- AMC દ્વારા બાકી લેણદારો સામે પગલાં
- મિલકતો સીલ કરવા સુધીની કામગીરી હાથ ધરાય છે
- પશ્ચિમ ઝોનમાં 600થી વધુ મિલકતો સીલ કરાઈ
અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન (AMC)ના ટેક્સ વિભાગે બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે આજે એક જ દિવસમાં 2562 જેટલી મિલકતો સીલ કરી છે. AMCની બાકી ટેક્સ પર વ્યાજમાફીની યોજના છતાં ટેક્સ નહીં ભરનારા સામે લાલ આંખ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ જ રહેશે.
મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ પ્રોપર્ટી ટેક્સ વસૂલાત ઝુંબેશ અંતર્ગત આજે સૌથી વધુ 637 મિલકતો માત્ર શહેરના પશ્ચિમ ઝોનમાં જ સીલ મારવામાં આવી છે. જ્યારે આજે એક જ દિવસમાં કુલ 7.24 કરોડના પ્રોપર્ટી ટેક્સની વસૂલાત કરવામાં આવી છે.
મ્યૂનિસિપલ કોર્પોરેશન (AMC) પશ્ચિમ ઝોન ટેક્સ વિભાગ દ્વારા બાકીદારો સામે લાલ આંખ કરવામાં આવી છે. એકલા પશ્ચિમ ઝોનમાં 380 એકમો સીલ કરીને 73.30 લાખના ટેક્સની વસૂલાત કરવામાં આવી છે. પશ્ચિમ ઝોનના ડે.મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠલ 3 નવેમ્બરના રોજ બાકી રહેલા પ્રોપર્ટી ટેક્સની રકમ ન ભરતા હોય તેવા કરદાતાઓની મિલકતો સીલ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત 8 ડિસેમ્બરના રોજ પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગ દ્વારા સપાટો બોલાવીને 380 એકમોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મ્યુનિસિપલ ટેક્સ ખાતા દ્વારા આપવામાં આવેલ નોટિસો કે ચેતવણીઓ પ્રત્યે બિનગંભીર ડિફોલ્ટરો સામે જરૂર પડ્યે આવી મિલકતોના પાણી-ડ્રેનેજ કનેક્શન પણ કાપવામાં આવી શકે તેવી સંભાવના છે. આ ઉપરાંત જે મિલકતો જપ્ત કરી ટાંચમાં લઇ હરાજી તથા વેચાણ કરવા જેવી કાયદાકીય કાર્યવાહી પણ કરી શકાય છે. આથી ડિફોલ્ટરોને તાત્કાલિક મિલકત વેરો ભરવા બાબતે અમદાવાદ મનપા દ્વારા તાકીદ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં પણ મિલકત વેરાની વસૂલાતની તથા સીલીંગ કરવાની કામગીરીને વધુ સઘન કરવાની મનપાતંત્રની તૈયારી છે.


