પથરા આઘા પાછા થૈ ગ્યા, નક્કી આ ચોમાસું બેઠું, છત્રી પણ ચોરીને લૈ ગ્યા, નક્કી આ ચોમાસું બેઠું
ગોંડલ સહિત ૬૨ તાલુકામાં વરસાદ, બાલાસિનોરમાં ૬ ઇંચ
જામનગર, અમરેલી, વડોદરા, બનાસકાંઠા, અરવલ્લી, વાવ-થરાદ, મહિસાગર, દાહોદ, નવસારી, છોટાઉદેપુર, આણંદ, ગોધરામાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ભિલોડામાં ૨.૯, સતલાસણામાં ૨.૮ અને ધનસુરામાં ૨.૬ ઇંચ પાણી વરસ્યુ : અમીરગઢના ઇકબાલગઢ અંડરબ્રિજમાં સાત ફૂટ પાણી ભરાયું, શાળાએ જતા બાળકોને ભારે મુશ્કેલી
વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં ઘટાડો, લોકોએ કર્યો ઠંડકનો અહેસાસ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો ધમાકેદાર પ્રારંભ થયો છે. 17 જૂનના રોજ રાજ્યના બનાસકાંઠા, મહીસાગર, દાહોદ, નવસારી, છોટાઉદેપુર, આણંદ, ગોધરા, અરવલ્લી સહિત અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં પણ રાત્રિના વરસાદી માહોલ છવાયો હતો અને સામાન્ય છાંટા વરસ્યા હતાં.
આજે વહેલી સવારથી ગોંડલ, જામનગર, અમરેલી, વડોદરા, બનાસકાંઠા સહિતના વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયા બાદ અચાનક વરસાદ શરૂ થતાં લોકોને છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારાથી રાહત મળી છે. બીજી તરફ બનાસકાંઠાના વડગામ તાલુકાના સકલાણા ગામેથી દુઃખદ ઘટના સામે આવી છે. ગત રાત્રે ખેતરમાં જઈ રહેલા પિતા-પુત્ર પર વીજળીનો તાર પડતાં ઘટનાસ્થળે જ બંનેના મોત નીપજ્યા હતા.
હાલમાં પવન અને વાદળછાયા વાતાવરણના કારણે રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતાં લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં રાત્રિ દરમિયાન સૌથી વધુ 5.78 ઇંચ (147mm) ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત કોઠંબામાં 1 ઇંચ (26mm), લુણાવાડામાં 19mm, વીરપુરમા 11mm, ગોધરામાં 09mm અને ખાનપુરમાં 03mm વરસાદ નોંધાયો છે.
બનાસકાંઠાના અમીરગઢ અને પાલનપુરમાં ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા. પંચમહાલના ગોધરા, છોટાઉદેપુર, આણંદના બોરસદ અને પેટલાદ પંથકમાં પણ મોડીરાત્રે ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર વૈષ્ણોદેવી સર્કલ અને ઓગણજ આસપાસ પણ વરસાદી છાંટા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
વડોદરાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈકાલે વરસેલા વરસાદ બાદ આજે સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો છે. અચાનક વરસાદ શરૂ થતા રેઇન કોટ વગર નીકળેલા વાહનચાલકો અટવાઈ ગયા હતા.
જામનગર શહેરમાં આજે મેઘરાજાએ વિધિવત એન્ટ્રી કરી છે. જ્યારે શહેરમાં અસહ્ય ગરમીથી લોકો પરેશાન હતા, ત્યારે વરસાદી વાતાવરણથી ઠંડક પસરી ગઈ છે.
અમરેલી શહેરમાં વહેલી સવારના વાદળછાયા વાતાવરણ બાદ છાંટા પડ્યા હતાં. જિલ્લાના ખીજડિયા (રાદડિયા) ગામે વરસાદી ઝાપટું વરસ્યું હતું. જોકે, હજુ ખેડૂતો ભરપૂર વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે.
બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ વરસાદમાં જ પાલનપુર-અંબાજી હાઈવે પર આવેલી ધનિયાણા ચોકડી પર પાણી ભરાઈ ગયા હતા. આના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ચોકડી પર પાણી ભરાવાને કારણે વાહન-વ્યવહાર ધીમો પડી ગયો હતો અને લોકોને પસાર થવામાં હાલાકી ભોગવવી પડી હતી. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી આ સ્થિતિ સર્જાઈ હતી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ધનિયાણા ચોકડી પર દર વર્ષે વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. આ સમસ્યા કોઈ નવી નથી, પરંતુ વર્ષોથી યથાવત્ છે. વર્ષોથી આ સમસ્યા હોવા છતાં, તંત્ર દ્વારા પાણી ભરાતા અટકાવવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે દર વર્ષે ચોમાસામાં લોકોને આ જ હાલાકીનો સામનો કરવો પડે છે.
અમીરગઢ પંથકમાં મોડી રાત્રે ભારે પવન સાથે 3 કલાક સુધી તોફાની વરસાદ વરસ્યો હતો, જેના કારણે ઇકબાલગઢ અંડરબ્રિજમાં 7 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું અને શાળાએ જતા બાળકો મુશ્કેલીમાં મુકાયા હતા. અનેક જગ્યાએ હોર્ડિંગ્સ અને વૃક્ષો જમીનદોસ્ત થયા છે. ખેરાલુ અને સતલાસણા પંથકમાં પણ ભારે પવનના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર બાજરીનો પાક પલળી જતાં ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા, ભિલોડા, બાયડ અને મેઘરજમાં રાતભર વરસાદ ચાલુ રહ્યો હતો. જ્યારે ખેડાના ગળતેશ્વરમાં ૨.૨ ઇંચ અને કપડવંજમાં ૨.૧ ઇંચ વરસાદ પડ્યો છે. દહેગામ શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવતા ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. મોટાભાગના વિસ્તારોમાં આ વરસાદ વાવણીલાયક સાબિત થશે.
બનાસકાંઠાના સકલાણા ગામે વીજળીનો તાર પડતાં પિતા-પુત્રનું મોત
બનાસકાંઠાના વડગામ તાલુકાના સકલાણા ગામે ગત રાત્રે એક દુઃખદ ઘટના બની હતી. ખેતરમાં જઈ રહેલા પિતા-પુત્ર પર વીજળીનો તાર પડતાં ઘટનાસ્થળે જ બંનેના મોત નીપજ્યા હતા. મળતી માહિતી મુજબ, પિતા-પુત્ર એક્ટિવા પર સવાર થઈને ખેતરમાં પોતાના પાક માટે જઈ રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી. આશરે રાત્રે 11 વાગ્યાની આસપાસ વીજળી અને વાવાઝોડાને કારણે 11 કેવી મેજરપુરા ટોપ પિન ફાયર થવાથી વીજળીનો તાર તૂટી પડ્યો હતો. તૂટેલો તાર પસાર થઈ રહેલા પિતા-પુત્ર પર પડતાં તેમને વીજ શોક લાગ્યો હતો, જેના કારણે તેમનું કરુણ અવસાન થયું.
7 દિવસ આગાહી અને એલર્ટ
- 18 જૂન (આજે): બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના 15 જિલ્લાઓમાં સવારે 10 વાગ્યા સુધી ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું.
- 19 જૂન: વરસાદનું જોર ઘટશે અને તે માત્ર અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લા પૂરતો મર્યાદિત રહેશે.
- 19થી 24 જૂન: સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ-દમણમાં વાતાવરણ સંપૂર્ણપણે સૂકું થઈ જશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 40°C ની આસપાસ રહેશે.


