- ખાલિસ્તાની આતંકી પન્નુએ ફરી આપી ધમકી
- 19 નવેમ્બરે વર્લ્ડકપની ફાઈનલ રમાશે મેચ
- દિલ્હીમાં IGI એરપોર્ટનું નામ બદલવાની આપી ધમકી
ખાલિસ્તાન તરફી આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુને ફરી એકવાર ભારત વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. તેણે 19 નવેમ્બરે એર ઈન્ડિયાના વિમાનને ઉડાવી દેવાની ધમકી આપી છે. આ સિવાય તેમણે શીખોને આ દિવસે એર ઈન્ડિયાના વિમાનમાં મુસાફરી ન કરવા ચેતવણી આપી છે.
19 નવેમ્બરે એર ઈન્ડિયામાં મુસાફરી કરનારા લોકોને ચેતવ્યાં
મળતી માહિતી મુજબ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણે 19 નવેમ્બરે એર ઈન્ડિયામાં મુસાફરી કરવાની યોજના બનાવી રહેલા લોકોને ધમકી આપી છે. પન્નુએ કહ્યું કે, જો તે આવું કરશે તો તેમનો જીવ જોખમમાં મુકાશે. ખાલિસ્તાની આતંકવાદીએ કહ્યું કે આ એ જ દિવસે છે જ્યારે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ યોજાશે.
ખાલિસ્તાની પન્નુનો ધમકી ભર્યો વીડિયો વાયરલ
ખાલિસ્તાની આતંકી પન્નુએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતી વખતે કહ્યું હતું કે, અમે શીખ લોકોને 19 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી ન કરવા ચેતવીએ છીએ. આ વૈશ્વિક નાકાબંધી હશે. તેણે કહ્યું કે 19મી નવેમ્બરે એર ઈન્ડિયામાં મુસાફરી ન કરશો, નહીં તો તમારો જીવ જોખમમાં મુકાઈ જશે. પન્નુએ વધુમાં દાવો કર્યો કે દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ 19 નવેમ્બરે બંધ રહેશે અને તેનું નામ બદલવામાં આવશે.
અગાઉ પણ આપી હતી ધમકીઓ
આ પહેલા પણ ગુરપતવંત સિંહ પન્નુએ હુમલાની ચેતવણી આપી હતી. ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ પણ પન્નુએ એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં તેણે હમાસની જેમ ભારત પર હુમલો કરવાની ધમકી આપી હતી. હમાસે 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર સેંકડો રોકેટ છોડ્યા હતા. આતંકવાદીઓ પેરાગ્લાઈડર મારફતે ઈઝરાયેલમાં ઘૂસ્યા હતા અને 1400થી વધુ ઈઝરાયેલની હત્યા કરી હતી. હમાસે 240થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા. પન્નુએ ક્રિકેટ સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી.


