- ગુજરાત યુનિ.ના અણઘડ આયોજનથી વિદ્યાર્થીઓ પરેશાન
- વિદ્યાર્થિનીને બીબીએમાં પ્રવેશ અંગેનો ઓફર લેટર કોલેજ દ્વારા મોકલાયો હતો
- કોલેજના પ્રિન્સિપાલે યુનિ.ને એવો પ્રત્યુતર આપ્યો કે બેઠક વધારવા માટે અમારે સરકારને પૂછવુ પડશે
ગુજરાતમાં બદલાતી શિક્ષણની વ્યવસ્થા વિદ્યાર્થીઓ માટે સરળીકરણ નહી પણ મુશ્કેલીમાં મૂકતી હોવાનું ઉદાહણ આ વખતની કોલેજ પ્રવેશ પ્રક્રિયામાં જોવા મળ્યું છે. ગુજરાત યુનિવર્સિટીએ શરૂ કરેલ ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયાના ધાંધિયા ઓછા ન થતા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન બન્યા છે.
આજે શહેરના મણિનગર ખાતે આવેલી કે.કા. શાસ્ત્રી કોલેજમાં પ્રવેશનો ઓફર લેટર હોવા છતાં વિદ્યાર્થિનીને પ્રવેશ આપવાનો ઈનકાર કરી દેવાયાની ઘટના સામે આવી હતી. એટલું જ નહીં, વિદ્યાર્થિનીની રજૂઆત બાદ યુનિવર્સિટીએ વર્ગ વધારો આપવાની તૈયારી બતાવી તો, સામે કોલેજના પ્રિન્સિપાલે કહ્યું આ મુદ્દે અમારે સરકારને પૂછવુ પડશે.
કે.કા.શાત્રી કોલેજમાં બીબીએમાં પ્રવેશ અંગેનો એક વિદ્યાર્થિનીને ઓફર લેટર કોલેજ દ્વારા મોકલાયો હતો. ઓફર લેટર સાથે વિદ્યાર્થિની કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરવા ગઈ તો કોલેજો ત્રણ કલાક સુધી વિદ્યાર્થિનીને બેસાડી પ્રવેશ આપવાનો ઈનકાર કરી દીધો હતો. આ મુદ્દે વિદ્યાર્થિનીએ યુનિવર્સિટીમં રજૂઆત કરી તો યુનિ.એ કોલેજના પ્રિન્સિપાલનો સંપર્ક કર્યો હતો. દરમિયાન કોલેજના પ્રિન્સિપાલે અમને આવી કોઈ જાણ ન હોવાનો ઉડાવ જવાબ આપી દીધો હતો. એ પછી યુનિવર્સિટીએ કોલેજને એવી પણ ઓફર કરી હતી કે જો વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા માટે આવતાં હોય તો યુનિવર્સિટી બેઠકમાં વધારો આપવા તૈયાર છે.
જોકે આ મુદ્દે કોલેજના પ્રિન્સિપાલે યુનિ.ને એવો પ્રત્યુતર આપ્યો હતો કે, બેઠક વધારવા માટે અમારે સરકારને પૂછવુ પડશે. મહત્ત્વની વાત એ છે કે, યુનિવર્સિટી બેઠક વધારવાની મંજૂરી માટે તૈયારી બતાવવા છતાં કોલેજના પ્રિન્સીપાલનો વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં કોઈ રસ જ ન હોય તેવો ઉડાવ જવાબ જોવા મળ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળે છે.


