- હર્ષદ ભોજક સાથે સાઠગાંઠ શોધી કાઢવા HCના સીટિંગ જજ દ્વારા તપાસ કરાવો
- હાંકી કઢાયેલા ધર્મેન્દ્ર શાહના શાસનમાં મંજૂર થયેલા તમામ કામોની તપાસ કરાવવા વિપક્ષની માગણી
- BJP સાગઠીયા અને ભોજકને પકડે છે પરંતુ એનાકોન્ડા, વ્હેલ માછલીઓ ક્યારે પકડાશે ?
ભાજપમાંથી હકાલપટ્ટી કરાયેલા પૂર્વ પ્રભારી ધર્મેન્દ્ર શાહ દ્વારા આચરાયેલા કથિત ભ્રષ્ટાચાર મુદ્દે વિપક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે, ધર્મેન્દ્ર શાહના શાસનમાં મેયરની એન્ટિ ચેમ્બરમાં બેસીને રૂ. 500 કરોડથી વધુનો ભ્રષ્ટ્રાચાર કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ધર્મેન્દ્ર શાહ, AMC કમિશનર અને મેયર કરતાં વધારે સત્તા ભોગવતા હોય તે પ્રકારે કોઇ પણ કોન્ટ્રાક્ટ કમિશન વિના પાસ થતો ન હતો. ધર્મેન્દ્ર શાહના શાસનમાં મંજૂર થયેલા તમામ કામોની નિષ્પક્ષ તપાસ કરાવવાની વિપક્ષના નેતાઓએ માગણી કરી છે. AMCના ઈતિહાસમાં સૌપ્રથમવાર રૂ. 50 લાખની લાંચ માંગવામાં આવ્યા પછી રૂ. 20 લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયેલ હર્ષદ ભોજક સાથે સાંઠ ગાંઠ ધરાવનારાઓને શોધી કાઢવા ગુજરાત હાઈકોર્ટના સીટિંગ જજ દ્વારા તપાસ કરાવવા માગણી કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરો દ્વારા ભાજપના કયા નેતાના ખાતામાં કેટલાં રૂપિયા જમા કરાવ્યા હતા તે અંગે I.T. વિભાગે તપાસ કરવી જોઈએ. કોઇ મોટી માછલીઓ મગરમચ્છ કે ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવા BJP દાવા કરે છે.
BJP સાગઠીયા અને ભોજકને પકડે છે પરંતુ એનાકોન્ડા, વ્હેલ માછલીઓ ક્યારે પકડાશે ? તે ગુજરાતીઓ જાણવા માંગે છે.ભાજપ સત્તાના નશામાં મસ્ત અને પ્રજા ત્રસ્ત જેવી સ્થિતિ છે. AMC સહિત રાજ્યમાં ભાજપના શાસનમાં વ્યાપક ભ્રષ્ટાચારને ઉજાગર કરવા વિપક્ષ આક્રમક ઝૂંબેશ હાથ ધરશે. AMCમાં પ્લાન પાસ કરાવવા એ અભિમન્યુના કોઠા જેવું બની ગયું છે અને બાંધકામ થયા પછી BU પરમીશન માટે ફ્લેટ દીઠ રૂપિયા ચુકવવા પડે છે.
વિપક્ષી નેતાઓએ જણાવ્યું હતું કે, ધર્મેન્દ્ર શાહના રાજમાં શહેરમાં કચરો ઉપાડવા, બસ, રોડ, બ્રીજના કોન્ટ્રાક્ટમાં સિસ્ટેમેટિક ભ્રષ્ટાચારની સિસ્ટમ ઉભી થઈ હતા. ધર્મેન્દ્ર શાહના શાસનમાં કરોડોના ટેન્ડરમાં કોન્ટ્રાક્ટરો પાસેથી પાર્ટી ફંડ પેટે 10 ટકા રકમ લેવામાં આવતી હતી. કરોડોના ખર્ચે તૈયાર કરાયેલ હાટકેશ્વર બ્રિજ હલકી ગુણવત્તાના કારણે ત્રણ વર્ષથી ઉપયોગમાં લેવાતો નથી અને પ્રજાના ટેક્સના નાણાં વેડફાયા છે. ભ્રુષ્ટાચારનો પર્યાય બનેલા હાટકેશ્વર બ્રિજને તોડીને તેના સ્થાને નવો બ્રિજ બનાવવા ઢીલી નીતિ અપનાવાય છે. AMC બોર્ડમાં પ્રજાના પ્રશ્નો, તૂટેલા રોડ, પાણી- ડ્રેનેજની સમસ્યા વગેરે જેવા પ્રશ્નોને વાચા આપવામાં આવતી નથી.
AMTS, BRTSમાં ઉચા ભાવે કોન્ટ્રાક્ટ આપીને AMCને કરોડોનું નુકસાન પહોંચાડયું છે. બહેરામપુરામાં કાપડ એકમો માટે એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ETP)માં ખાસ વ્યક્તિને લાભ કરાવવા AMCને રૂ.100 કરોડ જેટલું નુકશાન થયું છે. ભ્રષ્ટાચારના ચક્રવ્યૂહને કારણે મોરબી પુલ કાંડ, હરણીબોટ કાંડ, તક્ષશિલા કાંડ અને રાજકોટનો TRP કાંડ સહિતની કરુણાંતિકાઓ કેટલાય ગુજરાતીઓ પોતાનો જીવ ગુમાવ્યો છે.


