- GTUમાં 60, ગુજરાત યુનિ.માં 30 વિદ્યાર્થી અભ્યાસ કરે છે
- ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને બે ઈમર્જન્સી નંબર આપવામાં આવ્યા
- બાંગ્લાદેશની સ્થિતિ જોતા યુનિ.માં આજે વિદ્યાર્થીઓ સાથે બેઠક બોલાવી
બાંગ્લાદેશમાં અનામત વિરોધી વિદ્યાર્થી આંદોલન બાદ વડાપ્રધાન શેખ અહીસા રાજીનામું આપી દેશ છોડી ભારત પહોચ્યાં હતાં. જે અન્વયે કેન્દ્ર સરકાર દ્વારા ભારતની જુદી જુદી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશના વિદ્યાર્થીઓની સલામતીને લઈ એક ગાઇડલાઇન પ્રસિદ્ધ કરાઈ છે.
કેન્દ્રની ગાઇડલાઇન અન્વયે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને અમદાવાદ ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં બાંગ્લાદેશનાં કુલ 30 વિદ્યાર્થી અભ્યાસ કરે છે અને આ વર્ષે અંદાજે 300 વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યાં હોવાનું જાણવા મળ્યું છે, આ વિદ્યાર્થી હજુ આવ્યાં નથી. આ સિવાય ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)માં પણ 60 વિદ્યાર્થી અભ્યાસ કરતાં હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં જુદા જુદા દેશમાં દર વર્ષે વિદ્યાર્થી અભ્યાસ કરવા આવે છે. આ વિદ્યાર્થીઓને ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ દ્વારા સ્કોલરશીપ મળે છે. યુનિવર્સિટીમાં યુજી, પીજી અને પી.એચ.ડી.ના મળીને હાલમાં કુલ 30 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. બાંગ્લાદેશની સ્થિતિ જોતા યુનિ.માં આજે વિદ્યાર્થીઓ સાથે બેઠક બોલાવી હતી. ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને બે ઈમર્જન્સી નંબર આપવામાં આવ્યા છે. તેમજ સોશિયલ મીડિયા પર કોઈ રિએક્ટ કરવા કે અફવા પર વિશ્વાસ ન કરવા સૂચના આપવામાં આવી છે.


