IA&AD પેન્શનર્સ એસોસિએશન અને RCGPA દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમને રૂ. ૫૧,૦૦૦નું દાન
પેન્શનર સભ્યોએ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ વડીલોના ખબર-અંતર પૂછ્યા: ઢોલ-નગારા અને તિલક કરી સંસ્થા દ્વારા કરાયું ભવ્ય સ્વાગત
અગ્ર ગુજરાત, રાજકોટ
ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ (IA&AD) પેન્શનર્સ એસોસિએશન અને RCGPA ના સદસ્યો દ્વારા રાજકોટ સ્થિત સદભાવના વૃદ્ધાશ્રમની સદ્ભાવનાપૂર્ણ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન એસોસિએશન દ્વારા સંસ્થાને રૂ. ૫૧,૦૦૦ નું આર્થિક યોગદાન અર્પણ કરવામાં આવ્યું હતું અને એક નિરાધાર બુઝુર્ગ વડીલને દત્તક લેવાની ઉમદા પહલ કરવામાં આવી હતી.
વૃદ્ધાશ્રમ પરિવાર દ્વારા એસોસિએશનના સભ્યોનું ઢોલ-નગારાના નાદ અને કંકુ તિલક સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન સભ્યોએ આશ્રમમાં રહેતા વડીલો (દાદા-દાદીઓ) સાથે ભાવસભર સંવાદ સાધીને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. વડીલોએ પણ પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ જગ્યાએ આવીને તેમની જતી જિંદગીએ ભવ સુધરી ગયો છે. સભ્યોએ સંસ્થા દ્વારા વડીલોને અપાતી ઉત્કૃષ્ટ સુવિધાઓની વિગતવાર માહિતી મેળવી હતી.
મિષ્ટાન સહિતના ભોજન સમારોહ સાથે આ માનવતાવાદી કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ પ્રસંગે તમામ સભ્યોના મુખ પર સમાજ પ્રત્યેની પોતાની ફરજ અદા કર્યાનો અને કંઈક ઉપયોગી થયાનો વિશેષ સંતોષ જોવા મળ્યો હતો. અંતમાં IA&AD પેન્શનર્સ એસોસિએશનના પ્રમુખ હસમુખ પટેલે સદભાવના વૃદ્ધાશ્રમની સમગ્ર ટીમનો આત્મીય આભાર વ્યક્ત કર્યો હતો.


