રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત બીઆરટીએસ બસ સેવા અને સીટી બસ સેવા મામલે રક્ષાબંધનને લઈને સત્તાધીશો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રક્ષાબંધનના તહેવારને અનુલક્ષી સોમવારે બહેનો માટે સીટી બસ અને બીઆરટીએસ બસ સેવા તદન ફ્રી રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર શ્રી દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક શ્રી મનીષભાઈ રાડીયા રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યરત સિટી બસ અને બી.આર.ટી.એસ. બસ સેવા દર વર્ષની પરંપરા મુજબ બહેનો/મહિલાઓ માટે નિ:શુલ્ક રહેશે તે અંગેની જાહેરાત કરતા જણાવે છે કે, ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. તે દિવસે બહેન ભાઇને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઇ ખવડાવે છે અને ભાઇ બહેનને ભેટ આપે છે.
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની એસ.પી.વી. રાજકોટ રાજપથ લિ. દ્વારા શહેરના નાગરિકોને શહેરી પરિવહન બસ સેવા પુરી પાડે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આગામી તા.૧૯/૦૮/૨૦૨૪, સોમવારના રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે સિટી બસ સેવા અને બી.આર.ટી.એસ. બસ સેવા બહેનો/મહિલાઓ માટે નિ:શુલ્ક મુસાફરીની ભેટ આપે છે. “રક્ષાબંધન”ના પવિત્ર તહેવારના દિવસે કોઈપણ રૂટ પર, ગમે તેટલી વખત ફક્ત બહેનો/મહિલાઓ નિ:શુલ્ક મુસાફરી કરી શકશે. જયારે પુરુષોએ મુસાફરી દરમ્યાન રાબેતા મુજબ જ નિયત દરની ટીકીટ લેવાની રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાની “રક્ષાબંધન”ના પાવન પર્વ નિમિતે બી.આર.ટી.એસ. બસ તથા સિટી બસની નિ:શુલ્ક સેવાની અનોખી ભેટનો મહતમ લાભ લેવા બહેનો/મહિલાઓને ખાસ અપીલ કરવામાં આવે છે અને “રક્ષાબંધન”ના પવિત્ર તહેવારની શુભેચ્છા પાઠવે છે.
BRTS અને સીટી બસ સેવા સોમવારે બહેનો માટે ફ્રી રહેશે
