- રાજૌરીમાં સર્ચ ઓપરેશન યથાવત
- આતંકીઓને શોધવા ચાલી રહ્યુ છે સર્ચ ઓપરેશન
- સેના પ્રમુખ જમ્મુ કાશ્મીર આજે લઇ શકે છે મુલાકાત
રાજૌરીમાં આતંકવાદીઓને શોધવાનું ઓપરેશન સતત છઠ્ઠા દિવસે પણ ચાલુ છે. આ વિસ્તારમાં સેનાના ઓપરેશનને કારણે છેલ્લા ત્રણ દિવસથી ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ છે. તાજેતરમાં જ રાજૌરીમાં આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા. આ હુમલામાં કેટલાક નાગરિકો પણ માર્યા ગયા હતા. પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ (PAFF) એ આ હુમલાની જવાબદારી લીધી છે. પુંછ જિલ્લાના રાજૌરી સેક્ટરમાં ડેરા ગલીના જંગલોમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે પણ રાજૌરી-પૂંચમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશનની સમીક્ષા કરવા આજે પહોંચવાના છે.
સેના પ્રમુખ જશે જમ્મુ કાશ્મીર
મહત્વનું છે કે પહેલા આતંકીઓ દ્વારા સૈનિકોના વાહન પર હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ નિવૃત્ત એસએસપીની હત્યા કરવામાં આવી હતી. કાશ્મીરમાં આ આતંકી ઘટનાઓ વચ્ચે સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે ઓપરેશનની સમીક્ષા કરવા માટે આજે જમ્મુ-કાશ્મીર પહોંચી શકે છે. આર્મી ચીફની આ મુલાકાત એટલા માટે પણ મહત્વની છે કારણ કે તાજેતરમાં જ 21 ડિસેમ્બરે આતંકીઓએ સેનાના એક વાહન પર હુમલો કરતા ચાર જવાનોને શહીદ થયા હતા જ્યારે ત્રણ જવાનો ઘાયલ થયા હતા. આ પછી આતંકીઓએ અઝાન આપી રહેલા રિટાયર્ડ એસએસપીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
મિલિટરી હેડક્વાર્ટર રાખી રહ્યું છે નજર
ઉલ્લેખનીય છે કે આતંકી ઘટનાઓ બાદ આર્મી હેડક્વાર્ટર પણ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વિસ્તારોમાં મોટાભાગની કામગીરી થઈ છે ત્યાંના અધિકારીઓને કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ આ અઠવાડિયે જ મુલાકાત લેવાના છે.


