- વૈકલ્પિક માર્ગ તરીકે તપોવન સર્કલનો ઉપયોગ કરી શકાશે
- કૃપા રેસીડેન્સીથી મોટેરા સ્ટેડિયમ સુધીનો માર્ગ પણ બંધ
- શરણ ચાર રસ્તાથી ભાટ-કોટેશ્વર, એપોલો તરફ જઈ શકાશે
રવિવારે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ માટે અમદાવાદમાં સૌ કોઈ તૈયાર છે. ત્યારે જો તમે પણ સ્ટેડિયમમાં મેચ જોવા માટે પહોંચી રહ્યા છો તો આ રીતે સરળતાથી તમે સ્ટેડિયમાં પહોંચી શકશો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન ખૂબ જ નજીક છે. જેમાં સવારના 6 વાગ્યાથી દર 12 મિનિટે મેટ્રો મળી રહેશે. જે રાત્રિના 1 વાગ્યા સુઘી કાર્યરત રહેશે.
અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રહો છો તો વસ્ત્રાલથી થલતેજ તરફ જતી મેટ્રો ટ્રેનમાં બેસીને સ્ટેડિયમ તરફ જઈ શકો છો જેના માટે તમારે ઈન્કમટેક્સ મેટ્રો સ્ટેશન ખાતે ટ્રેન બદલવી પડશે. તેમજ જ્યારે પશ્ચિમ વિસ્તારમાં રહો છો તો થલતેજથી વસ્ત્રાલ જતી મેટ્રો ટ્રેન અને વાસણા એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધી જતી મેટ્રો ટ્રેનમાં બેસીને પહોંચી શકો છો. આ બંને રૂટ ઉપરથી મોટેરા સ્ટેડિયમ પહોંચી શકાય છે.
તેમજ તમે ઇન્કમટેક્સ મેટ્રો સ્ટેશનથી સીધા મોટેરા તરફ જતી ટ્રેનમાં બેસી શકો છો અને સીધા સ્ટેડિયમ પહોંચી શકો છો. આ માટે મેટ્રો દ્વારા પણ વિશેષ રીતે સતત ટ્રેનોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. મેટ્રોની સુવિધા મેચ પૂર્ણ થયા પછી પણ રાત્રે 1 વાગ્યા સુધી ચાલુ રહેશે.
પાર્કિંગ માટેની પણ વિશેષ વ્યવસ્થા
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચને લઈ વિશેષ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સ્ટેડિયમ પાસે 15 પ્લોટમાં 22, 250 વાહનોના પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેડિયમની અંદર 1100 કારની પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. તો 5 પાર્કિંગ પ્લોટમાં 15 હજારથી વધુ ટુ વ્હિલર પાર્ક થઈ શકશે. જ્યારે 10 પાર્કિંગ પ્લોટમાં 7 હજારથી વધુ કાર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
AMTS અને BRTS રૂટમાં પણ વધારો
આ સાથે જ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ટ્રાફિકના લીધે રસ્તા બ્લોક ન થાય તે માટે કોન્વોય ટીમ તૈયાર કરવામાં આવી છે. આ માટે AMC દ્વારા પણ AMTS, BRTS રુટમાં વધારો કરવામાં આવ્યો છે. જેના માટે AMC દ્વારા 91 BRTS અને 119 AMTS ની વધારાની બસો દોડશે. તેમજ બસ સેવા મોડી રાત સુધી ચાલુ રાખવામાં આવશે.
ક્યા રસ્તાઓ રહેશે બંધ
મેચ દરમિયાન અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર આ વ્યવસ્થા સવારના 11.00 વાગ્યાથી લઈને રાત્રિના 12.00 વાગ્યા સુધી અમલમાં રહેશે. જનપથ ટીથી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઇ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ટી સુધીનો જતો-આવતો માર્ગ અવર જવર માટે પ્રતિબંધિત તે ડાયવર્ઝન વાળો માર્ગ રહેશે. આ વ્યવસ્થા તારીખ 19 નવેમ્બર, 2023ના રોજ સવારના 11.00 વાગ્યાથી લઈને રાત્રિના 12.00 વાગ્યા સુધી અમલમાં રહેશે.
- તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી વિસત ટી થી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે.
- કૃપા રેસીડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.


