કેરબામાંથી જ પાણી વેચવા તંત્રના દબાણના વિરોધમાં ગિરનાર સીડી પરના વેપારીઓએ ધંધો બંધ પાડી નોંધાવ્યો વિરોધ
યાત્રિકોને 5 પોઇન્ટ પરથી પાણી ભરી પિવરાવવાની તંત્રની જીદથી નારાજ થઇ ગિરનારની સિડી પરના 125 વેપારીઓએ ધંધા બંધ કરવાની ચિમકી આપી હતી. આ અંગે ભવનાથ પોલીસે આવેદન નહીં સ્વીકારતા બુધવારે જિલ્લા કલેકટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈને તંત્રના નિર્ણયના વિરોધમાં ગિરનાર ખાતેની દુકાનો બંધ પાડી વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ અંગે મળતી વિગત મુજબ હાઇકોર્ટે પ્લાસ્ટિક મુદ્દે તંત્રની જાટકણી કાઢી હતી બાદમાં પ્લાસ્ટિકનો પ્રવેશ અટકાવવા તંત્ર ઉંધે કાંધ થયું છે. પ્લાસ્ટિકના પ્રતિબંધની અમલવારી મુદ્દે વન વિભાગ, વહીવટી તંત્ર અને ગિરનારની સીડીના દુકાનદારોની બેઠક મળી હતી. જેમાં દુકાનદારોને કેરબામાં પાણી ફરજિયાત પણે વેચવા માટે તંત્રએ આદેશ કરતા જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે દુકાનદારોએ તેનો વિરોધ કર્યો હતો. અને ગિરનાર સીડી પરની તમામ દુકાનો બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું જે મુજબ આજે સવારથી ગિરનાર સીડી ખાતેની તમામ દુકાનો બંધ રાખીને દુકાનદારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું
ગિરનાર પર્વત અને ગિરનાર ઇકો સેન્સેટિવ ઝોનમાં સંપૂર્ણપણે પ્લાસ્ટિકનો પ્રતિબંધ હતો જ છતાં તેમની અમલવારી થતી ન હતી આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં પીઆઈએલ થતા કોર્ટે તંત્રનો ઉઘડો લેતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ગિરનાર પર્વતમાં પાણીની કોઈ વ્યવસ્થા નથી તેના ભાગરૂપે તાજેતરમાં કેરબા આપી દુકાનધારકોએ છૂટું પાણી વેચવાનું આદેશ તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. કેરબામાંᅠ પાણી ક્યાંથી ભરવું તે સવાલ છે નીચેથી મજૂર મારફત પાણી ઉપર પહોંચાડવું મોંઘુ પડે છે જેથી કેરબામાં પાણી વેચવાની વહીવટી તંત્રની યોજના નિષ્ફળ નિવડી છે. બીજી તરફ તંત્રએ ફરજિયાત કેરબામાંથી જ પાણી વેચવા દબાણ કરતા દુકાન ધારકોએ તંત્રના નિર્ણય સામે લડી લેવાનો નિર્ધાર કર્યો છે. અને આજે ગિરનાર પરની દુકાનો બંધ રાખીને ધંધાર્થીઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે ગઈકાલે ભવનાથ પોલીસે આવેદનપત્ર નહીં સ્વીકારતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.