- ભોજનમાં વધારે મીઠું, ગંભીર ઈન્ફેક્શન, આલ્કોહોલ, બીપી-ડાયાબિટીસ વગેરે જવાબદાર
- બીમારીની શરૂઆતના તબક્કે સંતુલિત ખોરાક, નિયમિત કસરત, વજનને નિયંત્રણમાં રાખવું જરૂરી
- ત્રણ વર્ષના અરસામાં કુલ 1,046 કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા
અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની હોસ્પિટલમાં વર્ષ 2021થી 2023 એમ ત્રણ વર્ષના અરસામાં કુલ 1,046 કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા છે. આ 1046 ટ્રાન્સપ્લાન્ટમાંથી 763 દર્દી 40 વર્ષ કે તેથી ઓછી વયના છે જ્યારે 283 દર્દી 40થી વધુ વયના છે.
એકંદરે યુવાનોમાં કિડની ફેલ્યોરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. મોટે ભાગે એવું પણ સામે આવ્યું છે કે, મોટી વયના દર્દીઓમાં પરિવારજનો ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું ઉચિત માનતા નથી, તેઓ ડાયાલિસસ પર નિર્ભર રહે છે. આ કારણસર પણ યુવાનોમાં ટ્રાન્સપ્લાન્ટનું પ્રમાણ વધુ છે.
કિડની હોસ્પિટલ સાથે સંકળાયેલા તબીબોનું કહેવું છે કે, છાતીમાં દુખાવો થવો, પગમાં સોજા, યુરિન ઓછું આવે, શ્વાસ લેવામાં તકલીફ, વધારે પડતો થાક લાગવો વગેરે કિડની ફેલ થવાના લક્ષણ હોય છે, એટલું જ નહિ પરંતુ એવા પણ કિસ્સા સામે આવે છે જેમાં કોઈ તકલીફ કે લક્ષણો જણાતા નથી પણ કિડનીને અસર થઈ હોય છે. યુવાનોમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની સમસ્યા વકરી છે, આવા કિસ્સામાં કિડની સહિતના અંગો ફેલ થવાનું જોખમ વધારે રહે છે. આ ઉપરાંત ભોજનમાં વધારે મીઠું લેવું, પ્રદૂષણ, એલર્જી રિએક્શન, ગંભીર ઈન્ફેક્શન, સહિતના કારણે પણ કિડનીને અસર થાય છે. અનિયંત્રિત ડાયાબિટીસ, ડ્રગ્સ અને દારૂની લત પણ પણ જવાબદાર હોય છે. બીમારીની શરૂઆતના તબક્કે સંતુલિત ખોરાક, નિયમિત કસરત, વજનને નિયંત્રણમાં રાખવું ખૂબ જરૂરી છે, તેનાથી જલદી સાજા થઈ શકાય છે. બીમારીમાં નિયમિત દવાઓ લેવી આવશ્યક છે.મહત્ત્વનું છે કે, ગુજરાતમાં વર્ષ 2018થી 2022ના અરસામાં કુલ 2902 અંગદાન થયા હતા, છે.
કિડનીની બીમારીથી પીડિત 4,650 જેટલા દર્દીઓનાં મોત
ગુજરાતમાં વર્ષ 2021ના અરસામાં કિડની સંબંધિત બીમારીના કારણે એક અંદાજ પ્રમાણે 4,650થી વધુ દર્દીઓનાં મોત થયા હોવાનું કહેવાય છે. ગુજરાતમાં 1865 દર્દી કિડનીનું દાન મળે તે માટે રાહ જુએ છે એટલે કે વેઈટિંગમાં છે. નાના બાળકોમાં પણ કિડની ફેલ્યોરના કેસ સામે આવી રહ્યા છે.


