સમસ્ત ચારણીયા સમાજ દ્વારા અષાઢી બીજ મહોત્સવનું આયોજન
પૂ. નાગબાઈ માતાજીની વિરાટ પ્રતિમા સાથે અષાઢી બીજે નીકળશે ભવ્ય શોભાયાત્રા
રાજમાર્ગો પર આઈભકિતનાં રંગ રેલાશે: ઠેર-ઠેર શોભાયાત્રાનું ભાવભેર સ્વાગત થશે : રેસકોર્સ ગ્રાઉન્ડમાં મહાપ્રસાદનું આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
સેંકડો વર્ષોથી શકિતનાં ઉપાસક એવા ચારણીયા સમાજ જેના પર ભગવતી પૂ. નાગબાઈ માઁની અસીમ કૃપા છે, જેથી આઈશ્રી નાગબાઈ માતાજીનાં બીજ મહોત્સવ નિમિતે રાજકોટમાં તા.૧૬/૦૭/૨૦૨૬ ને ગુરૂવારે અષાઢી બીજનાં પાવન દિવસે દિવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટમાં સમસ્ત ચારણીયા સમાજ આયોજીત ભવ્ય શોભાયાત્રાનો સવારે ૯.૩૦ વાગ્યે કિસાનપરા ચોકથી પ્રારંભ થશે. ભવ્ય શોભાયાત્રામાં પૂ. જગદંબા આઈશ્રી નાગબાઈ માતાજીની ફણીધર નાગ સાથેની ૧૪ ફૂટ ઉંચી વિરાટ અને દિવ્ય પ્રતિમા અનેરા આકર્ષણનું કેન્દ્ર બનશે. અહીં સંતો-મહંતો અને મહાનુભાવોનાં હસ્તે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે. આ તકે મોટી સંખ્યામાં ચારણીયા સમાજ ઉમટી પડશે અને અને આઈશ્રી નાગબાઈ માતાજીનાં દર્શન-પૂજનનો ધર્મલાભ લેશે. આઈ ધામ સમુહ લગ્ન સમિતિ દ્વારા પ્રસ્થાન કરવામાં આવશે.
ચારણીયા સમાજનાં જ્ઞાતિજનો ઉપરાંત અન્ય જ્ઞાતિ-સમાજનાં સામાજિક આગેવાનો અને રાજકીય અગ્રણીઓ, સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓનાં હોદેદારો વગેરેની ખાસ ઉપસ્થિતમાં પૂ. શ્રીનાગબાઈ માતાજીની વિરાટ પ્રતિમાનાં પુજન-અર્ચન બાદ ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન પામીને જિલ્લા પંચાયત ચોકથી યાજ્ઞિક રોડ થઈ માલવિયા ચોકથી ત્રિકોણબાગ થઈને જવાહર રોડ પર જયુબેલી ચોકથી આગળ આર.ડી.સી. બેન્ક રોડ થઈ ચૌધરી હાઈસ્કૂલ ચોકથી બહુમાળી ભવન થઈ રેસરોર્સ ગ્રાઉન્ડ ખાતે બપોરે ૧૨ વાગ્યે સંપન્ન થશે. શોભાયાત્રાનાં આખા રૂટ ઉપર આઈભક્તિનાં રંગો રેલાશે. જેમાં ઠેર-ઠેર વિવિધ જ્ઞાતિ-સંગઠનો દ્વારા શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવશે.
ભવ્ય શોભાયાત્રામાં સૌથી આગળ વિરાટ ધર્મધ્વજ સાથે ચારણીયા પહેરવેશમાં યુવાનો રહેશે. તેમની પાછળ સુશોભિત ભવ્ય રથમાં પૂ. શ્રીનાગબાઈ માતાજીની ૧૪ ફૂટ ઉંચી દિવ્ય પ્રતિમા બીરાજમાન રહેશે. આ રથયાત્રામાં શાનદાર ડી.જે.નાં સુર-તાલે આધ્યશકિત જગદંબાની ગરબાવલીની સંગાથે ચારણીયા સમાજનાં ભાઈઓ-બહેનોએ રાસ રમીને જબરું આકર્ષણ જમાવશે. આ સાથે રથયાત્રામાં ભગવી ધ્વજા સાથેનાં યુવાનોએ ધર્મભક્તિનો માહોલ સર્જી દેશે. આ શોભાયાત્રામાં પરંપરાગત ચારણીયા પહેરવેશ સાથે વડીલો તો ઠીક યુવાનો, બાળકો, યુવતીઓ, મહિલાઓએ પણ મોટી સંખ્યામાં જોડાઈને જબ્બર આકર્ષણ જમાવશે. અંતમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય શોભાયાત્રાનું સમાપન થયા બાદ સમુહ મહાપ્રસાદ પણ યોજાશે.
રાજકોટ, અમદાવાદ, હાલાર, પાંચાળ, સોરઠ, કચ્છ ઉપરાંત છેક રાજસ્થાન અને મહારાષ્ટ્રથી પૂ. શ્રીનાગબાઈ માતાજીનાં બીજ મહોત્સવમાં નાનકડા નેશડાથી લઈને મોટા મહાનગર સુધીનાં વિસ્તારોનો ચારણીયા સમાજ મોટી સંખ્યામાં ઉમટી પડશે. સમસ્ત ચારણીયા સમાજનાં યુવાનો દ્વારા પૂ. જગદંબા આઈશ્રી નાગબાઈ માઁનાં બીજ મહોત્સવની છેલ્લા ચાર મહિનાથી તડામાર તૈયારી ચાલી રહી છે.


