- ગુરૂકુળમાં બોલાવી સ્વામીએ બળજબરી કરી: પીડિતા
- ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડશીપ કરી હતી: પીડિતા
- ગુરુકુળના ગેસ્ટ રૂમમાં લગ્ન કર્યાનો પીડિતાનો દાવો
રાજ્યમાં વધુ એક સાધુની લંપટલીલા સામે આવી છે. રાજકોટના ખીરસરા ઘેટિયા ગામ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી ધરમસ્વરૂપદાસ પર દુષ્કર્મ આચર્યુ હોવાનો આક્ષેપ લાગ્યો છે. રાજકોટમાં સ્વામિનારાયણના સંતોની ભોગ બનેલી પીડિતા મીડિયા સમક્ષ આવી અને સમગ્ર ઘટના વિશે જાણકારી આપી છે. પીડિતાએ કહ્યું કે મને facebookના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને ફ્રેન્ડશીપ કરી હતી, ત્યારબાદ ગુરુકુળ ખાતે મળવા માટે બોલાવી અને મારી સાથે બળજબરી કરી હતી.
શારીરિક સંબંધ બાંધતા પીડિતા ગર્ભવતી થઈ
ત્યારે વધુ જાણકારી આપતા પીડિતાએ કહ્યું કે ગુરુકુળના ગેસ્ટ રૂમમાં મારી સાથે સ્વામીએ લગ્ન કર્યા હતા અને લગ્ન કર્યા બાદ સ્વામીએ હવે હું તારો પતિ કહેવાવું તેમ કરી બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હોવા આક્ષેપ પીડિતાએ કર્યા છે અને શારીરિક સંબંધ બાંધતા પીડિતા ગર્ભવતી થઈ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ત્યારે ગર્ભવતી થતા સ્વામી દ્વારા ગર્ભપાતની ગોળી મોકલાવી ગર્ભપાત પણ કરાવવામાં આવ્યો હોવાની વાત પીડિતાએ કહી છે.
રાજકોટ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
રાજકોટ રૂરલ પોલીસ પર પીડિતાએ આક્ષેપ લગાવ્યા હતા કે મને શંકા હતી સ્થાનિક પોલીસ આરોપીને સપોર્ટ કરશે, એટલા માટે મેં રાજકોટ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ કહ્યું કે મારા સિવાય અન્ય છોકરીઓને પણ સ્વામી ખરાબ નજરે જોતા હતા, અમારા સંબંધ વિશે નારાયણ સ્વામીને પણ ખ્યાલ હતો. મને સાધ્વી બનવાની ટ્રેનિંગ માટે ભુજ અને હળવદ ખાતે મોકલવામાં આવી હતી, ત્યારે પીડિતાએ વધુમાં કહ્યું કે ફરિયાદ નોંધાયાને દસ દિવસથી વધુનો સમય વીતી ચૂક્યો છે તેમ છતાં એક પણ આરોપીને પોલીસ ઝડપી શકી નથી.


