- ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 શ્રમિકો સ્વસ્થ
- AIIMS ઋષિકેશમાં કરવામાં આવી શારીરિક તપાસ
- પોતાના ઘરે જઇ શકે: AIIMS ઋષિકેશ
ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા શ્રમિકોને હવે ઘરે જવાની રજા આપી દેવામાં આવી છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), ઋષિકેશ ખાતે હાથ ધરવામાં આવેલી તબીબી તપાસમાં ઉત્તરકાશી જિલ્લાના સિલ્ક્યારા ટનલમાંથી બહાર કાઢવામાં આવેલા તમામ 41 કામદારો સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે અને હવે તેઓ તેમના ઘરે જઈ શકે છે.
શું કહ્યુ AIIMS પ્રશાસને?
AIIMS પ્રશાસને અહીં મીડિયાને જણાવ્યું કે મેડિકલ તપાસમાં તમામ કામદારો સ્વસ્થ જોવા મળ્યા છે અને હવે તેઓ હોસ્પિટલ છોડી શકે છે. અન્ય વરિષ્ઠ તબીબોની હાજરીમાં હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ આર. બી. કાલિયાએ કહ્યું કે અહીંથી રજા આપ્યા પછી પણ આ કામદારો એઈમ્સના સંપર્કમાં રહેશે અને તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવશે.
શ્રમિકો રહેશે AIIMSના સંપર્કમાં
તેઓએ કહ્યું કે આ માટે કામદારોના મોબાઈલ નંબર લેવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમના ગૃહ રાજ્યની મેડિકલ કોલેજો અને હોસ્પિટલોનો પણ સંપર્ક કરીને તેમના વિશે માહિતી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે હવે તેઓએ માત્ર પર્યાવરણને અનુરૂપ થવાનું છે, જે થોડા દિવસોમાં થઈ જશે.
ચિન્યાલિસૌરથી ઋષિકેશ લઇ જવાયા
સિલ્ક્યારા ટનલનો એક ભાગ તૂટી પડવાને કારણે 17 દિવસથી અંદર ફસાયેલા કામદારોને મંગળવારે રાત્રે સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા. સિલ્ક્યારા નજીક ચિન્યાલિસૌર હોસ્પિટલમાં તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા પછી, તેમને બુધવારે ભારતીય વાયુસેના ચિનૂક હેલિકોપ્ટર દ્વારા AIIMS ઋષિકેશમાં લઈ જવામાં આવ્યા હતા. AIIMS ઋષિકેશમાં તમામ કામદારોના બ્લડ, કાર્ડિયાક અને રેડિયોલોજિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેના રિપોર્ટ ગુરુવારે આવ્યા હતા જેમાં તે બધા સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું હતું.
આજે અથવા આવતીકાલ સુધી પરત ફરશે
હોસ્પિટલ છોડવાની પરવાનગી મળ્યા બાદ, દહેરાદૂનના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રામજી શરણ શર્મા, જેઓ કામદારોને તેમના ઘરે મોકલવાના સંચાલનમાં સામેલ હતા, તેમણે કહ્યું કે કામદારોના ગૃહ રાજ્યોના નોડલ અધિકારીઓ સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છે અને તેઓ આજે અથવા આવતીકાલ સુધીમાં ઘરે પરત ફરશે.
રોડ, રેલ કે હવાઇ માર્ગે મોકલાશે
દેહરાદૂન જિલ્લા મેજિસ્ટ્રેટ સોનિકાએ કહ્યું કે કામદારોને તેમની સુવિધા અનુસાર રોડ, રેલ અથવા હવાઈ માર્ગે તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ઉત્તરાખંડના ગવર્નર લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ગુરમીત સિંઘ એઈમ્સ ઋષિકેશમાં કામદારોના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરવા પહોંચ્યા હતા અને તેમની હિંમત અને ભાવનાની પ્રશંસા કરી હતી.
ઉત્તરાખંડના રાજ્યપાલે શ્રમિકોની લીધી મુલાકાત
બાદમાં મીડિયા સાથે વાત કરતા રાજ્યપાલે કહ્યું કે આ પડકારજનક ઓપરેશન કામદારોના મનોબળ, તેમના પરિવારજનોની ધીરજ અને બચાવ કામગીરીમાં સામેલ તમામ એજન્સીઓ અને કર્મચારીઓની અથાક મહેનતને કારણે સફળ થયું હતું. તેમણે કહ્યું કે આ 41 મજૂરોએ અમને એક પાઠ શીખવ્યો છે કે ગમે તેવી મુશ્કેલીની ઘડીમાં પોતાના પર નિયંત્રણ રાખવુ જોઇએ. તેમણે વધુમાં કહ્યુ કે આપણા માનવ સંશાધન ખૂબ ઉચ્ચ સ્તરના છે.


