પાવાગઢ ડુંગર પર પથ્થર પડતા સાત યાત્રિકો દટાયા, બેના મોત, પાંચ ઘાયલ
ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા : પર્વત પર બનેલી ઘટનાથી અન્યમાં ભય : ચાલુ વરસાદે બનેલા બનાવથી અફરાતફરી
અગ્ર ગુજરાત, પાવાગઢ
યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આજે વહેલી સવારે એક મોટી અને દુઃખદ દુર્ઘટના સામે આવી છે. ડુંગર પર આવેલા પાટિયાપુલ નજીક અચાનક ભારે પથ્થરો નીચે ગબડતાં 7 યાત્રિકો તેની નીચે દટાયા હતા. આ દુર્ઘટનામાં બે યાત્રિકોના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, વહેલી સવારે આશરે 5:૦૦ વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી હતી. છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા વરસાદને કારણે ડુંગર પર પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો હતો, જેના કારણે માટી ખસતાં ભારે પથ્થરો નીચે ગબડ્યા હોવાના અહેવાલ છે. વહેલી સવારે દર્શનાર્થે આવેલા યાત્રિકો આ પથ્થરોની ઝપેટમાં આવી ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ રોપ-વેની સ્થાનિક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પથ્થરો નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરી દીધી છે. સ્થાનિક સરપંચે પણ ઘટનાની ગંભીર નોધ લઈ બચાવ કાર્યમાં જોડાયા હતા. આ ગંભીર દુર્ઘટના અંગે પાવાગઢ પોલીસને પણ જાણ કરવામાં આવી છે. પોલીસ કાફલો સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી અને બચાવ કાર્યમાં મદદરૂપ થઈ રહ્યો છે અને રાહત અને બચાવ કાર્ય વેગવંતું કરવામાં આવ્યું છે.
ઈજાગ્રસ્ત યાત્રાળુઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે મૃતક યાત્રાળુઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ મૃતક અને ઈજાગ્રસ્ત યાત્રાળુઓ સુરત અને અમદાવાદ તરફના હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, સત્તાવાર ઓળખ અને વધુ વિગતો તપાસ બાદ સામે આવશે. ચોમાસાની શરૂઆત સાથે પાવાગઢના ડુંગર વિસ્તારમાં ભૂસ્ખલનની સંભાવનાને પગલે સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. તંત્ર દ્વારા ઘટનાની તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


