- હુમલામાં ઓછામાં ઓછા 6 લોકોના મોત અને 13 ઘાયલ
- કાબુલના દક્ષિણ પશ્ચિમ કાલા બખ્તિયાર વિસ્તારમાં વિસ્ફોટ
- ઘટનાસ્થળેથી ચાર શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ નજીક સોમવારે થયેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા છે અને 13 અન્ય ઘાયલ થયા છે. પોલીસ પાસેથી માહિતી મળી હતી. જેમાં કાબુલના પોલીસ વડાના પ્રવક્તા ખાલિદ ઝદરાને જણાવ્યું હતું કે કાબુલના દક્ષિણ પશ્ચિમ કાલા બખ્તિયાર વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો.
હજુ સુધી કોઈએ આ ઘટનાની જવાબદારી લીધી નથી
ત્યારે આ અંગે વધુ માહિતી આપતા તેમણે કહ્યું કે મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે, જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને હજુ સુધી કોઈએ આ ઘટનાની જવાબદારી લીધી નથી. મળતી માહિતી મુજબ ઘટનાસ્થળેથી ચાર શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે તાલિબાને ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરી લીધી હતી.
બામિયાનમાં 3 વિદેશી સહિત 4 લોકોની હત્યા
આ પહેલા મે મહિનામાં અફઘાનિસ્તાનના બામિયાન પ્રાંતમાં 3 વિદેશી સહિત ચાર લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ અંધાધૂંધ ગોળીબારમાં સાત લોકો ઘાયલ થયા છે. આ હુમલા અંગે તાલિબાનના પ્રવક્તાએ કહ્યું હતું કે મધ્ય અફઘાનિસ્તાનમાં ઘણા બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો. જેમાં ત્રણ વિદેશી નાગરિકો સહિત ચાર લોકોના મોત થયા હતા.
કાબુલમાં મોટો આત્મઘાતી હુમલો
7 જુલાઈ 2008ના રોજ કાબુલમાં મોટો આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં ભારતીય દૂતાવાસને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ આત્મઘાતી હુમલામાં 58 લોકો માર્યા ગયા હતા. જ્યારે 141 લોકો ઘાયલ થયા હતા. આ હુમલાને લઈને અમેરિકને દાવો કર્યો હતો કે આ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના ઈશારે કરવામાં આવ્યો હતો.


