- માંડ બે-ત્રણ કલાક બાકી ખૂલતા ઘણા નાગરિકોને ધક્કો પડે છે
- વેરા વસૂલાત માટે સમય વધારવા માટે લોકોની માંગણી
- કનેક્શનમાં પાયોવિને પોણા ત્રણ કરોડ જેટલું લેણું નીકળે છે
પાટનગર યોજના વિભાગ દ્વારા હાલ પાણી-ગટર વેરાના બીલોની વસૂલાત શરૂ કરવામાં આવ્યું છે. ગટર-પાણીના અંદાજે 26 હજાર જેટલા કનેક્શનમાં પાયોવિને પોણા ત્રણ કરોડ જેટલું લેણું નીકળે છે. જોકે દર વર્ષ વેરાની નબળી વસૂલાત થાય છે. જેમાં વેરો ભરવાની ઓનલાઈન સુવિધા ન હોવાને સાથે સમય પણ ઓછો અપાતો હોવાનું કહેવાય છે. હાલના સમયે સવારે 11થી 1 દરમિયાન માત્ર બે કલાક જ વેરો લેવાય છે. જ્યારે માર્ચ મહિનામાં 9થી 12 દરમિયાન વેરો લેવામાં આવે છે. આ સમય વધારવામાં આવે તેવી લોકોની માંગણી છે. કારણ કે સવારે 11 વાગ્યે વેરાની વસૂલાત ચાલુ થાય કે ન થાય પરંતુ 1ના ટકોરે વસૂલાત બંધ જરૂરથી થઈ જાય છે. માર્ચ મહિનામાં સવારે 9થી 12નો સમય અપાય છે, તેમાં પણ સવારના સમયે કોઈ જલ્દી પહોંચી ન શકતાં બાકી બે કલાક જેટલો જ સમય મળે છે. જેને પગલે પણ પાણી-ગટર વેરાની બનળી વસૂલાત રહેતી હોવાનું કહેવાય છે. 31 માર્ચ સુધી વેરો ભરનાર નાગરિકોને વળતર આપવામાં આવે છે. છતાં ઓનલાઈન સુવિધા અને સમયના અભાવે અનેક નાગરિકો વેરો ભરવામાં નિરસતા દાખવે છે. બેંકમાં પૈસા ભરવાના હોવાથી વસૂલાત વહેલી બંધ કરાતી હોવાનું કારણ પાયોવિ દ્વારા અપાય છે.જોકે વેરાની વસૂલાત માટે થોડા સમય તો પાયોવિ દ્વારા વધારી શકાય જ તેવી સ્થિતિ છે. શહેરમાં એકથી ત્રીસ સેક્ટર અને 8 ગામોમાં પાણી-ગટરના અંદાજે 26 હજાર જેટલા જોડાણ છે. જેમાં દર વર્ષે પોણા ત્રણ કરોડ જેટલા વેરા વસૂલાત કરવાની થાય છે. જેમાં પાયોવિ દ્વારા ફેબ્રુઆરીમાં બીલોનું વિતરણ શરૂ કરી દે છે. જોકે વેરો ભરવામાં નિરસતા રહેતાં પાયોવિને માંડ 50-55 ટકા જેટલી વસૂલાત થતી હોય છે. જેથી પાયોવિને નોટિસો પાઠવીને વસૂલાત કરવાની ફરજ પડે છે.


