- વરસાદ અને પવનને કારણે પૌરાણિક વડને નુકસાન
- મુખ્યમંત્રી કાળમાં નરેન્દ્ર મોદી વડની મુલાકાત લેતા હતા
- અત્યારે કોઈ અધિકારી સંભાળ લેતા નથી:પુજારી
ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકામાં આવેલા કંથારપુર વડની વડવાઈઓ તૂટી પડી છે. કંથારપુર વડ ખૂબ પૌરાણિક અને વિશાળ વિસ્તારમાં પથરાયેલો છે જોકે બે દિવસ પહેલા વરસાદ અને ભારે પવનને કારણે વડની વડવાઈઓ તૂટી પડી હતી. હાલના વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ વડની ત્રણ-ત્રણ વખત મુલાકાત લીધી હતી અને વડની જાળવણી માટે પણ સુચનો કર્યા હતા.
વડની જાળવણી થતી નથી: પૂજારી
મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ વડની આજુબાજુ દબાણ અને ગંદકીના લીધે વડની વડવાઈઓ જોખમમાં મુકાઈ છે. તેમજ તંત્ર દ્વારા આ વડની જાળવણી વિશે કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી.
વડનું આયુષ્ય 500 વર્ષથી વધુ
કંથારપુરનો વડ 40 મીટર ઉંચો અને અઢી વિઘાથી વધુ જમીનમાં પથરાયેલો છે. અને તેનું આયુષ્ય લગભગ 500 વર્ષથી વધુનુ મનાય છે. ખુબ લાંબી અને મજબૂત વડવાઈઓ ઉપર પ્રવાસીઓ ચઢીને મોજ મસ્તી કરતા પણ નજરે ચઢતા હોય છે. વડની ચોતરફ દબાણ કરવામાં આવ્યું છે. સ્થાનિકો અને પ્રવાસીઓ છેક વડની નીચે પાર્કિંગ કરે છે.
CM ભૂપેન્દ્ર પટેલે 6 કરોડનો ખર્ચ કરવાની જાહેરાત કરી હતી
તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મહાકાળી માતાના દર્શન માટે કંથારપુરા આવતા હતા. ત્યારે તેમણે આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે જાહેરાત કરી હતી. હાલમાં સુવિધાઓનો અભાવ હોવા છતાં હજારો પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લેતા હોય છે. જેના લીધે સ્થાનિકો અને વેપારીઓને પણ ફાયદો થાય છે. હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 2022માં આ સ્થળની મુલાકાત લેવામાં આવી હતી અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 6 કરોડનો ખર્ચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.


