- વાઘોડિયા વિધાનસભા પેટાચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત
- ધર્મેન્દ્રસિંહ વાઘેલાની 82108 મતના માર્જિન સાથે જીત થઈ
- જીત બાદ સમર્થકો સાથે પહોંચ્યા વાઘોડિયાના વાઘનાથ મંદિરે
ગુજરાત લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આજે સ્પષ્ટ થઇ ગયા છે. તેમજ ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર થયેલી પેટા ચૂંટણીના પરિણામો પણ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠક પર યોજાઇ હતી. જે પાંચેય બેઠકોના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં તમામ પાંચેય બેઠકો પર ભાજપની જીત થઈ છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર યોજાયેલ પેટા ચૂંટણીમાં આજે ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાને કુલ 127446 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલને 45338 મત મળ્યા હતા. આમ ધર્મેન્દ્રસિંહ વાઘેલાની 82108 મતના માર્જિન સાથે જીત થઈ છે.

તો, પેટા ચુંટણીના પરિણામ જાહેર થયા બાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયામાં આવેલ વાઘનાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. તેમણે દર્શન કરી શીશ ઝુકાવ્યા હતા. તો, મોટી સંખ્યામાં સમર્થકોએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીતને વધાવી લીધી હતી. જોકે, જીતને લઈને કાર્યકરો દ્વારા કોઈ જ ઉજવણી કરવામાં નહોતી આવી. રાજકોટ અગ્નિકાંડને ધ્યાનમાં રાખીને ભાજપના તેમજ ભાજપ અધ્યક્ષની સૂચના મુજબ ચુંટણીના પરિણામ બાદ વિજય સરઘસ, ફટાકડાની આતશબાજી, તેમજ ઢોલ નગારા બંધ રાખવામાં આવ્યા છે.


