રાજકોટ જિલ્લામાં લેવાયેલા 3૧ ફૂડના સેમ્પલ ફેઇલ, ૮ વેપારીઓના પરવાના રદ
ભેળસેળીયા વેપારી સામે કડક કાર્યવાહી કરવા કલેકટરનો આદેશ : ભીચરી માતાજી મંદિરનો યાત્રાધામમાં સમાવેશ કરવા સંકલન બેઠકમાં પ્રસ્તાવ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠકમાં કલેકટર ડૉ.ઓમ પ્રકાશ દ્વારા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન રાજકોટ જિલ્લામાં એનાલોગ બટર અને પનીરનું વેચાણ કરતા 8 વેપારીઓના પરવાના રદ કરાયાનું તેમજ છેલ્લા એક વર્ષમાં 415માંથી 31 ફૂડ સેમ્પલ ફેઈલ ગયાનું જાહેર થયું હતું. આ દરમિયાન કુવાડવામાં આધાર કાર્ડની કામગીરી એક અઠવાડિયામાં શરૂ થઈ જશે તો ભિચરી માતાજીના મંદિરને પ્રવાસન ધામ બનાવવા માટેની ડિમાન્ડ આવી હતી.
રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની ઓગસ્ટ માસની બેઠક આજે 17 ઓગસ્ટના મળી હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ સંજય પીપળીયાએ કુવાડવામાં આધારકાર્ડની સેવા, સુરેન્દ્રનગર જિલ્લામાંથી રાજકોટ જિલ્લામાં ભળેલા પાંચ ગામોમાં પિનકોડ નંબરના થતા પ્રશ્નો, રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં હાઈવે પરની હોટલો અને રેસ્ટોરાંમાં ફૂડ ચેકીંગ, ભીચરી માતાજી મંદિરને પ્રવાસન ધામમાં સમાવવા વગેરે પ્રશ્ન રજૂ કર્યા હતા. જેના જવાબમાં જણાવાયું હતું કે, કુવાડવામાં આધારકાર્ડની સેવા સપ્તાહમાં ચાલુ થઈ જશે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી રાજકોટમાં ભળેલા ગામોના પિનકોડ બાબતે પોસ્ટ દ્વારા હાયર ઓથોરિટીને પત્ર લખવામાં આવ્યો છે. રાજકોટ ગ્રામ્યમાં 3 માસમાં હાઇવે પરની 20 પેઢીમાં તપાસ કરી, 29 નમૂના લેવાયા છે. જેમાં પાંચ નબળી ગુણવત્તાના હતા. જેની સામે કાયદાકીય પ્રક્રિયા ચાલે છે.
ધારાસભ્ય રમેશ ટીલાળાએ કોરાટ ચોકથી અમદાવાદ હાઈવેના નિર્માણ, શાપર ગામના બ્રિજ તેમજ એનેલોગ ચીઝ, બટર, પનીરની ફેક્ટરીઓમાં તપાસ, પીપરીયા-ભરૂડી રોડના નિર્માણ અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા. જેના જવાબમાં જણાવાયું હતું કે, પીપરીયા-ભરૂડી રોડનું ટેન્ડર કરીને વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. રાજકોટમાં એનેલોગ પનીર, બટરનું ઉત્પાદન કરતા 8 યુનિટના પરવાના રદ કરવામાં આવ્યા છે અને તપાસ કરીને 550 કિલો જથ્થો નાશ કરાયો છે. આ ઉપરાંત તહેવારોમાં સ્પેશિયલ ચેકીંગ ડ્રાઇવ કરાય છે. છેલ્લા એક વર્ષમાં ખોરાક અને ઔષધ વિભાગના મદદનીશ કમિશનર દ્વારા 415 નમૂના લઈ તપાસ કરાઈ છે. જેમાં 31 નમૂના ફેલ થતાં કાર્યવાહી કરાઈ છે, મસાલામાં ભેળસેળવાળો રૂ.1.96 લાખ કિલો અખાદ્ય જથ્થો સીઝ કરાયો છે. આ તકે જિલ્લા ક્લેક્ટરે ભેળસેળિયાઓ સામે કડક પગલાં લઈ ચેકીંગ ઝુંબેશ વધારવા અને મહત્તમ પેનલ્ટી કરવા સૂચના આપી હતી.
ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે હિરાસર એરપોર્ટના ફ્લાયઓવર બ્રિજની કામગીરી, રાજકોટ-બામણબોર હાઇવે, સિવિલ હોસ્પિટલના નવીનીકરણ, માધાપર ચોકડી અંડરબ્રિજની કામગીરી, બેડીપરા પાસે બ્રિજની કામગીરી સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. જેના જવાબમાં જણાવાયું હતું કે, હિરાસર એરપોર્ટ ફ્લાયઓવર બ્રિજ તેમજ હાઇવેની કામગીરી હાલ પ્રગતિમાં છે. કેબિનેટ મંત્રી તથા જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળીયા તરફથી જસદણ-વિંછિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ માળખાકીય સુવિધા, નાગરિકોને પ્લોટ સહિતની બાબતોના વિવિધ પ્રશ્નો રજૂ થયા હતા. બેઠકમાં કલેક્ટરે બાકી પ્રશ્નોની કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી.


