- સાંસદ અને ધારાસભ્ય સફાઈ કરી શકે તે માટે કચરો નંખાયો
- કર્મચારી દ્વારા ડોલમાંથી કચરો ફેંકતો વિડીયો વાયરલ
- સાંસદ મિતેષ પટેલે ST નિગમ પાસે ખુલાસો માંગ્યો
તાજેતરમાં આણંદમાં એસટી પ્રશાસને સ્વચ્છતાના નામે માત્ર ફોટો સેશન કરાયાનો પર્દાફાશ થયો છે. શુભયાત્રા, સ્વચ્છ યાત્રા કાર્યક્રમને સફળ બનાવવા માત્ર સાંસદ અને ધારાસભ્યને સફાઈ માટે કચરો નાખવામાં આવ્યો હતો. જે પછી સ્વચ્છ જગ્યામાં કચરો ફેંકી પછી સાફ કરાયો છે.
આ અંગેની માહિતી અનુસાર, થોડાં દિવસ અગાઉ ST વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાનને લઈ બસ સ્ટેશનમાં એસટી પ્રશાસનનાં અધિકારીઓએ જાતે જ કચરો નંખાવ્યો હતો. જેના બાદ સાંસદ અને ધારાસભ્યોની હાજરીમાં સફાઈ કરાવી ફોટો સેશન કર્યું હતું. એટલું જ નહીં કચરો નાંખતો વીડિયો વાયરલ થતા આણંદ એસટી પ્રશાસનની તમાશાની પોલ ખુલી છે.
આ અંગે સાંસદ મિતેશ પટેલ અને ધારાસભ્ય યોગેશ પટેલનો સંપર્ક કરતા સમગ્ર ઘટના અંગે અજાણતા દર્શાવી હતી. આણંદનાં નવા બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા અભિયાનનાં નામે ફોટો સેશન કરાવ્યો આરોપ લાગી રહ્યો છે. તેમજ સાંસદ મિતેષ પટેલએ ST નિગમ પાસે ખુલાસો માંગ્યો છે. જવાબદારો સામે કાર્યવાહી કરવા જણાવાયું છે.

રાજ્યવ્યાપી શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા કેમ્પેઇનની શરૂઆત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન વેગવંતુ બન્યુ છે. ત્યારે રાજ્યના નાગરિકોની મુસાફરી સ્વચ્છ અને સુગમ બની રહે તે આશય સાથે 2 જી ડિસેમ્બરનાં રોજ ગાંધીનગર એસ.ટી ડેપો ખાતેથી “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” કેમ્પેઇનનો રાજ્યવ્યાપી શુભારંભ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યો હતો. તેની સાથે જ રાજ્યના નાગરિકોને યાતાયાતની સુવિધા વધુ સુદ્રઢ કરવા માટે આગામી 10 મહિના સુધી દર મહિને 200 એસ.ટી બસો મુસાફરોની સુખાકારી અને શુભ યાત્રા માટે ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવામાં આવ્યુ હોવાનું મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું.


