- જુનિયરો સાથે સિનિયરો સામે શિક્ષાત્મક કાર્યવાહી કેમ નહીં તે અંગે ભારે રોષ
- એન્જિનિયરોના એસોસિયેશને આ મુદ્દે વિભાગનાં સેક્રેટરીને મળી લેખિત આવેદનપત્ર પણ સોંપ્યું
- ચીફ એન્જિનિયરે શા માટે કોન્ટ્રાક્ટરની બેદરકારી અંગે નોંધ કરી નથી, તેવા પુછાતા પ્રશ્નો
પાલનપુરમાં નવો રેલવે ઓવરબ્રિજ તૈયાર થતાં પહેલાં તૂટી પડવાની દુર્ઘટનામાં બે જુનિયર કક્ષાના એન્જિનિયરોને સસ્પેન્ડ કરવાના રાજ્ય સરકારના પગલાં સામે માર્ગ-મકાન વિભાગમાં ભારે નારાજગી સાથે તીવ્ર રોષ પ્રવર્ત્યો છે. એન્જિનિયરો કહે છે કે, જો કોન્ટ્રાક્ટર કંપની મેસર્સ જી.પી. ચૌધરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નિષ્કાળજી- બેદરકારીને કારણે દુર્ઘટના સર્જાઈ છે, તો જુનિયર એન્જિનિયરો સામે કેમ પગલાં લેવાયા છે, જો જુનિયર એન્જિનિયરો દોષિત છે, તો સિનિયર એન્જિનિયરો સામે કેમ કોઈ શિક્ષાત્મક કાર્યવાહી થતી નથી. એન્જિનિયરોના એસોસિયેશને આ મુદ્દે વિભાગનાં સેક્રેટરીને મળી લેખિત આવેદનપત્ર પણ સોંપ્યું છે.
જાણકાર સૂત્રો કહે છે કે, ગત 23 ઑક્ટોબરે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં દુર્ઘટના સર્જાઈ, તેના 9 દિવસ પહેલાં 14 ઑક્ટોબરે માર્ગ-મકાન વિભાગમાં નેશનલ હાઈવે પ્રભાગ સંભાળતા ચીફ એન્જિનિયર એચ.સી. મોદી ઘટના સ્થળે ઇન્સ્પેક્શન માટે ગયા હતા, પરંતુ એમણે કોન્ટ્રાક્ટર કંપની દ્વારા આચરવામાં આવી રહેલી બેદરકારી અંગે કોઈ નોંધ જ કરી ન હતી. પરિણામે દુર્ઘટના પછી ઈડર સબડિવિઝનના સુપરવિઝન ઑફિસર સાવન આર. પટેલ તથા નાયબ કાર્યપાલક ઇજનેર મૃણાલ ડી. વિઠ્ઠલપરા જેવા માત્ર જુનિયર એન્જિનિયરો સામે જ કાર્યવાહી થતાં એન્જિનિયરો ભડક્યાં છે.
R&B સેક્રેટરી ચીફ એન્જિનિયરની વિઝિટ અંગે પૂરા માહિતગાર
રાજ્યના માર્ગ-મકાન વિભાગના સેક્રેટરી અશોક પટેલ વિભાગના ચીફ એન્જિનિયર દુર્ઘટનાના દસ દિવસ પહેલાં સાઇટ વિઝિટ માટે ગયા હોવાનું કબૂલે છે, પણ આ વિષય ઉપર બીજી કોઈ બાબત અંગે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી રહ્યાં છે, ઊલટાનું, દુર્ઘટના બાદ મીડિયામાં આવેલા સમાચાર બાબતે ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
રજૂઆતનો મોકો આપ્યા વિના સસ્પેન્શન જેવું આત્યંતિક પગલું વાજબી નથી : યુનિયન
રાજ્યના એન્જિનિયરોનું યુનિયન- એસોસિયેશન ઑફ આસિસ્ટન્ટ એન્જિનિયર્સ-સિવિલના પદાધિકારીઓએ બે દિવસ પહેલાં સાગમટે વિભાગના સેક્રેટરીને મળીને પાલનપુરની ઘટના સહિત વારંવાર બનતી દુર્ઘટનાઓમાં માત્ર જુનિયર એન્જિનિયરોને દંડવાની માનસિકતા સામે રોષ ઠાલવ્યો છે. એમણે લેખિત આવેદનમાં જણાવ્યું છે કે, ‘મોટાભાગના ફરજ મોકૂફીના કિસ્સાઓમાં જે તે અધિકારીને પોતાનો પક્ષ રાખવાનો મોકો કે તક આપ્યા વગર તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાય છે. અદાલત પણ આરોપીને સાંભળ્યા વિના ચુકાદો આપતી નથી ત્યારે વિભાગ દ્વારા લેવાતાં એક તરફી પગલાં એ ક્યાંનો ન્યાય ? એટલે કોઈ પણ કર્મચારીને કે અધિકારીને મોકો આપ્યા સિવાય તેની સામે આત્યંતિક પગલું ના લેવાવું જોઈએ કેમ કે આવા પગલાંથી કર્મચારી-અધિકારીની માનસિકતા ઉપર વિપરીત અસર પડે છે અને તેનું કુટુંબ આર્થિક રીતે બેહાલ થઈ જાય છે.’
ચીફ એન્જિનિયર કહે છે કે, પાલનપુર ROBની પ્રશંસા કરતો વીડિયો ખુદ રેલવેએ જારી કરેલો
નેશનલ હાઇવે પ્રભાગના ચીફ એન્જિનિયર કહે છે કે, ગર્ડર ક્રેનથી ગોઠવવામાં માનવીય-ટેક્નિકલ ભૂલ થઈ હતી, જેને કારણે આ અકસ્માત સર્જાયો હતો, મટિરિયલની ગુણવત્તા બાબતમાં હજી ફાઇનલ રિપોર્ટ આવ્યો નથી. તેઓ કહે છે કે, જે જગ્યાએ એક પછી એક 6 ગર્ડર ટોપલ થયા તે જગ્યાએ ગર્ડર ગોઠવવાનું કામ તો 19-20 ઑક્ટોબરના અરસામાં શરૂ થયું હતું અને દુર્ઘટના પહેલાં કોન્ટ્રાક્ટર એજન્સીએ સદર આરઓબી ઉપર 265 જેટલા ગર્ડર સફળતાપૂર્વક ગોઠવાઈ ચૂક્યા હતા. તેઓ તો એમ પણ કહે છે કે, રેલવે મંત્રાલય કે જેના હેઠળ આ આરઓબીનું કામ થઈ રહ્યું હતું, તેણે તો પાલનપુર આરઓબીના કોન્ટ્રાક્ટમાં જે એલિવેટેડ ‘રોટરી’ મૂકવાનું કાર્ય થયું છે તેની ભરપૂર પ્રશંસા કરતો વીડિયો પણ 6ઠ્ઠી ઑક્ટોબરે ટ્વિટર ઉપર મૂક્યો હતો, એટલે જો આ આરઓબીમાં દુર્ઘટના ના સર્જાઈ હોત તો કામ પત્યા પછી એને ‘એન્જિનિયરિંગ મારવેલ’ ગણવામાં આવ્યો હોત.


