AIIMSના બિસ્માર રોડ બાબતે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મેદાને
આંદોલન કરવું મારી જૂની ટેવ : ભાજપ નેતાનો તંત્ર સામે ફૂંફાડો
આવતીકાલ સુધીમાં રસ્તાની મરામતની મંજૂરી નહી અપાય તો રસ્તા રોકો આંદોલનની ચીમકી આપતા તાકીદે કામગીરી શરૂ કરતા આંદોલન નહી કરવાની ખાતરી આપી
હોસ્પિટલે જવામાં દર્દીઓ અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી થતી હોવાની અનેક વખત ફરિયાદ ઉઠવા છતા તંત્રએ આંખ મિચામણા કરતા ભાજપ નેતા નેદાનમાં
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના જામનગર રોડ પર પરાપીપળીયા ગામના પાટિયાથી એઇમ્સ હોસ્પિટલ તરફ જવાનો 900 મીટરનો રસ્તો બિસ્માર હાલતમાં છે ત્યારે ગ્રામજનો અને દર્દીઓને મૂશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી જો રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા 13 ઓગસ્ટ સુધીમાં આ રસ્તાને મરામત કરવાની મંજૂરી આપવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ખુદ ભાજપના આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડાએ ઉચ્ચાર્યા બાદ હવે આ રોડનું મેટલિંગ કામ શરૂ થઈ ગયું છે અને ખુદ ભાજપ આગેવાન હોવા છતાં આ સરકાર સામે વિરોધની ચિમકી મામલે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે, આંદોલન કરવું એ મારી જૂની ટેવ છે. આ સાથે જ હવે તેઓ રસ્તા રોકો આંદોલન નહીં કરે તેવું જાહેર કર્યું હતું.
રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડાએ જણાવ્યું હતું કે, પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીના પ્રયાસોથી રાજકોટને AIIMS હોસ્પિટલ મળી જેથી ત્યાં તેમનું સ્ટેચ્યુ બનાવીએ તો પણ ઓછું છે. જામનગર રોડ પર પરાપીપળીયા ગામના પાટિયાથી એઇમ્સ હોસ્પિટલ તરફ જવાનો 900 મીટરનો રસ્તો બિસ્માર હાલતમાં છે. આ રસ્તાનું કામ કોણ કરાવે તે નક્કી નહોતું થઈ શકતું. જોકે ગઈકાલે એ ખૂલાસો થઈ ગયો કે રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ આ કામ કરશે. જોકે હાલ અહીં મેટલિંગનું કામ શરૂ થઈ ચૂક્યું છે. રેલવે ઓવર બ્રિજને લીધે અહીં એક પિલર બનાવવો પડે તેમ છે. જ્યારે ભાજપના આગેવાને લોકકામો કરાવવા આંદોલન કેમ કરવું પડે તેમ પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, આંદોલન કરવાની મારી જૂની ટેવ છે. લોકો કે ખેડૂતોના કામો ન થાય તો તેની પડખે ઊભા રહી અધિકારીઓનો કાન આમળવાને સમર્થન આપ્યું હતું.
માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને આપેલા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ તાલુકાના જામનગર રોડ પર આવેલ પરાપીપળીયા ગામના પાટિયાથી એઇમ્સ હોસ્પિટલ તરફ જવાના રસ્તા પર રોડ વળે ત્યાં ગોલાઈ સુધીનો રસ્તો અતિ બિસ્માર અને ખરાબ હાલતમાં છે. આ રોડ પર એઇમ્સ હોસ્પિટલ હોવાના કારણે દિવસ અને રાત્રિ દરમ્યાન હજારો લોકો અને નાના મોટા વાહનો અવર જવર કરી રહ્યા હોય અને આજુ બાજુના ગામના લોકોને અને એઇમ્સ હોસ્પિટલ ખાતે જતાં દર્દીને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરાપીપળીયા ગામથી એઇમ્સ હોસ્પિટલ તરફ જતાં રોડ વળે ત્યાં ગોલાઈ સુધીના રસ્તાને મરામત કરાવવા તા.13 ઓગસ્ટના ગુરુવાર સુધીમાં તાત્કાલિક મંજૂરી આપવામાં નહીં આવે તો પરાપીપળીયા તથા ખંઢેરી ગામના ગ્રામજનો દ્વારા આ રસ્તો બંધ કરી આંદોલન કરવામાં આવશે તો તાત્કાલિક આ રસ્તાનું સમાર કામ કરવા આપની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે.
મદદનીશ ઇજનેરે જણાવ્યું હતું કે, અહીં જે 900 મીટરનો પોર્શન છે. તેમાં એજન્સી દ્વારા વેટ મિક્સ (Wet Mix) નાખીને સમયાંતરે મરામત કરીને રોડને ટ્રાફિકેબલ રાખવામાં આવે છે. હાલ ROB નો ડિઝાઇન ચેન્જ માટે GAD રેલવે વિભાગમાં મંજૂરી હેઠળ છે. રેલવે વિભાગમાંથી મંજૂરી મળ્યેથી માર્ગ અને મકાન વિભાગ માટે ગાંધીનગર મોકલવામાં આવશે.ROB નું કામ ચાલુ થશે એટલે માધાપર ચોકડી થઈને એઈમ્સ રોડ ઉપરથી એઈમ્સ હોસ્પિટલ જવા માટે વૈકલ્પિક રૂટ તરીકે રાખવામાં આવશે.
તેમણે અંતમાં જણાવ્યું હતું કે, એજન્સી દ્વારા હાલ જંગલ કટિંગ કરીને રેલવેના એક પિયરનું ખોદાણ કામ ચાલુ કરવામાં આવ્યું. બીજા RP-4 નંબર પિયરનું ખોદાણ કામ કરતાં તે રેલવે ટ્રેકની નજીક હોવાથી અને ડિઝાઇનમાં ફેરફાર થવાનો હોવાથી કામગીરી બંધ કરવામાં આવેલ હતી. હાલ એ ડિઝાઇન ફેરફારની મંજૂરી હેઠળ છે. દોઢથી બે મહિનાની આસપાસ મંજૂરી મળ્યા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે.
ROBની ડિઝાઇનમાં ફેરફાર માટે હાલ રેલવે વિભાગની મંજૂરી હેઠળ : અધિકારી
ગઈકાલે 11 ઓગસ્ટના રાજકોટ જિલ્લા પંચાયતમાં માર્ગ અને મકાન વિભાગના અધિક મદદનીશ ઈજનેર કુલદીપ મકવાણાએ જણાવ્યું હતું કે, રાજકોટ-જામનગર રોડથી એઈમ્સને જોડતો એઈમ્સ એપ્રોચ રોડ, જેમાં હાલ જામનગર રોડથી એઈમ્સ ચોકડી સુધીનો ROB (રેલવે ઓવરબ્રિજ) મંજૂર થયેલ છે. જેનો વર્ક ઓર્ડર જાન્યુઆરીમાં કળથીયા એન્જિનિયરિંગને આપેલો છે. આ સ્થળ ઉપર જે તે સમયે એસ્ટીમેટ બનેલું ત્યારે રેલવેનો એક ટ્રેક હયાત હતો. હાલ રેલવેના ડબલ ટ્રેક થયેલા હોવાથી રેલવે વિભાગનો જે RP-4 નંબરનો પિલર હતો તે રેલવે ટ્રેકથી ખૂબ જ નજીક હોવાથી રેલવે વિભાગ દ્વારા ખોદાણ કરવાની ના પાડેલી છે. જેથી ROB ની ડિઝાઇનમાં ફેરફાર કરવા માટે હાલ રેલવે વિભાગમાં મંજૂરી હેઠળ છે.


