કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમનો ૧૨૦માં વર્ષમાં મંગલ પ્રવેશ
ત્રણ દિવસની ઉજવણીનું આયોજન, દેશ વિદેશમાં ૧૬૦૦ બાળકો દત્તક અપાયા: 375 અંતેવાસી દીકરીઓને સાસરે વળાવી
અગ્ર ગુજરાત, રાજકોટ
અનાથ બાળકોના આધાર સમી કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ સંસ્થાની સ્થાપનાનો આજે સ્થાપના દિવસ છે જેની અનાથ બાળકોની ઉપસ્થિતિમાં ત્રણ દિવસની ઉજવણીનું આયોજન બાલાશ્રમ ખાતે કરવામાં આવેલ છે.
૧૮૯૯ના છપ્પનીયા દુષ્કાળની કારમી પરિસ્થિતિ ઉદભવી ત્યારે અસંખ્ય બાળકો અનાથ થતા ગામ-શહેરની ગલીઓમાં ભીખ માંગતા નજરે પડતા સને ૧૯૦૮ માં મોરબીના પ્રજાવત્સલ રાજવી તથા સમાજના શ્રેષ્ઠીઓએ રાજકોટમાં બાલાશ્રમની સ્થાપના કરેલ જેને આજે ૧૧૯ વર્ષ પુરા થઈને ૧૨૦ માં વર્ષમાં મંગલ પ્રવેશ થઇ રહ્યો છે.
આ સંસ્થામાંથી અત્યાર સુધીમાં ૧૬૦૦ જેટલા બાળકો દેશ-વિદેશમાં દત્તક આપેલ છે. ૩૭૫ અંતેવાસી દીકરીઓને પરણાવેલ છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા સંચાલિત એ.વી.જશાણી વિદ્યામંદિર સ્કુલમાં આશરે બે હાજર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમજ ફિલ્ડમાર્શલ કુમાર છાત્રાલયમાં ૬૦ બાળકો તેમજ બાલાશ્રમમાં ૧૦૦ જેટલી બાલિકાઓ જેમાં એક દિવસથી લઈને ૧૮ વર્ષ સુધીની બાળાઓ આનંદ પ્રમોદ સાથે આશ્રય લઇ રહી છે.
આ ઉપરાંત મોરબી ખાતે આવેલ સંસ્થા સંચાલિત વૃધ્ધાશ્રમમાં ૧૬૦૦ થી વધુ વડીલ માવતરો આશરો લઈને નિવૃત જીવન વિતાવી ચુક્યા છે. તદુપરાંત હાલમાં પણ ૫૦ થી વધુ વડીલો આશ્રય લઇ રહ્યા છે.
આ ઉપરાંત તાજેતરમાં રાજકોટ શહેરમાં જેનું લોકાપર્ણ કરવામાં આવેલ સીનીયર સીટીઝન હોમ એન્ડ ડે કેર સેન્ટર ટૂંક સમયમાં શરુ થવા જઈ રહ્યું છે.
મોરબીના પ્રજાવત્સલ રાજવી બાર એટ-લો કુમાર હરભમજી મહારાજાની પ્રેરણા અને આર્થિક મદદથી સીતારામ પંડિતજી, સર પ્રભાશંકર પટ્ટણી ઉપરાંત શેઠ અબુબકર જીવાભાઈની આર્થિક મદદ તેમજ દીર્ધદ્રષ્ટિથી ૧૯૦૮ માં સ્થાપેલ “રાજકોટ મુકામે કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ” અનાથ બાળકોની સંસ્થામાં રાજકોટના રાજવી લાખાજીરાજ બહાદુર મહારાજાએ જયારે ચૌદ રૂપિયા તોલા સોનાનો ભાવ હતો ત્યારે એક હજારનું (આજના એક કરોડ રૂપિયા)નું અનુદાન સૌ પ્રથમ આપેલ અને સ્ટેટની શાળામાં આશ્રમના આશ્રિત બાળકોને મફત શિક્ષણની વ્યવસ્થા કરાવી આપેલ ઉપરાંત બાલાશ્રમની જમીન પણ અર્પણ કરેલ.
૧૧૯ વર્ષ જૂની અનાથ બાળકોની આ સંસ્થાના સ્થાપના દિવસની બાળકોની ઉપસ્થિતિમાં ત્રણ દિવસ ચાલનાર થાદગાર ઉજવણીમાં શહેરના તમામ દાતા પરીવારો, શુભેચ્છકો તથા નગરજનોને બાલાશ્રમની રૂબરૂ મુલાકાત લઇ અનાથ બાળકોને આશીર્વાદ આપવા પધારવા માટે સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ પટેલ ફિલ્ડમાર્શલ, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, ખજાનચી પ્રવીણભાઈ અઘારા, સહિતના તમામ હોદેદારોએ આગ્રહભરી અપીલ કરી છે.
આજે ૧૨૦ વર્ષમાં પ્રવેશ કરી રહેલ સંસ્થા એક પરિપક્વ બનીને સમાજની શ્રેષ્ઠ સંસ્થા બની ગયેલ છે. આ સંસ્થામાં એક દિવસના જન્મેલ બાળકથી લઈને વૃદ્ધાશ્રમમાં વડીલોને તમામ પ્રકારની સુવિધાઓ સવલતો સમાજના ઉદાર હાથે દાતાઓ દ્વારા અપાતી દાનની સરવાણીથી પૂરી પાડવામાં આવી રહી છે અને આ વિશાળ વડલાનું સર્જન દાતાઓની દાતારીથી થયું છે. સંસ્થા આ તમામ નગરજનો દાતાઓનો આભાર માને છે.


