કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને ધરાવાયેલા મહાઅન્નકૂટની આરતીમાં સહભાગી થઈ સૌના મંગલની કામના કરતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ખાતે આયોજિત હનુમાન જયંતી ઉત્સવમાં ભક્તિ ભાવપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિ વર્ષ હનુમાન જયંતીના પાવન અવસરે સાળંગપુર ધામમાં થતા અનેકવિધ ધાર્મિક આયોજન અન્વયે આ વર્ષે સમૂહ મારૂતિ યજ્ઞ સાથે હનુમાનજી મહારાજને ધરાવાયેલા મહાઅન્નકૂટની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મહાઅન્નકૂટની આરતીમાં સહભાગી થયા હતા. તેમણે શ્રદ્ધાપૂર્વક હનુમાનજી મહારાજની આરતી કરી હતી અને સૌ લોકોના સુખ, શાંતિ, સમૃદ્ધિની મંગલ પ્રાર્થના પણ આ હનુમાન જયંતિ અવસરે કરી હતી. કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના સંતો, અગ્રણીઓ અને શ્રદ્ધાળુઓ હનુમાન જયંતીના આ ઉત્સવમાં ઉમંગભેર જોડાયા હતા.


