ગોહિલવાડની મેડિકલ સંસ્થા ફરી વિવાદમાં આવી
ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગ, સિનિયરોની જૂનીયરો અને તાલિબાની હરકત
૧3 જુનીયરોની છ સિનિયરો વિરૂધ્ધ ફરિયાદ : સિનિયરો દર મહિને અઢી લાખ પડાવતા, દારૂની બોટલો મંગાવતા, કુકડા બનાવતા, ૧૫ દિવસ ન્હાવાનું નહી, એક પગે ઉભા રાખવા, જમવા-સુવાનો સમય નહી આપવો, ટ્રોમા સેન્ટરની બહાર નહી નીકળવા દેવા સહિતની રેગિંગ કરાતી
૨૦૨3માં પણ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરતા હોવાની ઘટના બની હતી : તપાસનો ધમધમાટ : ફરિયાદ થતા સમગ્ર પંથકમાં ચકચાર
અગ્ર ગુજરાત, ભાવનગર
ભાવનગર મેડિકલ કોલેજમાં માર્ચ-2025માં બનેલી રેગિંગની ઘટનામાં જુનિયર તબીબનું અપહરણ કરી આખી રાત માર માર્યાના ચકચારી કેસનો વિવાદ હજુ સળગી રહ્યો છે, ત્યારે ભાવનગર મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષના 13 જુનિયર રેસિડન્ટ તબીબોને છેલ્લા પાંચેક મહિનાથી 6 સિનિયર રેસિડન્ટ તબીબો આકરી તાલિબાની સજા આપતા હોવાની રેગિંગની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે.
ભાવનગર સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં કાર્યરત ઓર્થોપેડિક વિભાગ સાથે સંકળાયેલી ચકચારી રેગિંગની ઘટનામાં ઓનલાઇન ફરિયાદના આધારે ભાવનગર મેડિકલ કોલેજમાં છેલ્લા ત્રણ દિવસથી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષના 13 જુનિયર રેસિડન્ટ તબીબોએ કરેલી ફરિયાદને આધારે મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ સ્કવોર્ડના સભ્યો તપાસ કરી તાગ મેળવી રહ્યા છે.
રેગિંગની ઘટનામાં અત્યાર સુધીમાં ભોગ બનનારા 13 જુનિયર રેસિડન્ટ તબીબોના નિવેદનો લેવાની સાથે આજે જેની સામે ફરિયાદ થઈ છે તેવા 6 સિનિયર રેસિડન્ટ તબીબોને પણ બોલાવવામાં આવ્યા હતા. આ ઘટનાની માહિતી બાબતે ‘સૌરાષ્ટ્ર સમાચાર’એ ભાવનગર મેડિકલ કોલેજના ઈન્ચાર્જ ડીન ડો.ચિન્મય શાહને ચાર વખત ફોન કરી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ડીન ઘટનાને દબાવવા માંગતા હોય તેમ ફોન ઉપાડ્યો ન હતો.
ભાવનગર સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં બનેલી રેગિંગની ચકચારી ઘટનામાં નામ ન આપવાની શરતે અમાનવીય ત્રાસનો ભોગ બનનારા પ્રથમ વર્ષના જુનિયર તબીબોએ બીજા વર્ષના 6 તબીબી વિદ્યાર્થી દ્વારા અપાતી રૂંવાડા ઊભા કરી દે તેવી તાલિબાની સજા વર્ણવી હતી. જેમાં દર મહિને અઢી લાખ પડાવતાં, દારૂની બોટલો મંગાવતાં, કુકડા બનાવતાં, ટ્રોમા સેન્ટરની બહાર નહીં નીકળવા દેવા, જમવા અને સુવાનો સમય નહીં આપવા, એક્સ-રે વિભાગમાં લેડ એપ્રન નહીં પહેરવા દેવા, આખી રાત એક પગે ઉભા રહેવા, છેલ્લા 15 દિવસ સુધી ન્હાવા સુદ્ધા નહીં દેવા જેવી તાલિબાની સજા અપાતી હોવાની આપવીતી વર્ણવી હતી. આખરે હિંમત કેળવી તેઓએ લેખિત ફરિયાદ કરી હોવાનું જણાવી દોષિતોને આકરી સજા થાય તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરી હતી.
ભાવનગર શહેરની મેડિકલ કોલેજમાં 2023ના મે માસમાં મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોકટર હરીશ વૈગીએ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીને તેની રૂમમાં બોલાવી શારિરીક અડપલા તેમજ જાતીય શોષણ કર્યું હતું. ડૌ. હરીશ વૈગી દ્વારા જુનિયર વિદ્યાર્થી સાથે ઘણા સમય સુધી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતા કંટાળીને વિદ્યાર્થીએ ન્યાયની માંગ પોકારી હતી. આ ઘટના જાહેર થયા બાદ મોટી સંખ્યામાં નિલમબાગ પોલીસ મથક ખાતે વિદ્યાર્થીઓનું ટોળું ધસી ગયું હતું. આ કેસમાં તપાસના અંતે ડો. હરીશ વૈગીને બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
ભાવનગર મેડિકલ કોલેજમાં સવા વર્ષ એટલે કે ગત માર્ચ-2025માં છ જેટલા સિનિયર તબીબી વિદ્યાર્થી દ્વારા ત્રણ જુનિયર તબીબ વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કર્યું હતું. જે ઘટનામાં ડો. મીલન કાકલોતર, ડો. પિયુષ ચૌહાણ, ડો. નરેન ચૌધરી, ડો. મન પટેલ, ડો. અભિરાજ પરમાર અને ડો. બળભદ્રસિંહ નામના સિનિયરો દ્વારા ત્રણ વિદ્યાર્થીઓ પૈકી બે વિદ્યાર્થીઓને કારમાં અપહરણ કરી, અભદ્ર વર્તન કરી, વિડીયો ઉતાર્યો હતો અને બાદમાં વાયરલ કરવાની ધમકી આપી મારમાર્યો હતો. આ ઉપરાંત અન્ય એક વિદ્યાર્થીને મારમાર્યો હતો. જેમાં આરોપીઓ નશાની હાલતે હોવાનું ખુલ્યું હતું.
અમદાવાદની કોલેજમાં પણ ફરિયાદ
અમદાવાદની નામાંકિત બી.જે. મેડિકલ કોલેજમાં રેગિંગનો મામલો સામે આવ્યો છે. જુનિયર વિદ્યાર્થી દ્વારા સિનિયર સામે 8 જૂને ફરિયાદ કરવામાં આવી હતી. જે મામલે એન્ટી રેગિંગ કમિટીને તપાસ સોંપવામાં આવી હતી. તપાસ રિપોર્ટ બાદ ઓર્થોપેડિક વિભાગના ત્રણ વિદ્યાર્થીઓને 6 મહિનાથી 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી ખુદ આરોગ્યમંત્રી દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ અમદાવાદની બી જે મેડિકલ કોલેજમાં 8 જૂનના રોજ ઓર્થોપેડિક વિભાગના 3 સિનિયર ડોક્ટરો દ્વારા પ્રથમ વર્ષના જુનિયર ડોક્ટરનું રેગિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ જુનિયર ડોક્ટર દ્વારા તંત્રને ફરિયાદ કરવામાં આવતા તપાસ કરવામાં આવી હતી. એન્ટી રેગિંગ કમિટીની તપાસ બાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જે બાદ રિપોર્ટ આરોગ્ય વિભાગને સોંપવામાં આવ્યો હતો. રેગિંગ કમિટી દ્વારા આરોગ્ય વિભાગને પગલા લેવા રિપોર્ટ કરાયો હતો. એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટ બાદ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના આદેશ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. ઓર્થોપેડિક વિભાગના 3 વિદ્યાર્થીઓને 6 મહિનાથી 1 વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અસામાજીક પ્રવૃત્તિથી દૂર રહેવા અપીલ
રેગિંગની ફરિયાદને લઈને સરકાર અને આરોગ્ય વિભાગે ગંભીરતાથી લીધી છે. વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત અને ભયમુક્ત શૈક્ષણિક વાતાવરણ જાળવવા માટે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. રેગિંગ જેવી અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહેવા વિદ્યાર્થીઓને અપીલ પણ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સંવેદના અને સહકારની ભાવના સાથે આગળ વધવા માટે વિદ્યાર્થીઓને અપીલ કરી છે.


