- 10 વીઘા જમીનમાં ગુવારનું વાવેતર કર્યા બાદ એકપણ સીંગ ન આવી
- સુરેન્દ્રનગર જિલ્લામાં દરેક પાકની સીઝનના વાવેતર પહેલા નકલી બીયારણોની બુમરાણ ઉઠે છે
- 2 માસ કરતા વધુ સમય થવા છતાં ગુવારની સીંગો આવતા તેઓએ તપાસ કરતા બીયારણ નકલી હોવાનું સામે આવ્યુ હતુ
ચુડામાં રહેતા ખેડૂતની ગોખરવાળાની સીમમાં વાડી આવેલી છે. જેમાં તેઓએ ગત એપ્રીલ માસમાં 10 વીઘા જમીનમાં ગુવારનું વાવેતર કર્યુ હતુ. સામાન્ય રીતે 45 દિવસમાં આવતી સીંગો ર માસ કરતા વધુ સમય થવા છતાં ન આવતા તેઓએ તપાસ કરતા બીયારણ નકલી હોવાનું સામે આવ્યુ હતુ. આથી ખેડૂતે બીયારણ બનાવતી કંપની અને વેચનાર એગ્રો એજન્સી પાસે વળતરની માંગ કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં દરેક પાકની સીઝનના વાવેતર પહેલા નકલી બીયારણોની બુમરાણ ઉઠે છે. ખેતીવાડી વિભાગે પણ થોડા સમય પહેલા જ ખરીફ પાકના વાવેતર પહેલા નકલી બીયારણ બાબતે ચેકીંગ સહિતની કાર્યવાહી કરી હતી. ત્યારે આ કાર્યવાહી માત્ર કાગળો પર રહેતી હોવાની વાતો ચર્ચાઈ રહી છે. આવા સમયે ચુડાના ખેડૂત નકલી બીયારણનો ભોગ બન્યા છે. મળતી માહિતી મુજબ, ચુડામાં રહેતા દિનેશભાઈ ધનજીભાઈ પરમારની ગોખરવાળાની સીમમાં વાડી આવેલી છે. ગત એપ્રીલ માસમાં તેઓએ ચુડાની એગ્રો એજન્સીમાંથી ગુવારના બીયારણની ખરીદી કરી હતી. અને પોતાની વાડીમાં 10 વીઘા જમીનમાં ગુવારનું વાવેતર કર્યુ હતુ. સામાન્ય રીતે 45 દિવસે ગુવારના વાવેતરમાં સીંગો આવી જાય છે. પરંતુ 2 માસ કરતા વધુ સમય થવા છતાં ગુવારની સીંગો આવતા તેઓએ તપાસ કરતા બીયારણ નકલી હોવાનું સામે આવ્યુ હતુ.
દિનેશભાઈએ બીયારણ, ખાતર, મજુરી સહિત રૂપીયા 60થી 70 હજારનો ખર્ચ ગુવારના વાવેતર પાછળ કર્યો છે. ત્યારે બીયારણ બનાવતી કંપની અને બીયારણ વેચનાર એગ્રો એજન્સીના માલીક વળતર ચુકવે તેવી માંગ ખેડુત દ્વારા કરાઈ છે.


