- બંને વિસ્તારમાં નર્કાગારની સ્થિતિ છતાંય પાલિકાને સફાઈ માટે ફુરસદ નથી
- રહેણાંક વિસ્તારમાં ચોમાસામાં ઉભરાતી ગટરો રોગચાળો નોંતરશે
- સાણંદનાં દ્વારે જ નિર્મત ફ્લોરા ફ્લેટ આગળ છેલ્લાં ઘણા મહિનાઓથી ગટર ઉભરાય છે
સાણંદ પાલિકાની લાલિયાવાડી સામે સમગ્ર નગરના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે સાણંદ પાલિકા દ્વારા નગરજનોને વર્ષોથી સતાવી રહેલ તકલીફો પણ દુર થઈ શકતી નથી.
જે-તે જગ્યાએ ગટર ઉભરાય છે. સાણંદનાં દ્વારે જ નિર્મત ફ્લોરા ફ્લેટ આગળ છેલ્લાં ઘણા મહિનાઓથી ગટર ઉભરાય છે. તેમજ સાણંદની અંદર આવતાની સાથે જ વાહનોને આવા ગંદા પાણીમાં પોતાના વાહનો નાખવાની ફરજ પડે છે અને ટુ વ્હીલર ચાલકોને આવા ગંદા પાણીનાં છાંટા પણ ઉડે છે. તેમ છતાં પણ પાલિકા પાસે સદર સમસ્યાનું કોઈ જ કાયમી સમાધાન નથી, અહીંનાં ઘણા વિસ્તારો જેમકે ગેપપરા, રાજશેરી, ચુનારાવાસ જ્યાં પંપિંગ સ્ટેશન પાસે વર્ષોથી અંડર ગ્રાઉન્ડ ગટરનાં પાણી રોડ પર ઉભરાય છે અને ગંદકીનું સામ્રાજ્ય સ્થપાય છે અને આ પરિસ્થિતિનો પાલિકા પાસે કોઈ ઉકેલ નથી અને વળી પાલિકા નાગરિકો પર ગટરવેરા ઉઘરાવવાની તજવીજ હાથ ધરે છે. આવી પરિસ્થિતિમાં ગેપપરા તેમજ રાજશેરીનાં રહીશોએ થોડા સમય અગાઉ આ મામલે પાલિકા પર હલ્લાબોલ કર્યો હતો અને ચેતવણી આપી હતી કે આ ગંદકી સાફ નહીં થાય તો તેને અમે પાલિકાએ ઠલવી જઈશું. આવી સ્પષ્ટ ચેતવણી છતાં પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાતાં ગેપપરા, રાજશેરીનાં રહીશોએ જેસીબી દ્વારા ટ્રેકટર અને છકડામાં પોતાનાં વિસ્તારમાં ગટરનાં પાણીથી થયેલા કાદવ-કીચ્ચડ ભરીને નગરપાલિકાની કચેરી ખુલેએ પહેલા જ તેનાં દરવાજા પાસે ઠાલવી દઈ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. જેથી પાલિકા તંત્ર ક્ષોભનીય સ્થિતિમાં મુકાયું હતું. છેવટે પાલિકા દ્વારા તુરત જ સફાઈ કર્મચારીઓને બોલાવી કિચ્ચડ સાફ કરાવવાની ફરજ પડી હતી.


