યુવક પરપ્રાંતીય હતો અને અહીં સ્થાનિક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. સાંજના સમયે જ્યારે તે બેઠો હતો, ત્યારે ત્રણથી ચાર વન્ય પ્રાણી ત્યાં આવ્યા અને તેને ઢસડીને દૂર લઈ ગયા હતા. આ હિંસક જનાવરોએ યુવકને આખો ફાડી ખાધો છે. અગાઉ નજીકના ભાકોદર ગામમાં પણ આવી જ દુર્ઘટના ઘટી ચૂકી છે.
સરપંચે વન મંત્રીને સીધી અપીલ કરતાં જણાવ્યું કે, મારી સરકાર અને વન મંત્રીને રજૂઆત છે કે, આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સ્થાનિક લેવલે લોકલ ટ્રેકર્સની વધુમાં વધુ ભરતી કરવામાં આવે. આ સાથે જ, મૃતક યુવકના પરિવારને તેમજ અગાઉ બનેલી ઘટનાના ભોગ બનનાર પરિવારોને સરકાર તરફથી તાત્કાલિક આર્થિક સહાય મળવી જ જોઈએ. જો આગામી સમયમાં વનવિભાગ દ્વારા ટ્રેકર્સની ભરતી અને સુરક્ષાના યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો અમે ગામ સ્તરે લોકોને એકઠા કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા મજબૂર થઈશું.


