- ભારત કેનેડા વિવાદમાં કેનેડીયન એજન્સીનો નવો દાવ
- ભારતીય દૂતાવાસને ભારતે મોકલ્યો હતો સિક્રેટ મેમો: કેનેડા
- રિપોર્ટને ખોટો ગણાવતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા બાગચી
ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે તાજેતરમાં સામે આવેલ રિપોર્ટનું વિદેશ મંત્રાલયે ખંડન કર્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે સિખ પ્રવાસી સંગઠન વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ઉત્તર અમેરિકા સ્થિત વાણિજ્ય દૂતાવાસને એક સિક્રેટ મેમો મોકલ્યો હતો. ભારતે આ વાતને ખોટી ગણાવી છે.
વિદેશ મંત્રાલયે ઉઠાવ્યો વાંધો
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ જણાવ્યું છે કે અમે સ્પષ્ટ કરી દઈએ કે આ રિપોર્ટ ખોટો છે અને સંપૂર્ણ રીતે બનાવટી છે. આ ભારત વિરુદ્ધ માત્ર એક દુષ્પ્રચાર છે. આ કોઈ મેમોરેન્ડમ નથી. આ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા દ્વારા ફેલાવવામાં આવેલ જુઠ્ઠાણું છે. જે કોઈ પણ આ ખોટ ન્યૂઝ ફેલાવી રહ્યું છે તે તેની પોતાની વિશ્વસનીયતા પર જ સવાલો ઉભા કરી રહ્યો છે. બાગચીએ આ અંગે સોશિયલ મીડિયા પર માહિતી પણ શેર કરી છે.
એપ્રિલ 2023માં સિક્રેટ મેમો જાહેર કરવાનો દાવો
વિદેશી મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે એપ્રિલ 2023માં એક સિક્રેટ મેમો આપ્યો હતો. આ મેમોમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર સહિત ઘણા શીખ અલગતાવાદીઓની યાદી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નિજ્જરની હત્યાના બે મહિના પહેલા જ ભારતે આ મેમો મોકલ્યો હતો.
જાણો કોણ છે હરદીપ સિંહ નિજ્જર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષે જૂનમાં કેનેડાના એક પ્રમુખ ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જર પર કેનેડાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા પાસે બે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં તેનું મોત થયું હતું. ભારતીય એજન્સી NIAએ નિજ્જરને ભાગેડુ જાહેર કર્યો હતો. જણાવી દઈએ કે, નિજ્જર ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના પ્રમુખ હતા અને કેનેડામાં ઉગ્રવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)નો મુખ્ય ચહેરો હતો. નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ પણ હતો.
કેનેડાના વડાપ્રધાને ભારત સરકાર પર લગાવ્યા હતા આરોપ
મીડિયા રિપોર્ટ્સ મુજબ, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ થોડા સમય પહેલા ભારત પર આરોપ લગાવ્યો હતો કે નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોઈ શકે છે. ટ્રુડોએ કહ્યું કે કેનેડાની સુરક્ષા એજન્સીઓ પાસે એવું માનવા માટેનું કારણ છે કે નિજ્જરની હત્યા ભારત સરકારના એજન્ટોએ કરી હતી. કેનેડિયન એજન્સીઓ નિજ્જરની હત્યામાં ભારતીય ષડયંત્રની શક્યતાની તપાસ કરી રહી છે. ટ્રુડોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં કોઈપણ સંડોવણી અસ્વીકાર્ય છે. જોકે, ભારતે કેનેડાના આ નિવેદનને સંપૂર્ણપણે ફગાવી દીધું હતું.


