- રાજકોટ શહેરની આરોગ્ય શાખા દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી
- કોલેરામાં પાણી અને પોષણના અભાવે ડિહાઈડ્રેશનની સમસ્યા પણ થઈ શકે
- ખોરાક અને પીવાના પાણીને સ્વચ્છ રાખવા પર વિશેષ ધ્યાન આપવું
હાલ રાજ્યમાં વરસાદની સાથે સાથે ઘણી જગ્યાએ કોલેરાના કેસ આવી રહ્યા છે. આ માટે લોકોએ શું તકેદારી રાખવી તેના ભાગરૂપે રાજકોટ શહેરની આરોગ્ય શાખા દ્વારા લોકોને માહિતગાર કરવા માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
કોલેરા બેક્ટેરિયાથી થતી બીમારી છે. તે વિબ્રિયો કોલેરી જીવાણુના કારણે થાય છે, જે દૂષિત પાણીના કારણે ફેલાય છે. કોલેરા એક ચેપી રોગ છે જેમાં દર્દીને ઉલ્ટી અને ઝાડા થાય છે. પાણી અને પોષણના અભાવે ડિહાઈડ્રેશનની સમસ્યા પણ થઈ શકે છે. ત્યાં સુધી કે યોગ્ય સારવાર ન મળે તો દર્દીનું મોત પણ થઈ શકે છે. કોલેરા બેક્ટેરિયા મુખ્યત્વે ખરાબ ખોરાક અને ગંદા પાણીને કારણે ફેલાય છે. આવી સ્થિતિમાં તમારે ખાસ કરીને ખોરાક અને પીવાના પાણીને સ્વચ્છ રાખવા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ તેવું આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વકાણીએ જણાવ્યું હતું.
કોલેરા કેવી રીતે ફેલાય છે?
- કોલેરા એક બેક્ટેરિયાને કારણે થાય છે જે આપણા ખોરાક અથવા પાણી દ્વારા આપણા શરીરમાં પહોંચે છે.
- કોલેરા સીફૂડ અને માછલી દ્વારા પણ ફેલાય છે.
- શાકભાજી અને સલાડને બરાબર ન ધોવામાં આવે અથવા ગંદા પાણીથી ધોવામાં આવે તો કોલેરાનો ખતરો રહે છે.
- જે વિસ્તારોમાં સ્વચ્છતાનો અભાવ છે, ત્યાં કોલેરા ફેલાવાનું જોખમ વધારે છે.
- જો તમે ચેપગ્રસ્ત વ્યક્તિના મળના સંપર્કમાં આવો.
- જો તમે મળથી દૂષિત (બેક્ટેરિયમ—વિબ્રિઓ કોલેરા) ખોરાક ખાઓ અથવા પાણી પીવો.
- જો તમે કાચી અથવા ઓછી રાંધેલી શેલફિશ ખાઓ.
- કોલેરા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી, પરંતુ ચેપગ્રસ્ત વ્યક્તિના મળ સાથે સંપર્કમાં આવવાથી ફેલાય છે.
શું છે કોલેરાના લક્ષણો?
કોલેરાના લક્ષણો જુદા જુદા લોકોમાં જુદા જુદા સમયે ઉદભવે છે. કેટલાક લોકોમાં, તેના લક્ષણો ચેપના થોડા કલાકો પછી જ જોવા મળે છે, જ્યારે કેટલાક લોકોમાં તે 2-3 દિવસ પછી પણ થઈ શકે છે. કોલેરા સામાન્ય રીતે ઝાડાનું કારણ બને છે. ઝાડા ઉપરાંત તેના અન્ય લક્ષણો નીચે મુજબ છે.
ઉલટી થવી તેમજ હૃદયના ધબકારા વધી જવા, મો, ગળું તેમજ આંખો શુષ્ક થઈ જવી, બ્લડ પ્રેશર ઘટી જવું, તરસ વધારે લાગવી, હાથ પગના સ્નાયુઓમાં દુખાવો થવો, ગભરામણ થવી અને ઊંઘ આવવી તેમજ વધુ પડતો થાક લાગવો. જો ઉપરોક્ત લક્ષણો દેખાય તો તરત જ નજીકના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલ ખાતે જઈ તબીબી સલાહ લેવી. ઈમરજન્સીમાં 108નો સંપર્ક કરવો.
કેવી રીતે અટકાવશો કોલેરાને?
- આપની આસપાસ સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ.
- જે લોકોને કોલેરા થયો હોય તે લોકોએ ખાવા-પીવાની આદતમાં ફેરફાર કરીને તો કેટલાક ઘરગથ્થુ ઉપચારથી અટકાવી શકે છે. જેમ કે નારિયેળ પાણી, લીંબુ, છાશ, આદુ, ફુદીનાનો રસ, હળદર, મેથીના દાણા વગેરેનું સેવન ફાયદાકારક બની શકે છે.
- માત્ર ઉકાળેલું, શુદ્ધ કરેલું અથવા બોટલનું પાણી પીવો.
- શક્ય હોય ત્યાં સુધી શેરી પરના ફેરિયાઓ પાસેથી ખાદ્ય ચીજો લેવાનું ટાળો.
- જેમાંથી રસ ટપકતો હોય તેવા ફળ જેમ કે દ્રાક્ષ અને બેરી લેવાનું ટાળો.
- સુશી અને શેલફિશ જેવા કાચા અથવા ઓછા રાંધેલા સીફૂડ લેવાનું ટાળો.


