દીવના વણાંકબારામાં ગંદકીના સામ્રાજ્ય વચ્ચે ચાલતી ‘અમર ફરસાણ‘ સીલ
ફૂડ સેફ્ટી ઓફિસર ટીંકેશ બામણીયાની અચાનક સરપ્રાઈઝ ચેકિંગ; ખુલ્લા ખોરાક અને જીવજંતુઓ મળતા ૫ દિવસ માટે દુકાન બંધ કરાવાઈ
અગ્ર ગુજરાત, દીવ
દીવ સ્વાસ્થ્ય વિભાગ અને ડો. અશોક કુંચલાના માર્ગદર્શન હેઠળ ખાદ્ય પદાર્થોમાં ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત વણાંકબારા વિસ્તારમાં આવેલા ‘અમર ફરસાણ એન્ડ કેટરર્સ’ ખાતે ફૂડ સેફ્ટી વિભાગે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને ગંભીર બેદરકારી બદલ દુકાનને સીલ મારી દીધું છે.
ફૂડ સેફ્ટી ઓફિસર ટીંકેશ હસમુખલાલ બામણીયાની ટીમે વણાંકબારા સ્થિત અમર ફરસાણ એન્ડ કેટરર્સ પર અચાનક દરોડો પાડ્યો હતો. આ તપાસ દરમિયાન દુકાનમાં ચારેય તરફ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. આ ઉપરાંત, વેચાણ માટે રાખવામાં આવેલી ખાદ્ય સામગ્રી ખુલ્લી હાલતમાં હતી અને તેમાં જીવજંતુઓ પણ ભમતા મળી આવ્યા હતા. લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ થતા આ ચેડાં જોઈને અધિકારીઓએ ત્વરિત કડક વલણ અપનાવ્યું હતું. જાહેર આરોગ્યને થતું ગંભીર નુકસાન અટકાવવા માટે ફૂડ સેફ્ટી ઓફિસરે સ્થળ પર જ કાર્યવાહી કરીને અમર ફરસાણ એન્ડ કેટરર્સને આગામી ૫ દિવસ માટે બંધ કરવાનો આદેશ આપી તાળાં મારી દીધા હતા. સ્વાસ્થ્ય વિભાગની આ કડક કાર્યવાહીને પગલે અસ્વચ્છતા રાખતા અન્ય વેપારીઓ અને દુકાનદારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
દીવની જનતાના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે ફૂડ સેફ્ટી ઓફિસર ટીંકેશ બામણીયા અને તેમની ટીમ દ્વારા સતત કરવામાં આવતી આવી પ્રશંસનીય કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી છે. ભેળસેળિયા અને ગંદકી વચ્ચે ખાદ્ય સામગ્રી વેચતા વેપારીઓ સામે વિભાગની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.


