- દશેરા પહેલા મનપાનો મહત્વનો નિર્ણય
- વ્હીકલ ટેક્સ ભરવાની પ્રક્રિયા ઓનલાઈન કરી
- નવું વાહન ખરીદતા પહેલા ભરવો પડશે ટેક્સ
દશેરાના તહેવાર પહેલા અમદાવાદ મનપાએ એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર હવેથી વ્હીકલ ટેક્સ ભરવા માટેનું કામ ઓનલાઈન થશે, પહેલા આના માટે નાગરિકોએ મનપાની સિવિક સેન્ટરોની ઓફિસોના ધક્કા ખાવા પડતા હતા, ત્યારે જઈને માંડ કામ થતું હતું. પરંતુ હવેથી આ સુવિધા ઓનલાઈન થઈ જતાં નવું વાહન ખરીદતા લોકોને મોટી રાહત થઈ જશે.
ઓનલાઈન મોડ પર સુવિધા
મહત્વનું છે કે પીએમ મોદીના ડિજિટલ ઈન્ડિયાના ભાગરૂપ ગુજરાત સરકાર દ્વારા પણ પોતાની ઘણી નાગરિક સુવિધાઓ ઓનલાઈન મોડ પર લઈ જવામાં આવી છે. જેથી લોકોને આજના ફાસ્ટ જમાનામાં વિવિધ સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી જાય. ઓનલાઈન કામ થવાથી પારદર્શિતા પણ વધે છે, ભ્રષ્ટાચારની સંભાવના પણ શૂન્ય થઈ જાય છે અને લોકોનું કામ સરળતાથી થઈ જાય છે. આજ મૂળમંત્ર પર હવે અમદાવાદ મનપાના સત્તાધીશોએ પણ અમલ કર્યો છે અને શહેરી નાગરિકો માટે એક મહત્વની સુવિધાને ઓનલાઈન મોડ પર લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મનપાનો મહત્વનો નિર્ણય
તહેવારોના દિવસોમાં મનપા દ્વારા લેવાયેલા આ નિર્ણયને ઘણો જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. હવેથી વાહન ખરીદતા પહેલા નાગરિકોએ ઓનલાઈન ટેક્સ ભરવો પડશે. જે આ પ્રોપર્ટી ટેક્સ અને કોમર્શિયલ ટેક્સ બાદ ત્રીજી ટેક્સ વ્યવસ્થા છે જેને મનપા દ્વારા ઓનલાઈન કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આનાથી વાહનના ડીલર અને માલિકોએ સિવિક સેન્ટરોના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી ગઈ છે. આંકડા પ્રમાણે જોઈએ તો ઓફલાઈન પ્રક્રિયામાં આની પહેલા 4થી5 દિવસોનો સમય જતો હતો જે હવે બચશે, ઉપરાંત છેલ્લા 3 વર્ષોમાં 64 હજાર વાહનચાલકોએ ટેક્સ નહીં ભર્યું હોવાનું પણ સામે આવ્યું છે. જેથી આ વ્યવસ્થામાં આ લૂપહોલ હવે નહીં રહે.
ઈનવોઈસ રજૂ કરાતા બિલ ભરાઈ જશે
મહત્વનું છે કે આ વ્યવસ્થામાં ડીલર દ્વારા ઈનવોઈસ બિલ રજૂ કરતા બિલ ભરાઈ જાય તેવી વ્યવસ્થા ગોઠવવમાં આવી છે. જો ડીલર દ્વારા કોઈ પણ ગેરરીતિ આચરવામાં આવશે તો તેનું લાયસન્સ રદ્દ કરવા સુધીની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે દશેરામાં મોટા પાયે વાહનોનું વેચાણ થતું હોય છે, જેથી દશેરા પૂર્વે જ આ વ્યવસ્થાથી લોકોને ટેક્સ ભરવામાં સરળતા પડશે અને મનપાની આવક પણ વધશે.